19 July, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુલદીપ યાદવ, કપિલ પાંડે
ઇંગ્લૅન્ડ ટૂરમાં પાંચ મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડ ૨-૧થી આગળ છે, પણ હજી સુધી ભારતીય સ્પિનર કુલદીપ યાદવને રમવાની તક નથી મળી. ઉત્તર પ્રદેશના ૩૦ વર્ષના આ સ્પિનરના બાળપણના કોચ કપિલ પાંડે કહે છે કે ‘કુલદીપ યાદવ હાલમાં શાનદાર ફૉર્મમાં છે. તેણે વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન શાનદાર બોલિંગ કરી હતી. તેને યોગ્ય સમયે ન રમાડવાથી ભારતને ભારે નુકસાન થયું છે. હાલની મૅચમાં બોલર્સ નહીં, બૅટ્સમૅન પણ નિષ્ફળ ગયા છે. કુલદીપ સાથે વાત કરી છે અને તક મળે ત્યારે આગળ વધવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે.’
ભારત નિષ્ણાત બોલરોને બદલે ઑલરાઉન્ડર્સનો સમાવેશ કરીને બૅટિંગ લાઇનઅપમાં ઊંડાણ ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કુલદીપના કોચ એ વિશે કહે છે કે તમે કુલદીપ અથવા બુમરાહ જેવા ખેલાડી પાસેથી ૧૦૦ રન બનાવવાની અપેક્ષા રાખી નથી શકતા એ અવાસ્તવિક વાત છે. ૨૦૧૭થી કુલદીપે ભારત માટે ૧૩ ટેસ્ટમાં ૩.૫૫ની ઍવરેજથી રન આપીને ૫૬ વિકેટ લીધી છે. તેણે ઘરઆંગણે ૯ ટેસ્ટમાં ૩૮ અને વિદેશમાં ૪ ટેસ્ટમાં ૧૮ વિકેટ લીધી છે.