ઉત્તરાખંડ ટ્રૅજેડી પછી પર્યાવરણ વિજ્ઞાની માધવ ગાડગીળનો સંતાપ
પ્રતીકાત્મક તસવીર
જાણીતા પર્યાવરણ વિજ્ઞાની અને પર્યાવરણ સંશોધક માધવ ગાડગીળે મંગળવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પશ્ચિમ ઘાટ અને હિમાલયમાં અવિચારી બાંધકામો પર્યાવરણની સ્થિતિને બદથી બદતર બનાવી રહ્યા છે.
સરકાર દ્વારા નિમાયેલી વેસ્ટર્ન ઘાટ્સ ઇકોલૉજી એક્સપર્ટ પૅનલનું વડપણ માધવ ગાડગીળે કર્યું હતું. તેમની પૅનલ દ્વારા ૨૦૧૧માં એવું સૂચન આપવામાં આવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરલામાં આશરે ૧,૨૯,૦૩૭ ચોરસ કિલોમીટરના પશ્ચિમ ઘાટનો ૭૫ ટકા હિસ્સો પર્યાવરણની રીતે અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવે તે જરૂરી છે. જોકે આ સૂચન માનવામાં નહોતું આવ્યું. ખાસ કરીને ઉત્તરાખંડમાં બે દિવસથી પડી રહેલા ભયંકર વરસાદ અને પૂર પછી ગાડગીળનું આવી પડેલું આ નિવેદન બદલતી પરિસ્થિતિ માટે આંખો ઉઘાડનાર છે.
ADVERTISEMENT
ગાડગીળે કહ્યું હતું કે અસંતુલિત અને અયોગ્ય રીતે થઈ રહેલો જમીનનો વપરાશ ભારતના પશ્ચિમ કિનારે મોટી કુદરતી આફતોને નોતરી શકે છે. પશ્ચિમ ઘાટમાં છેલ્લાં થોડાં જ વર્ષમાં કુદરતી હોનારત વધી રહી છે. હિમાલયમાં છેલ્લાં પચાસ વર્ષમાં મોટા પૂરના અનેક બનાવ જોવા મળ્યા છે.