પાછલા દિવસોમાં બંગલા દેશમાં ફાટી નીકળેલી કોમી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને ૬ થઈ છે.
હિંદુઓ વિરુદ્ધ થયેલી હિંસા વિરુદ્ધ ઢાકામાં પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ.
સ્થાનિક લઘુમતી સંગઠનોએ જાહેર કરેલી માહિતી પ્રમાણે બંગલા દેશમાં ૭૦ જેટલાં હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. બંગલા દેશમાં ૧૩ ઑક્ટોબરે સોશ્યલ મીડિયા પર ફેલાયેલી અફવાને કારણે કેટલાક વિસ્તારોમાં કોમી હિંસા ફાટી નીકળી હતી જે પછીથી ચાંદપુર, નોઆખલી, કિશોરગંજ, ચિતગૉન્ગ, ફેની અને રંગપુર જેવા અનેક વિસ્તારોમાં ફેલાઈ હતી. આ હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ આવ્યા હતા, જ્યારે મૃતકોની સંખ્યા ૬ ઉપર પહોંચી છે. આ હિંસા માટે અત્યાર સુધી ૭ પોલીસ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. રંગપુરના એક ગામમાં કોમી હિંસામાં ૬૬ જેટલા પરિવારોના ઘર તબાહ કરી નાખવામાં આવ્યા છે. કટ્ટરપંથીઓ દ્વારા મંદિરો અને દુકાનોમાં લૂંટ મચાવીને રોકડ રકમની ચોરીઓ પણ કરવામાં આવી હોવાના આરોપ છે. બીજી તરફ બંગલા દેશમાં આ હિંસાના આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માગ સાથે વિરોધ-પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે.