19 July, 2025 07:15 AM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના દુર્ગાપુરમાં જાહેર સભાને સંબોધિત કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં આયોજિત એક રૅલીને સંબોધિત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ ઘુસણખોરોને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પીએમ મોદીએ રૅલી દરમિયાન કહ્યું છે કે “ટીએમસીએ ઘુસણખોરોના પક્ષમાં ઝુંબેશ શરૂ કરી છે અને દેશભરમાં ટીએમસીનું ષડયંત્ર ખુલ્લેઆમ સામે આવ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે તૃણમૂલ સરકાર ઘુસણખોરોના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી છે પરંતુ જે કોઈ આ દેશનો નાગરિક નથી તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળમાં લગભગ 5,400 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આમાં તેલ અને ગૅસ, વીજળી, રેલ અને રસ્તા સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. દુર્ગાપુર રૅલીમાં એકત્ર થયેલી ભીડને સંબોધતા પીએમ મોદીએ રાજ્યની મમતા સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું છે કે ટીએમસીની ગુંડાગીરીને કારણે પશ્ચિમ બંગાળમાં રોકાણ આવી રહ્યું નથી અને રાજ્યનો વિકાસ થઈ રહ્યો નથી.
ઘુસણખોરોને ચેતવણી
રૅલીમાં પીએમ મોદીએ ઘુસણખોરોને કડક ચેતવણી આપી છે. પીએમ મોદીએ કહ્યું, "આજે દેશ સમક્ષ ટીએમસીના કાવતરાઓનો પર્દાફાશ થયો છે કે તેણે ઘુસણખોરોના પક્ષમાં એક નવું અભિયાન શરૂ કર્યું છે. તેઓ દેશની બંધારણીય સંસ્થાઓને પણ પડકાર ફેંકી રહ્યા છે. ટીએમસી હવે તેમના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી છે." પીએમ મોદીએ વધુમાં કહ્યું, પરંતુ હું દુર્ગાપુર રૅલીમાંથી ખુલ્લેઆમ કહી શકું છું કે જે લોકો ભારતના નાગરિક નથી, જેમણે ઘૂસણખોરી કરી છે, તેમની સાથે ભારતના બંધારણ હેઠળ ન્યાયી રીતે વ્યવહાર કરવામાં આવશે."
મમતા સરકાર પર નિશાન સાધ્યું
વડા પ્રધાને રૅલીની શરૂઆત માઁ દુર્ગા અને માઁ કાલીના નારા સાથે કરી. વિકાસ પ્રોજેક્ટ્સ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળ માટે મોટા સપના ધરાવે છે. તેમણે કહ્યું, "ભાજપ વિકસિત પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. ભાજપ સમૃદ્ધ પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. આ બધા પ્રોજેક્ટ્સ આ સપનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ છે." પીએમ મોદીએ મમતા સરકાર પર વધુ નિશાન સાધતા કહ્યું કે એક સમય હતો જ્યારે પશ્ચિમ બંગાળ ઉદ્યોગનું કેન્દ્ર હતું, પરંતુ આજે અહીંના યુવાનો સ્થળાંતર કરવા મજબૂર છે. તેમણે વધુમાં કહ્યું, "અહીંની ટીએમસી સરકાર બંગાળના વિકાસ સામે દિવાલની જેમ ઉભી છે. જે દિવસે આ દિવાલ પડશે, તે દિવસથી જ બંગાળ વિકાસની નવી ગતિ પકડશે. વાસ્તવિક પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે ટીએમસી સરકાર જશે."