મારું પાત્ર ખૂબ સ્ટ્રૉન્ગ છે, પરંતુ સાથે જ ભાવનાત્મક રીતે પણ તે ઇમોશનલ હોય છે. દિયા તેની લાઇફમાં આશાની નવી કિરણ લઈને આવે છે.
કૃશલ અહુજા
ઝી ટીવી પર ટૂંક સમયમાં શરૂ થનાર નવી સિરિયલ ‘રિશ્તો કા માંઝા’ દ્વારા ટેલિવિઝનમાં એન્ટ્રી કરનાર કૃશલ આહુજા માટે આ સપનું પૂરું થવા સમાન છે. આ સિરિયલમાં અર્જુનના રોલમાં કૃશલ જોવા મળશે. શોમાં આંચલ ગોસ્વામી પણ લીડ રોલમાં જોવા મળશે. શોમાં તે દિયાનો રોલ ભજવતી દેખાશે. સિરિયલમાં અર્જુન અને દિયાની લવ સ્ટોરી દેખાશે. દિયા બંગાળી યુવતીનું પાત્ર ભજવશે. તે કદી પણ હાર માનતી નથી. તેના આવા જ સકારાત્મક વિચારોને કારણે તે નોખી તરી આવે છે. અર્જુન એક મારવાડી બિઝનેસ પરિવારનો છે. તેની કરીઅર પર કૌભાંડનો દાગ લાગતાં તેને કુટુંબ તરફથી કોઈ સપોર્ટ નથી મળતો. એ સમયે દિયા તેના પડખે ઊભી રહે છે જે તેના જીવનમાં આશાનું નવું કિરણ લઈને આવે છે. પોતાના પાત્ર વિશે કૃશલે કહ્યું હતું કે ‘આ રોલ મળવો મારા માટે એક સપનું પૂરું થવા સમાન છે. મેં જ્યારથી ઍક્ટિંગને મારો પ્રોફેશન બનાવી છે ત્યારથી હું હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં તક મળે એની રાહ જોતો હતો. બંગાળી ટીવીમાં અનેક રોલ્સ ભજવ્યા બાદ, છેવટે મને હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં તક મળી ગઈ છે. મારા માટે આ અદ્ભુત બાબત છે. મેં અત્યાર સુધી ભજવેલાં પાત્રો કરતાં અર્જુનનું પાત્ર અલગ છે. મારા માટે આ પડકારજનક તો રહેશે જ, પરંતુ સાથે જ એક્સાઇટિંગ, તેના ઇમોશન્સને જીવંત કરવાનો અનુભવ પણ રહેશે. મારું પાત્ર ખૂબ સ્ટ્રૉન્ગ છે, પરંતુ સાથે જ ભાવનાત્મક રીતે પણ તે ઇમોશનલ હોય છે. દિયા તેની લાઇફમાં આશાની નવી કિરણ લઈને આવે છે. પ્રામાણિકપણે કહું તો હિન્દી સિરિયલમાં શરૂઆત કરવા માટે આનાથી સારું પાત્ર મારા માટે કોઈ ન હોઈ શકે. આ શોમાં સામેલ થવા માટે હું પોતાને નસીબદાર માનું છું. આ શોનું શૂટિંગ અમે હાલમાં જ શરૂ કર્યું છે. એ પણ મારા ઘર બંગાળથી. એથી આ સુંદર જર્નીની શરૂઆત માટે હું થનગની રહ્યો છું. હું એટલું જ ચાહી રહ્યો છું કે હું મારા દર્શકોની અપેક્ષાએ ખરો ઊતરું અને અર્જુનના પાત્ર સાથે ન્યાય કરી શકું.’