14 November, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબર મહિના દરમ્યાન ટિકિટ વિના ગેરકાયદે મુસાફરી કરવાના ૨૩.૭૬ લાખ કેસ નોંધાયા હતા, જેમાં દંડ પેટે સેન્ટ્રલ રેલવેએ ૧૪૧.૨૭ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. એમાં સૌથી વધુ ભુસાવળ ડિવિઝનમાંથી ૫૧.૭૪ કરોડ અને મુંબઈ ડિવિઝનમાંથી ૪૦.૫૯ કરોડ રૂપિયાના દંડની વસૂલાત થઈ હતી.
ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન નોંધાયેલા ૨૨.૦૯ લાખ કેસની સરખામણીમાં આ વર્ષે ગુનેગારોની સંખ્યામાં ૮ ટકાનો વધારો થયો હતો. કુલ દંડની રકમ પણ ૨૦૨૪-’૨૫માં ૧૨૪.૩૬ કરોડ રૂપિયાથી ૧૪ ટકા વધી હતી. ઑક્ટોબરના એક જ મહિનામાં ટિકિટચેકિંગ ટીમોએ ટિકિટ વિના મુસાફરી કરતા ૩.૭૧ લાખ મુસાફરોને પકડી પાડ્યા હતા. ૨૦૨૪ના ઑક્ટોબર મહિનામાં આવા ૩ લાખ કેસ નોંધાયા હતા. ગયા વર્ષ કરતાં આ વર્ષના ઑક્ટોબર મહિનામાં નોંધાયેલા કેસમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો હતો તેમ જ વસૂલ કરવામાં આવેલો દંડ લગભગ બમણો થઈ ગયો હતો. ગયા વર્ષે ૧૨.૭૪ કરોડ રૂપિયાની સરખામણીમાં આ વર્ષે ૨૪.૮૧ કરોડ રૂપિયા ઑક્ટોબરમાં વસૂલ કરવામાં આવ્યા હતા.