પરમ તત્ત્વને પામવાના અલૌકિક સુખની પ્રક્રિયાને રજૂ કરવાના આશયથી ગોરેગામના બિઝનેસમૅન રિષભ શાહે કેટલાંક ચિત્રો દોર્યાં છે. આચાર્ય સુનીલસાગરજી મહારાજનાં વિવિધ પરંપરાઓ અભિવ્યક્ત કરતાં લગભગ ૩૨ પોર્ટ્રેટ્સ તેમણે રચ્યાં છે જેનું એક્ઝિબિશન જોવા જેવું છે
બિઝનેસમૅનની આધ્યાત્મિક ક્ષેત્રની કળાત્મક યાત્રા
નખશિખ વાણિયાના દીકરાના લોહીમાં જ બિઝનેસ હોય એ સ્વાભાવિક છે, પણ તેને કળાકાર બનવું હોય તો? શરૂમાં તકલીફ જરૂર પડે પણ પૅશન એનો પ્રવાહ કોઈક રીતે શોધી જ કાઢે છે એવું ગોરેગામમાં રહેતા રિષભ શાહનું માનવું છે. ગુજરાતી જૈન જૉઇન્ટ ફૅમિલીમાં ઉછરેલા ૪૨ વર્ષના આ બિઝનેસમૅને ધંધામાં સફળતાની ઊંચાઈઓ સર કર્યા પછી હવે પોતાના પૅશનને મોકો આપવાનો દૃઢ નિર્ધાર કર્યો છે અને એના ભાગરૂપે તૈયાર થયું છે કેટલાક ચિત્રોનું એક મજાનું કલેક્શન.
એન્જિનિયરિંગ જૉબવર્કનો બિઝનેસ કરતા રિષભભાઈને બહુ નાની ઉંમરથી જ કળા માટે વિશેષ લગાવ હતો, પણ એ પૅશનને તેઓ ફૉલો કેમ ન કરી શક્યા એની વાત કરતાં રિષભભાઈ કહે છે, ‘જૈન વાણિયાનો દીકરો છું એટલે મારા પપ્પા મારા આર્ટના ઝુકાવને રિસ્પેક્ટ આપતા, પણ સાથે કહેતા કે એ હૉબી જ રહેવી જોઈએ. બિઝનેસ એ બિઝનેસ છે અને હૉબી એ હૉબી. એમ છતાં મારો જીવ આર્ટમાં વધુ લાગે. જોકે લોહીમાં જ વેપાર હોય એટલે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવામાં કોઈ તકલીફ ન પડી. એન્જિનિયરિંગ જૉબવર્કના ફીલ્ડમાં નામ બન્યું, પણ સંતોષ ન મળ્યો.’
કવિતાઓ લખવાનો શોખ અને મનના વિચારોને ચિત્રો દ્વારા અભિવ્યક્ત કરવાની પૅશન વચ્ચે પણ તેમણે બિઝનેસ બખૂબી સંભાળ્યો. જોકે લૉકડાઉનની શરૂઆતમાં મન ખૂબ વિચલિત થયું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એક સમય એવો આવ્યો જ્યારે મન ખૂબ ગૂંગળામણ અનુભવતું હતું. ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી જેવું પણ લાગ્યું અને એ વખતે મને સમજાઈ ગયું કે મારું પૅશન જ મને મુક્તતા અપાવશે. હું વધુ સમય પેઇન્ટિંગ્સમાં આપવા લાગ્યો અને ચિત્રો દોરતો ગયો એમ મારી અંદરનો આર્ટિસ્ટ જાગી ગયો. આધ્યાત્મ તરફ પણ ઝુકાવ હતો એટલે થયું કે હવે કરીઅરને એક સકારાત્મક વળાંક આપું. છેલ્લા એક વરસમાં કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. મારા ગુરુ અને જૈનમુનિ આચાર્ય સુનીલ સાગરજીની દીક્ષાને પચીસ વર્ષ થઈ રહ્યા હતા એટલે રજતજયંતિની ઊજવણી નિમિત્તે મેં જૈન ધર્મની પરંપરાઓ અને ઉપદેશોનું નિદર્શન થાય એ રીતના પોર્ટ્રેટ્સ બનાવવાનું શરૂ કર્યું.’
જૈન ધર્મની પરંપરાઓનું નિદર્શન કરતા અને ત્યાગની મહિમા સમજાવતા રિષભા શાહે દોરેલા પોર્ટ્રેટ્સનું એક્ઝિબિશન આ શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. આ પ્રદર્શનીની ખાસિયત વર્ણવતાં રિષભભાઈ કહે છે, ‘આજના યુવાનો ધર્મને બહુ ગંભીર વિષય માને છે. આજની પેઢીને કળા, ધર્મ અને આધ્યાત્મ તરફ વાળી શકાય એવા આશયથી આ પોર્ટ્રેટ્સ તૈયાર કર્યાં છે. એમાં માત્ર ચારકોલ અને પેન્સિલનો જ ઉપયોગ કર્યો છે. એ બેસિક મોનોક્રોમ આર્ટ હોવાથી એની થીમ જ છે બ્લૅક ઍન્ડ વાઇટ. જૈન ધર્મના જ્ઞાનપિપાસુ તરીકે મેં જે ધર્મનો સાર ગ્રહણ કર્યો છે એને આર્ટરૂપે રજૂ કરવાની મારી નમ્ર કોશિશ છે.’
મુક્તિ પથ પ્રકાશક
ક્યારે? : ૧૧થી ૧૭ માર્ચ
ક્યાં? : ધ બૉમ્બે આર્ટ સોસાયટી, કેસી માર્ગ, બાંદરા રેક્લૅમેશન, બાંદરા-વેસ્ટ.
ક્યાં? : વર્સોવા-સોશ્યલ, પ્લૉટ-નંબર બી, સીટીએસ ૧૩૧૧/૨, સાવિત્રીબાઈ જ્યોતિબા ફુલે રોડ, અંધેરી-વેસ્ટ. ૪૦૦ ૦૬૧
સમય : બપોરે ૧૧થી રાતે ૭