હવે તમે ઑફિસમાં 30 મિનિટથી પણ વધારે કામ કરશો તો ઓવરટાઇમ ગણાશે અને તે કામના તમને અલગથી પૈસા મળશે.
પ્રતીકાત્મક તસવીર
ઓફિસમાં કામના નિયમિત કલાકો કરતાં વધારે કામ જે કર્મચારીઓ કરે છે તેમને હવે તે ઓવર ટાઈમનું પેમેન્ટ મળતું હોય છે. હવે તમે ઑફિસમાં 30 મિનિટથી પણ વધારે કામ કરશો તો ઓવરટાઇમ ગણાશે અને તે કામના તમને અલગથી પૈસા મળશે. કેન્દ્રની મોદી સરકાર પહેલી ઓક્ટોબરથી લેબર કોડ (Labour Code Rules)ના નિયમો લાગૂ કરવા ઈચ્છે છે.
મોદી સરકારનો લેબર કોડનો નવો નિયમ દેશમાં લાગુ થશે તો ઑફિસમાં કામ કરવાની આખી રીત જ બદલાઈ શકે છે. આ નિયમ આવ્યા બાદ તમારા કામના કલાકો પણ વધી શકે છે, પરંતુ તેની સાથે સાથે ઓવરટાઇમના નિયમો પણ બદલાઈ શકે છે. નિયમિત સમય કરતા 30 મિનિટથી વધારે કામ કરશો તો કંપનીને ઓવરટાઇમના પૈસા ચૂકવવા પડશે.
ADVERTISEMENT
ડ્રાફ્ટ નિયમમાં કોઈ પણ કર્મચારી પાસે સતત પાંચ કલાક કામ કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લેબર કોડ નિયમ( Labour Code Rules)લાગૂ થશે તો કોઈ પણ કંપની તેમના કર્મચારીઓ પાસેથી સતત પાંચ કલાકથી વધારે કામ નહીં લઈ શકે. કંપનીએ કર્મચારીઓને બ્રેક આપવો પડશે. કર્મચારીને દર પાંચ કલાક બાદ અડધા કલાકનો વિશ્રામ આપવો પડશે.
બદલાઈ શકે છે આ નિયમો
- હાલ 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ નથી ગણવામાં આવતો.નવા નિયમ પ્રમાણે 15થી 30 મિનિટના વધારાને કામને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઇમમાં સામેલ કરવામાં આવી શકે છે.
- હાલ મોટાભાગની ઑફિસમાં આઠથી નવ કલાકની શિફ્ટ હોય છે.નવા લેબર કોડમાં સતત 12 કલાક કામ કરવાની જોગવાઈ છે. નવા નિયમ પ્રમાણે અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે.
જો કોઈ વ્યક્તિ દરરોજ 8 કલાક કામ કરે છે તો તેણે અઠવાડિયામાં છ દિવસ કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ 9 દિવસ કામ કરે છે તો તેણે પાંચ દિવસ કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ 12 કલાક કામ કરે છે તો તેણે અઠવાડિયામાં ત્રણ રજા મળશે. જોકે, લેબર યૂનિયન 12 કલાકની નોકરીનો વિરોધ કરે છે.
- કર્મચારીને હાથ પર આવતો પગાર ઓછો થશે. કારણ, નવા નિયમ પ્રમાણે મૂળ વેતન કુલ પગારના 50 ટકા કે તેનાથી વધારે હોવું જોઈએ. જેનાથી મોટાભાગના કર્મચારીઓનું પગારનું માળખું બદલાઈ જશે. જેના પગલે બેઝિક પગાર પર PF અને ગ્રેચ્યુટી તરીકે કપાતી રકમ વધી જશે. કારણ કે બેઝિક પગારની અમુક ટકાવારી રકમ આ બંનેમાં જાય છે.
લેબર કોડના નવા નિયમને પહેલી એપ્રિલ, 2021થી લાગૂ કરવામાં આવ્યા હોત, પરંતુ રાજ્યોની તૈયારી ન હોવાથી અને કંપનીઓએ પોતાની એચઆર પોલીસીમાં બદલાવ કરવા માટે સમય જોઈતો હોવાથી આ નિર્ણય ટળી ગયો હતો.
લેબર મંત્રાલયના જણાવ્યાં અનુસાર આ નિર્ણય પહેલી ઓક્ટોબર સુધી ટળી ગયો છે. હવે શ્રમ મંત્રાલય આ લેબર કોડને પહેલી ઓક્ટોબરથી લાગુ કરી શકે છે. નોંધનીય છે કે આ નિયમ સપ્ટેમ્બર 2020માં પાસ કરવામાં આવ્યો હતો.