Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચને નવજીવન આપનાર આ કચ્છી પરિવારને સલામ

પાંચને નવજીવન આપનાર આ કચ્છી પરિવારને સલામ

19 September, 2021 08:59 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

૫૮ વર્ષના કચ્છીને બ્રેઇન હૅમરેજ થતાં પત્નીએ સાહસ દેખાડીને અવયવો દાન કરાવવા પરિવારને રાજી કર્યો

વીરેન્દ્રભાઈ દેઢિયાના અવયવો દાન કરાયા હતા અને હાર્ટ ચેન્નઈ મોકલવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો.

વીરેન્દ્રભાઈ દેઢિયાના અવયવો દાન કરાયા હતા અને હાર્ટ ચેન્નઈ મોકલવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો.


પતિ મૃત્યુ પામે તો પત્ની આઘાતમાં સરી જાય એ સાવ સ્વાભાવિક છે, પરંતુ કચ્છી વાગડ સમાજના વલસાડમાં રહેતાં કસ્તૂર વીરેન્દ્ર દેઢિયા તેમના ૫૮ વર્ષના પતિ વીરેન્દ્ર દેઢિયાના બ્રેઇન હૅમરેજ બાદ ડૉક્ટરે ઇલાજ કરીને કોઈ મતલબ નથી એમ કહ્યા પછી પતિના અવયવો નકામાં થઈ જાય એ પહેલાં એને જરૂરિયામંદ લોકોને ડૉનેટ કરીએ એવો નિર્ણય લેતાં તેમના દીકરા સહિત આખા પરિવારે હા પાડી હતી. એથી તેમના છ અવયવ પાંચ જણને મળ્યા હોવાથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.     
વીરેન્દ્રભાઈ વલસાડમાં અમરધામ સોસાયટીમાં ઝેરોક્સ સેન્ટરના નામથી સ્ટેશનરીની દુકાન ચલાવતા હતા. તેમને એકાએક બ્લડપ્રેશર વધી જવાથી લકવાની અસર જણાતાં પરિવારજનોએ તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે સિટી સ્કૅન કરાવતાં બ્રેઇન હૅમરેજ થયું હોવાનું નિદાન થતાં પરિવારજનો દ્વારા તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સિટી સ્કૅન કરાવતાં બ્રેઇન હૅમરેજ તેમ જ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરે એ લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.
આ વિશે માહિતી આપતાં વીરેન્દ્રભાઈના દીકરા પ્રશાંત દેઢિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુરતની હૉસ્પિટલથી ચેન્નઈનું ૧૬૧૦ કિલોમીટરનું અંતર ૧૮૦ મિનિટમાં કાપીને પપ્પાના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની હૉસ્પિટલમાં આસામના રહેવાસી ૩૯ વર્ષના ખેડૂતને કરાયું હતું. કિડની પપ્પાને જે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા ત્યાં બાજુમાં જ ૨૯ વર્ષનો યુવાન દરદી હતો તેને આપવામાં આવી હતી. કિડની મળતાં તેઓ અમારી આગળ ખૂબ રડ્યા હતા. અમને પણ ખૂબ રાહત મળી કે પપ્પાના અવયવોનો ખરા અર્થે ઉપયોગ થયો છે. બીજી કિડની વડોદરામાં ૧૩ વર્ષના એક બાળકને અપાઈ છે. લિવર સાંબરકાંઠાના એક યુવાનને આપવામાં આવ્યું છે તેમ જ બન્ને આંખો આઇ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી.’
પપ્પાએ અઠ્ઠાઈ પણ કરી હતી એમ જણાવીને પ્રશાંત દેઢિયાએ કહ્યું હતું કે ‘પયુર્ષણ વખતે પપ્પાએ આઠ દિવસના ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ ૩ દિવસ સુધી તેઓ એકદમ વ્યવ​સ્થિત હતા, પરંતુ મંગળવારે સવારે સાડાપાંચ વાગ્યે અચાનક તેમને ઊલટી જેવું થવા લાગ્યું હતું. ઊલટી કરવાની કોશિશ કરી, પરંતુ તેમના શરીરે સાથ છોડી દીધો હોય એવું લાગી રહ્યું હતું. મમ્મીને ધ્યાનમાં આવ્યું કે તેમનો એક પગ વાંકો થઈ ગયો છે એટલે પૅરૅલિસિસનો અટૅક હોઈ શકે છે. તાત્કાલિક તેમને સુરતની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ડૉક્ટરે ૨૪ કલાક તપાસ કરીને બ્રેઇન હૅમરેજ હોવાનું કહીને કંઈ કરી શકાય એમ નથી એમ કહ્યું હતું. એથી મમ્મીએ ૨૪ કલાક બીજા વેડફવાને પપ્પાનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની વાત કરતાં મેં તરત હા પાડી હતી. ત્યાર બાદ પરિવાર સાથે વાતચીત કરીને અવયવો દાન કરાયા હતા.’ 
થાણેમાં રહેતા વીરેન્દ્રભાઈના સંબંધી કાંતિ વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વીરેન્દ્રભાઈ મારા સાઢુભાઈ છે. તેમના અવયવો દાન કર્યા બાદ અમે કચ્છ વાગડથી લઈને અન્ય સમાજમાં એ વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, લોકો જાગ્રત થઈને અન્ય લોકોને નવું જીવન આપી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 08:59 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK