24 May, 2026 08:25 AM IST | Gurugram | Gujarati Mid-day Correspondent
નૌહેરા શેખ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ૩૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરીને હીરા ગ્રુપનાં વડાં અને ઉદ્યોગ-સાહસિક નૌહેરા શેખની હરિયાણાના ગુરુગ્રામમાંથી ધરપકડ કરી છે. આ કૌભાંડમાં દેશભરના અંદાજે ૧.૭૨ લાખ રોકાણકારોને નિશાન બનાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તપાસ-એજન્સીએ ખુલાસો કર્યો છે કે નૌહેરા શેખ કુલ ૨૪ બોગસ કંપનીઓ ચલાવતી હતી અને તેના નામે અંદાજે ૧૮૨ જેટલાં બૅન્ક-અકાઉન્ટ્સ ઑપરેટ કરવામાં આવતાં હતાં. EDએ સ્પષ્ટ કર્યું છે કે હીરા ગ્રુપ પાસે કમાણીનો કે રોકાણનો કોઈ વાસ્તવિક કે કાયદેસરનો વ્યવસાય નહોતો. રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા કરોડો રૂપિયાના ફન્ડને વિવિધ શંકાસ્પદ માધ્યમો દ્વારા નૌહેરાનાં અંગત બૅન્ક-ખાતાંઓ અને મિલકતો ખરીદવા માટે ડાઇવર્ટ (તબદીલ) કરવામાં આવ્યાં હતાં.
આ ધરપકડ બાદ હવે ED દ્વારા આ ગુનાહિત કમાણી ક્યાં-ક્યાં રોકવામાં આવી છે અને કઈ મિલકતો ખરીદવામાં આવી છે એની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વાર્ષિક ૩૬ ટકાના વળતરની લાલચ
EDના જણાવ્યા અનુસાર નૌહેરા શેખે સામાન્ય લોકોને તેમના રોકાણ પર વાર્ષિક ૩૬ ટકા જેટલું માતબર અને આકર્ષક વળતર આપવાની ખોટી ખાતરી આપી હતી. આ ઊંચા વળતરની લાલચમાં આવીને હજારો મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની કાયદેસરની કમાણી હીરા ગ્રુપની વિવિધ યોજનાઓમાં રોકી દીધી હતી.