આયાત કરેલી ચામાંથી અડધાથી પણ ઓછી ચા પુનઃ નિકાસ થતી હોવાથી મોટી મુશ્કેલી
પ્રતિકાત્મક તસવીર
નેપાલમાંથી ડ્યુટી ફ્રી ચાની આયાત કે જે પુનઃ નિકાસ કરવાના હેતુસર છૂટ મળી છે, પરંતુ આ ચાની મોટા પાયે આયાત થવાને પગલે સ્થાનિક ચા ઉદ્યોગને મોટી મુશ્કેલી પડી રહી હોવાનું સ્થાનિક ઉત્પાદકોએ જણાવ્યું હતું.
મેકલિયોડ રસેલ્સના ડિરેક્ટર અજામ મોનેમે જણાવ્યું હતું કે નેપાલથી ડ્યુટી ફ્રીના નામે ચાની બલ્કમાં આયાત થઈ રહી છે, પરંતુ એ તમામ ચાની પુનઃ નિકાસ થતી નથી, જેને પગલે સ્થાનિક ચા ઉદ્યોગને મોટી તકલીફ પડી રહી છે.
તેમણે કહ્યું કે નેપાલથી મોટી માત્રામાં ચાની આયાત થાય છે અને જે ખરેખર આફ્રિકા, આર્જેન્ટિના, વિયેતનામની હોય છે અને ભારતમાં સસ્તામાં નિકાસ થાય છે. આવી આયાત થયેલી ચાને ભારતીય નિકાસકારોમાંથી કેટલાક નિકાસકારો ભારતીય ચાના નામે નિકાસ કરી રહ્યા છે, જેને પગલે ભારતીય ચાની ક્વૉલિટીને પણ અસર પહોંચી છે. ભારતની સારી ક્વૉલિટીની જે છાપ છે એને પણ અસરકર્તા રહે છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં આશરે ૬૦૦ લાખ કિલો ચાની આયાત થઈ છે અને એની અડધાથી પણ ઓછી ચાની પુનઃ નિકાસ થઈ છે. મોટા ભાગની ચા નેપાલથી જ આયાત થાય છે અને ભારતીય ચા ઉદ્યોગને મોટા પાયે અસર કરે છે.