બૉમ્બ-બ્લાસ્ટને કારણે ચાંદની ચોકના બજારમાં વેપારીઓને ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન

14 November, 2025 09:41 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે લગ્નની સીઝનને કારણે અહીં ભારે ભીડ રહેતી હતી, પરંતુ અત્યારે માહોલ બદલાયેલો છે.

દિલ્હી બ્લાસ્ટ દુર્ઘટના

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની જગ્યા ચાંદની ચોકથી નજીક હોવાથી ઘણો મોટો ભાગ કૉર્ડન કરી લેવામાં આવ્યો હોવાથી અહીં લોકોની અવરજવર ઘટી ગઈ છે. સામાન્ય રીતે લગ્નની સીઝનને કારણે અહીં ભારે ભીડ રહેતી હતી, પરંતુ અત્યારે માહોલ બદલાયેલો છે. વેપારી વર્ગનું માનવું છે કે દસમી નવેમ્બરે બ્લાસ્ટ થયો એ પછીના દિવસોમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

ચાંદની ચોક દિલ્હીનું દિલ છે અને ૩૦૦ વર્ષ જૂની આ બજારનો ઇતિહાસ મુઘલકાળથી ચાલ્યો આવે છે. લગ્નની સીઝનમાં અહીં રોજ ચારથી પાંચ લાખ લોકો ખરીદી કરવા આવતા હોય છે, પણ બ્લાસ્ટ પછી અહીં ખૂબ ઓછી અવરજવર થઈ ગઈ છે. ચાંદની ચોક વિસ્તારના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે ‘આ ઘટનાની સીધી અસર વેપાર પર પડી છે. માર્કેટ ચાલુ છે, પરંતુ ગ્રાહકો ઘટ્યા હોવાથી કારોબારમાં લગભગ ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયાનું અસ્થાયી નુકસાન થયું છે. જોકે આશા છે કે વાતાવરણ નૉર્મલ થતાં ગ્રાહકો પાછા આવશે અને વેપારની ગાડી પાટે ચડશે.’

india bomb blast delhi news new delhi Crime News