પ્રભુ મહાવીરની વાણી અભિપ્રાયોનું અવતરણ નહીં પણ અનુભવોનું તારણ છે અને સંસારમાં ઓપિનિયન કરતાં એક્સપિરિયન્સ હંમેશાં બળવત રહેવાનો
પ્રતીકાત્મક તસવીર
૨૫૦૦ વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરે ઉપદેશેલ જગતકલ્યાણક જિનવાણી આજેય એટલી જ આદરણીય, અનુકરણીય, અનુમોદનીય અને અભિનંદનીય છે. કારણકે એ પરફેક્ટ છે, એ પ્રેક્ટિકલ છે, એ સાયન્ટિફિક અને સાયકોલૉજિકલ છે. પ્રભુ મહાવીરની વાણી અભિપ્રાયોનું અવતરણ નહીં પણ અનુભવોનું તારણ છે અને સંસારમાં ઓપિનિયન કરતાં એક્સપિરિયન્સ હંમેશાં બળવત રહેવાનો. ‘સિમ્પલ લિવિંગ, હાઇ થિકિંગ’ની અલૌકિક જીવનકલા ભગવાન મહાવીરે સ્વયં જીવી અને પછી જગતને શીખવાડી. એમનો સંદેશ છે,
જીવ માત્ર શિવસ્વરૂપ છે, સૌને ચાહો અને સૌનું કલ્યાણ ચાહો.
ADVERTISEMENT
જીવ માત્ર ભૂલને પાત્ર છે, સૌની ક્ષમા ચાહો અને સૌને ક્ષમા આપો.
સ્વપર કલ્યાણકારી જીવનશૈલીના અનેક દૃષ્ટિકોણ પૈકીનું એક દૃષ્ટિકોણ એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની વિચારણા. ક્ષેત્રને કાલ અનુસાર દ્રવ્ય ગ્રહણ થાય અને તે અનુસાર ભાવોત્પત્તિ થાય. જૈન તીર્થ અને જૈન પર્વને કેન્દ્રમાં રાખી આપણે એ દૃષ્ટિકોણને જોઈએ.
ગૃહસ્થાશ્રમની પાપ પ્રવૃત્તિમાં વર્તતો જીવ આધ્યાત્મિક દૃષ્ટિએ અશુભ વર્તતો ગણાય. તે તીર્થ આદિ ધર્મક્ષેત્રમાં જાય, શુભ દ્રવ્ય અને શુભ ભક્તિભાવમાં જોડાય તો અશુભમાંથી શુભમાં ગયો કહેવાય. પુનઃ નિરંતર કે પછી વારંવાર એમાં જવાથી, ભક્તિભાવમાં રહેવાથી, સ્વદોષ દર્શન કરવાથી, પ્રભુગુહા પરિચયની ભૂમિકાને સ્પર્શવાથી શુભમાંથી જીવ-શુદ્ધમાં જવાનો અભિલાષી બને, એ અભિલાષા સબળ બને, સક્રિય બને અને જો એવું બને તો જ સિદ્ધિત્વ પ્રાપ્તિની ભૂમિકા રચાય.
પરમાત્માનું પોતાનું એવું મહાન ઓજસ્વી જીવન, જેનું સ્મરણ, જેનું ગુણ કીર્તન, જેનું પૂજન, જેના દિવ્યઊર્જા ભરપૂર પ્રતિમા આદિનું અંગપૂજન દ્વારા સ્પર્શન. હજારો ભક્તોની સમર્પણભાવની શ્રેષ્ઠ ભક્તિના સ્પંદનો દ્વારા અતિ આંદોલિત થયેલાં તીર્થસ્થાનમાં હકારાત્મક ઊર્જા હોય છે. મન શાંત અને સ્વાત્મા સાથે એકાકાર થઈ આંતરિક શાંતિની અનુભૂતિ ભક્ત સમર્પણ અને સકારાત્મક સદ્ભાવપૂર્વક જ્યારે ભક્તિમાં પ્રવૃત્ત થાય ત્યારે નમસ્કારથી ચમત્કાર પ્રારંભ થાય છે. અભિપ્રાયો અનુભવમાં બદલાય છે. પાપોનું પુનરાવર્તન અટકે છે અને સદ્ગુણો દ્વારા જીવનનું પરિવર્તન થાય છે. આમ ‘તારે તે તીર્થ’ની સુક્તિ સાર્થક રીતે સાકાર બને છે.
ચૈત્ય એટલે જિનાલય, જિનાલયમાં જવું કેમ જરૂરી છે? એક પ્રાસંગિક અનુભવ દ્વારા જોઈએ.
જિનાલયના ભાવ અનમોલ હોય છે. એક યુવાન લગ્ન કરવા જતો હતો ત્યારે જિનાલય પાસેથી પસાર થયો જ્યાં સ્નાત્ર પૂજા ચાલતી હતી, ભગવાનની પૂજા કરવા માટે અત્તરનો પણ ઉપયોગ થાય. તે યુવાનના મનમાં ભાવ જાગ્યા અને તેણે સ્નાત્રપૂજા ભણાવવાવાળા સંઘને કહ્યું કે હું અત્તર લઈને થોડીવારમાં આવું છું.
યુવાન લગ્નમંડપમાં ગયો, ત્યાં એને વિધિમાં ઘણો સમય ગયો અને પેલી તરફ પૂજા ભણાવવાવાળાઓ તેની રાહ જોયા કરે. લાંબો સમય રાહ જોયા પછી જિનાલયમાં પૂજા સંપન્ન કરી લીધી. યુવાનને પસ્તાવો થયો. પસ્તાવો એ પરાકાષ્ઠાએ પહોંચ્યો કે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. કહેવાય છે ને, પસ્તાવાનું વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
અંતઃકરણથી કરેલા પસ્તાવાથી તો પાપીનો પણ ઉદ્ધાર થાય છે. અહીં આ યુવાનના પસ્તાવાની પરાકાષ્ઠાએ તેનો ભવ સુધારી દીધો. આમ ચૈત્ય એટલે કે જે ભૂમિનું એક આગવું મહત્ત્વ છે અને આથી જ એક કર્તવ્યરૂપે ચૈત્ય પરિપાટી, જિનમંદિરની ભૂમિના માત્ર સ્પર્શથી ભવ તરી જવાય છે, કર્તવ્ય આપણે નિભાવવાનું છે.
તારે જે સર્વને, સેવીએ તે પર્વને.
આ વ્યાખ્યા જૈન પર્વની કાંઈક અલગ વિશેષતાને સૂચવે છે. પરમાત્માના વિશિષ્ટ કલ્યાણક દિવસો હોય ત્યારે ઉપરોક્ત નુકસાનને નફામાં પરિવર્તન કરતી જૈન તપશ્ચર્યા સહિતની સૌનું કલ્યાણ ઝંખતી જૈન પર્વારાધના ખરેખર જગત માટે વરદાનરૂપ છે.
ટીટ ફોર ટેટ નહીં, પણ ગીવ ઍન્ડ ગેટ
જેવા સાથે તેવા નહીં, પણ આપો અને પામો
જેવા મહાન સિદ્ધાંતોને જીવી સ્વઅનુભવના આધારે એ જગતને આપનાર અહિંસામૂર્તિ અને કરુણાસાગર એવા આદર્શપુરુષ મહાવીરના વાણી-જ્ઞાનને આપણે આજે અહીં વિરામ આપીએ ત્યાં સુધી, જૈનમ જયતિ શાસનમ્.