ઘાટકોપરની યેશા દેસાઈએ ૩૦ ઉપવાસ બાદ એની ઉજવણી કરવાને બદલે એટલા પૈસા પાંજરાપોળમાં અને જરૂરિયાતમંદોની મદદમાં વાપર્યા
યેશા દેસાઈ
૩૦ વર્ષની યેશા દેસાઈએ ૧૨ ઑગસ્ટે માસક્ષમણ આદર્યું ત્યારથી નક્કી કર્યું હતું કે જો આ તપમાં આગળ વધાશે તો આ મહાતપનું ઉજવણું અનોખી રીતે કરીશું. સાંજી અને જમણવાર વગેરે રાખી પૈસાને પોતાના માટે વાપરવાને બદલે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈને લક્ષ્મીનો ખરા અર્થમાં ઉપયોગ કરીશ. ઘાટકોપર (વેસ્ટ)ના સંઘાણી એસ્ટેટમાં રહેતી યેશા દેસાઈનો માસક્ષમણનો સંકલ્પ પૂરો થયો અને તપધર્મના ઉજવણા નિમિત્તે તેણે પાંચ લાખ રૂપિયાનો સદ્કાર્યો માટે ખર્ચ કર્યો.
મેડિકલ બાયોટેક્નૉલૉજીમાં માસ્ટર્સ કરનાર યેશા દોઢ વર્ષ પહેલાં જૉબ છોડીને વર્ધમાન સંસ્કારધામ, ઘાટકોપર બ્રાન્ચની સાધર્મિક સહાયમાં સેવાભાવે જોડાઈ. યેશા કહે છે, ‘કોરોનાએ આખા વિશ્વમાં કમઠાણ મચાવ્યું જેમાં સૌથી મોટો ફટકો મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગને પડ્યો. આ લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે કોઈની સહાય વગર જીવવું દુષ્કર હતું. આ સંસ્થા આવા પરિવારોને મદદ કરતી હતી અને હું એમાં ઍક્ટિવ હતી એટલે તેમની દારુણ પરિસ્થિતિનો મને ખ્યાલ હતો. આથી જ્યારે માસક્ષમણ કરવાની ભાવના થઈ અને દેવગુરુ પસાયે આ તપ પૂર્ણ થયું ત્યારે નક્કી કર્યું કે પોતાના માટે પૈસા વાપરી નાખવાને બદલે એવા ક્ષેત્રમાં પૈસા વાપરીએ જ્યાં એની ખરેખર જરૂરિયાત છે.’
ADVERTISEMENT
યેશાના હસબન્ડ વિવેક અને તેના પરિવારજનોએ યેશાનો આ પ્રસ્તાવ સહર્ષ વધાવી લીધો.
દેસાઈ પરિવારે મહારાષ્ટ્રના ધુળિયા અને સંગમનેર તેમ જ રાજકોટ પાસે આવેલા જેતપુરની પાંજરાપોળમાં પચાસ-પચાસ હજાર રૂપિયાનું ડોનેશન કર્યું. મુંબઈ અને એની આસપાસ રહેતા ૩૦ સાધર્મિક પરિવારોના અકાઉન્ટમાં પાંચ-પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા અને પાંચસો નિરાધાર પરિવારોને મહિનાનું રાશન, કપડાં અને બાળકોને સ્ટેશનરીની કિટ મોકલી આપી. કૂલિંગ પ્લાન્ટ માટે જરૂરી મશીનરીનું ઉત્પાદન કરતા વિવેક દેસાઈ કહે છે, ‘સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા સહસ્રફણા ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને જરૂરિયાતમંદ લોકોને રાહત સામગ્રી અને તેમને જોઈતી ચીજવસ્તુઓ અપાય છે એની અમને જાણ હતી. આથી અમે ડાયરેક્ટ એ ટ્રસ્ટમાં દોઢ લાખ રૂપિયા અનુકંપારૂપે મોકલાવ્યા.’
સગાંસંબંધીઓ અને મિત્રોને પણ સાધર્મિક સહાયની અપીલ
યેશા દેસાઈના પરિવારે તો તપનું ઉજવણું અનોખી રીતે કર્યું, પણ તેમનાં સગાંસંબંધીઓને પણ આ સદકાર્યમાં જોડાવા પ્રેરિત કર્યાં. યેશા કહે છે, ‘માસક્ષમણ જેવું તપ કર્યું હોય એટલે સ્વાભાવિક છે કે સગાંસંબંધીઓ અને મિત્રો અનુમોદનારૂપે પૈસાનું કવર કે કોઈ ગિફ્ટ આપે, પણ અમે એ તમામ લોકોને આહવાન કર્યું છે કે તમે સાધર્મિકને સહાય કરો એ જ મારી ગિફ્ટ છે.’