19 July, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુણાલ કામરા અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પ્રખ્યાત કૉમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્ર વિધાનભવન પરિસરમાં તાજેતરમાં બે પક્ષના નેતાઓ વચ્ચે થયેલા હોબાળા અને મારામારી અંગે રાજ્યની રાજકીય પરિસ્થિતિ પર કટાક્ષ કરતો એક વીડિયો જાહેર કર્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં ભાજપ અને એનસીપી-શરદ પવાર જૂથ (એનસીપી-એસપી) ના ધારાસભ્યો વચ્ચે થયેલી અથડામણ સામેલ છે. જેને કામરાના પ્રખ્યાત અને વિવાદાસ્પદ ગીત `હમ હોંગે કામયાબ` ની ધૂન પર એડિટ કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દ્રશ્યો પણ શામેલ છે, જે સ્પષ્ટપણે મહાયુતિ સરકાર પર કટાક્ષ તરીકે જોવા મળી રહ્યા છે. આ વીડિયો કાયદાનો ભંગ કૅપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ એ જ ગીત છે જે કુણાલ કામરાએ આ વર્ષે માર્ચમાં તેમના સ્ટેન્ડ-અપ સ્પેશિયલ `નયા ભારત` દરમિયાન રજૂ કર્યું હતું. વીડિયોમાં વપરાયેલું ગીત એ જ છે જે તેણે માર્ચમાં તેમના સ્ટેન્ડ-અપ સ્પેશિયલ `નયા ભારત` દરમિયાન ગાયું હતું, જ્યાં તેણે એકનાથ શિંદેને `ગદ્દાર` કહ્યા હતા. કુણાલના વીડિયો પર શિંદે જૂથ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. આ વર્ષની શરૂઆતમાં તેમના સ્ટેન્ડ-અપ સ્પેશિયલ પછી, કામરાને શિવસેનાની યુવા વિંગ, યુવા સેનાના સભ્યો દ્વારા તીવ્ર ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ જૂથે મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કૉમેડી ક્લબમાં તોડફોડ કરી હતી, જ્યાં કામરાએ શો પરફોર્મ કર્યો હતો અને રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો કામરા કહેતો સંભળાઈ રહ્યો છે, કે “હોંગે નંગે ચારો ઓર, કરેંગે દંગે ચારો ઓર…” આ સાથે તેણે કાયદા તોડનારાઓ એવું કૅપ્શન પણ આપ્યું હતું.
વિધાનભવનમાં વિવાદ ફાટી નીકળ્યો
આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનભવન પરિસરમાં ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડળકર અને એનસીપી-એસપી નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. વાયરલ વીડિયોમાં, બન્ને પક્ષના કાર્યકરો એકબીજાને ગાળો આપતા અને ધક્કો મારતા જોઈ શકાય છે. આવ્હાડે પત્રકારોને કહ્યું હતું કે “આખું મહારાષ્ટ્ર જાણે છે કે હુમલો કરનાર કોણ હતું. દેશે જોયું છે કે હુમલો કોણે કર્યો, છતાં અમારી પાસે પુરાવા માગવામાં આવી રહ્યા છે. મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, અપશબ્દો કહેવામાં આવ્યા હતા. શું હવે વિધાનભવનમાં આ થવાનું બાકી હતું?”
તેમણે વધુમાં કહ્યું કે જો ધારાસભ્યો પોતે વિધાનભવનમાં સુરક્ષિત નથી, તો પછી અમને ધારાસભ્ય બનવાની શું જરૂર છે? ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડળકરે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને માફી માગી. આ દરમિયાન શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જો ગુંડાઓ વિધાનભવનમાં પહોંચી ગયા હોય તો રાજ્યના ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાનએ જવાબદારી લેવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ કહ્યું કે આ ઘટના મહારાષ્ટ્રની પરંપરા વિરુદ્ધ છે. દેશભરમાં આપણી વિધાનભવનનું ઉદાહરણ આપવામાં આવે છે. તેમણે તેને 2001માં સંસદ પર થયેલા હુમલા સાથે જોડીને કહ્યું કે મુંબઈ હાઈ એલર્ટ પર છે, આવી સ્થિતિમાં વિધાનભવનની સુરક્ષા સાથે આ પ્રકારની છેડછાડ ગંભીર બાબત છે.