ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગુજરાત બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે કલાક બેઠક યોજી હતી અને સંગઠનના મુદ્દે મસલત કરી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગાંધીનગરમાં અન્ડરપાસનું ઉદ્ઘાટન કર્યું હતું.
અમદાવાદ ઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગુજરાત બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે કલાક બેઠક યોજી હતી અને સંગઠનના મુદ્દે મસલત કરી હતી.
અમિત શાહ ગઈ કાલે બપોરે ગાંધીનગર–કોબા વચ્ચે આવેલા બીજેપીના મુખ્ય પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. તેઓએ બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે સાથે તેઓએ બેઠક કરી હતી. કહેવાઈ રહ્યું છે કે અમિત શાહે વિધાનસભાની ચૂંટણીને લઈને આ બેઠકમાં ચર્ચા કરવા સાથે ગુજરાતમાં સંગઠન પર ભાર મૂક્યો હશે. વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનને પૂરી તાકાતથી કામે લગાવવા અને છેવાડાના નાગરિકો સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપ્યું હશે.
અમિત શાહે ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ગ – ૪ જંક્શન પર અન્ડરપાસનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત ૧૫૦ બેડની હૉસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ૭૫૦ બેડની આદર્શ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. સાંજે તેઓએ લેકાવાડા ખાતે ગુજરાત ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીના નવા કૅમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું.