૨૨ ટકા લોકોની ઘરની સ્થિતિ પહેલાંની તુલનાએ ખરાબ થઈ હોવાનું પણ સર્વેમાં જણાવાયું
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
દેશના મોટા ભાગના શહેરી લોકોએ એક સર્વેમાં જણાવ્યું હતું કે ફુગાવાના ઊંચા સ્તરને કારણે ૧૨ મહિના પહેલાંની સરખામણીમાં તેમનો જીવનખર્ચ અમુક અંશે વધી ગયો છે, એમ એક સર્વેમાં જણાવાયું છે.
ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ યુજીઓવી દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ, મુલાકાત લીધેલા લગભગ અડધા શહેરી ભારતીયોએ (૪૬ ટકા) જણાવ્યું હતું કે તેમના જીવન ખર્ચમાં ઘણો વધારો થયો છે, જ્યારે ૧૦માંથી ત્રણ (૩૧ ટકા) માટે એ થોડો વધ્યો છે.
તેમના જીવન ખર્ચ પર અસર અનુભવી હોવા છતાં માત્ર ૨૨ ટકા શહેરી ભારતીયોએ જણાવ્યું હતું કે તેમના ઘરની આર્થિક સ્થિતિ ૧૨ મહિના પહેલાંની સરખામણીમાં વધુ ખરાબ થઈ છે. ૧૦માંથી ત્રણ (૩૦ ટકા) માને છે કે એ વધુ સારું બન્યું છે, જ્યારે ૪૨ ટકાને તેમની નાણાકીય સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી એમ જણાવ્યું હતું.
ફુગાવો ડિસેમ્બર સુધી લક્ષ્યાંકથી ઉપર રહેશે
ADVERTISEMENT
મોંઘવારીનો દર-ફુગાવો ડિસેમ્બર ૨૦૨૨ સુધી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના છ ટકાના ઉપલા લક્ષ્યાંક સ્તર કરતાં ઊંચો રહેવાની ધારણા છે એમ રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે.
ડિસેમ્બર સુધી આ દર લક્ષ્યાંકથી ઉપર રહેશે અને ત્યાર પછી એ અમારા વર્તમાન અનુમાન મુજબ છ ટકાથી નીચે જવાની ધારણા છે. ફુગાવામાં દબાણ આવશે અને એ માત્ર ચોથા ક્વૉર્ટરમાં જ આવશે, જ્યાં આ દર છ ટકાથી નીચે જઈ શકે છે એમ દાસે એક અખબાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. ગવર્નરે જણાવ્યું હતું કે ફુગાવો હાલમાં વિશ્વની મોટા ભાગની અર્થવ્યવસ્થાઓ સામેનો સૌથી મોટો પડકાર છે.