શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે જો હમણાં મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી થાય તો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી ૧૦૦ કરતાં વધુ બેઠકો જીતે, કારણ કે લોકો બળવાખોર વિધાનસભ્યો સામે નારાજ છે.
સંજય રાઉત
મુંબઈ (પી.ટી.આઇ.) : શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે જો હમણાં મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી થાય તો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી ૧૦૦ કરતાં વધુ બેઠકો જીતે, કારણ કે લોકો બળવાખોર વિધાનસભ્યો સામે નારાજ છે.
બીજેપી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પ્રહાર કરતાં રાઉતે કહ્યું હતું કે પૈસાના પાવરથી અથવા તો કેન્દ્રની વિવિધ સંસ્થાઓના દબાણથી શિવસેનાને હાઇજૅક નહીં કરી શકાય.
સોમવારે વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘બીજેપી અને એમના નેતૃત્વવાળી શિવસેના આગામી વિધાનસભામાં ૨૦૦ કરતાં વધુ સીટો જીતશે. જો એમ નહીં થાય તો તેઓ ફરી ખેતીમાં જોતરાઈ જશે.’
વિધાનસભાના નવા સ્પીકર રાહુલ નાર્વેકરની ટીકા કરતાં રાઉતે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સેના જ ખરી પાર્ટી છે. જો બળવો કરનારા પક્ષના વિધાનસભ્યોને ગેરલાયક નક્કી કરવામાં આવે તો નાર્વેકરે તેમના કાયદાની ડિગ્રી પાછી આપી દેવી જોઈએ.’