12 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે આર્મીની મૂવમેન્ટ અને વ્યૂહાત્મક પોઝિશન્સ સહિતની ખોટી માહિતી સોશ્યલ મીડિયામાં આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સાઇબર પોલીસ આવી પોસ્ટ પર નજર રાખી રહી છે અને અત્યાર સુધી ૫૦૦૦ પોસ્ટ ડિલીટ કરી હોવાનું જાણવા
મળ્યું હતું.
મુંબઈ સાઇબર પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ૭ મેએ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઍર સ્ટ્રાઇક કરી ત્યાર બાદ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આવા સમયે આર્મીના ઑપરેશનના ન્યુઝ વિશે ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવી હોવા છતાં સોશ્યલ મીડિયામાં જાતજાતની પોસ્ટ કરવામાં આવી રહી છે જે ચિંતાનો વિષય છે. ફેક પોસ્ટને હટાવવા માટે સંબંધિત સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને નોટિસ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૫૦૦૦ જેટલી ફેક કે ખોટી માહિતી આપનારી પોસ્ટને હટાવવામાં આવી છે.