જો પહેલા ઇન્ફેક્શન વખતે વાઇરલ લોડ ઓછો હોય અને દરદીમાં પૂરતા પ્રમાણમાં ઇમ્યુન રિસ્પૉન્સ અને ઍન્ટિ-બૉડીઝ ડેવલપ ન થયાં હોય તો એ પૉસિબલ છે
પ્રતીકાત્મક તસવીર
કોરોનાનો લેટેસ્ટ અને ખૂબ જ સ્પીડથી ફેલાતો વેરિઅન્ટ ઓમાઇક્રોન એક જ વ્યક્તિને બે વખત ઇન્ફેક્ટ કરી શકે છે? એક્સપર્ટ્સ કહે છે કે એ શક્ય છે. સમગ્ર દુનિયામાં ઓમાઇક્રોનના કેસ ચિંતાજનક દરે વધી રહ્યા છે. અમેરિકાના એપિડેમિયોલૉજિસ્ટ એરિક ફીગેલ ડિંગ કહે છે કે ઓમાઇક્રોનનું રીઇન્ફેક્શન ચોક્કસ જ શક્ય છે. જો પહેલી વખત ઓમાઇક્રોનનું ઇન્ફેક્શન ‘લો ડોઝ’ (એટલે કે વાઇરલ લોડ ઓછો હોય)નું હોય કે જેનાથી દરદીમાં પૂરતા પ્રમાણમાં ઇમ્યુન રિસ્પૉન્સ અને ઍન્ટિ-બૉડીઝ ડેવલપ ન થયાં હોય એવી સ્થિતિમાં ફરી ઓમાઇક્રોનનું ઇન્ફેક્શન થાય તો એની તીવ્રતા વધારે હોય.
આ એપિડેમિયોલૉજિસ્ટે ટ્વીટ કર્યું હતું કે ‘ઓમાઇક્રોનના નવા રીઇન્ફેક્શનના તાજેતરમાં અનેક કેસ આવ્યા છે. એ ચોક્કસ જ શક્ય છે કે જો પહેલું ઓમાઇક્રોનનું ઇન્ફેક્શન લો ડોઝનું હોય જેનાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં ઍન્ટિ-બૉડીઝ ડેવલપ ન થયાં હોય કે પછી દરદીની રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી હોય. એટલા માટે જ કાળજી રાખવાની જરૂર છે.’
કોરોનાની મહામારીમાં નવા-નવા વેરિઅન્ટ્સ આવવાની સાથે કોરોનાનાં રીઇન્ફેક્શન્સના કેસ પણ આવી રહ્યા છે. જોવા મળ્યું છે કે એક વખત કોરોનાથી સંક્રમિત વ્યક્તિને રીઇન્ફેક્શનનું જોખમ રહે છે. વળી કોરોનાની રસી મેળવનાર વ્યક્તિઓને પણ ઇન્ફેક્શન થઈ રહ્યું છે. વૅક્સિન ભલે આ બીમારીને અટકાવતી નથી, પરંતુ એ તીવ્રતા અને મૃત્યુ સામે પ્રોટેક્ટ કરે છે.
સામાન્ય રીતે કોરોનાથી ઇન્ફેક્શનની સ્થિતિમાં સાતથી નવ મહિના માટે નૅચરલ ઇમ્યુનિટી શરીરમાં ડેવલપ થાય છે. એટલે જો ઓમાઇક્રોન રીઇન્ફેક્શનના કેસ આવે તો એનો અર્થ એ થાય છે કે આ નૅચરલ ઇમ્યુનિટી માટેનો સમયગાળો ઘટી જાય છે.