ગુજરાતમાં કાયદો કડક છે એટલે મહારાષ્ટ્રમાં જઈને હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરતા વિધર્મીઓને રોકવા પોલીસ સમક્ષ માગણી, ઉમરગામમાં બનેલા કિસ્સા સામે જૈન અને હિન્દુ સમાજે વલસાડ જિલ્લાના SPને મળીને કરી રજૂઆત
સમાજના અગ્રણીઓએ પોલીસ-અધિકારીને આવેદનપત્ર આપીને લવ જેહાદના કિસ્સા સામે રજૂઆત કરીને પગલાં ભરવાની માગણી કરી હતી
ગુજરાત અને મહારાષ્ટ્રની બૉર્ડર પર છેલ્લા કેટલાક મહિનાથી બની રહેલા લવ જેહાદના કિસ્સાથી જૈન સમાજ અને હિન્દુ સમાજ ચિંતિત છે. ઉમરગામ તાલુકામાં થઈ રહેલા લવ જેહાદના કિસ્સા સામે જૈન સહિત હિન્દુ સમાજના અગ્રણીઓએ ગઈ કાલે વલસાડ જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SP)ને મળીને રજૂઆત કરી છે.
ઉચ્ચ પોલીસ-અધિકારીને રજૂઆત કરવા ગયેલા જૈન સમાજના આગેવાનો પૈકીના એક પીયૂષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વલસાડ જિલ્લાના SP યુવરાજસિંહ જાડેજાને સમાજના આગેવાનોએ મળીને લવ જેહાદના કિસ્સાના મુદ્દે રજૂઆત કરી હતી. ઉમરગામ તાલુકામાં અને ખાસ કરીને સંજાણમાં વિધર્મી છોકરાઓ દ્વારા જૈન અને હિન્દુ સમાજની છોકરીઓને ફસાવીને લગ્ન કરવાના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં વિધર્મીએ એક જૈન છોકરીને ફસાવીને તેનાં મમ્મી-પપ્પાને અંધારામાં રાખીને લંડન લઈ જઈને લગ્ન કરી કરી લીધાં હતાં. આવી ઘટના બની રહી હોવાથી સમાજ બેસી રહે એ નહીં ચાલે. લવ જેહાદના કિસ્સા રોકવાની કોશિશ કરવી પડશે. ગુજરાતમાં કાયદો કડક છે એટલે આવા લોકો મહારાષ્ટ્રમાં જઈને લગ્ન કરે છે જેથી આવી ઘટનાઓને રોકવા અને પગલાં ભરવા પોલીસ-અધિકારી સમક્ષ માગણી કરવામાં આવી છે.’
ADVERTISEMENT
આવેદનપત્રમાં શું રજૂઆત છે?
પોલીસ-અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે...
• છેલ્લા કેટલાક સમયથી સંજાણ અને આજુબાજુના વિધર્મી યુવકો દહાણુ, ઘોલવડ, ઉમરગામ, સંજાણ, સરીગામ, વાપી તથા આજુબાજુની જૈન અને હિન્દુ છોકરીઓને ફસાવીને ધર્માંતરણ કરાવીને લગ્ન કરે છે. હવે ગુજરાતમાં કાયદો કડક છે એટલે આ યુવકો મહારાષ્ટ્રના પાલઘરમાં જઈને લગ્ન કરે છે.
• સ્કૂલ-કૉલેજની આસપાસના વિસ્તારોમાં યુવાનો ગૅન્ગ બનાવીને પોતાની જાત છુપાવીને હિન્દુ સમાજની છોકરીઓને ફસાવી રહ્યા છે જેથી સ્કૂલ-કૉલેજોમાં મહિલા પોલીસ દ્વારા તપાસ કરાવવામાં આવે.
• લંડનમાં લઈ જઈને લગ્ન કરવાના કેસમાં સ્થળાંતર માટે આર્થિક મદદ, ટિકિટ, વીઝા કોણે પૂરાં પાડ્યાં; ત્યાં ઘરની વ્યવસ્થા કઈ વ્યક્તિઓ અથવા સંગઠને કે કોણે ઉપલબ્ધ કરાવી એ અને આ ષડ્યંત્રમાં કોણ સામેલ છે એની તપાસ કરાવવામાં આવે.
