ખુદ ટ્વિટરે અદાલતમાં એકરાર કર્યો કે કંપની દ્વારા આઇટી નિયમોનું પાલન નથી કરાયું
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
દેશમાં ટ્વિટર નવા આઇટી નિયમોને લઈને મનમાની કરી રહ્યું છે. ગત રોજ દિલ્હી હાઈ કોર્ટમાં કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે ટ્વિટર નવા આઇટી નિયમોનું પાલન કરી રહ્યું નથી. તેવામાં આજે હાઈ કોર્ટમાં ટ્વિટરે કબૂલ્યું છે કે તેણે નવા આઇટી નિયમોનું પાલન કર્યું નથી, જેના પર હાઈ કોર્ટે ખફા થતાં સરકાર અને ટ્વિટરને સાફ શબ્દોમાં કહ્યું કે હવે અમે ટ્વિટરને કોઈ પ્રોટેક્શન આપી શકતા નથી. સરકાર ટ્વિટરની સામે કોઈ પણ ઍક્શન લેવા સ્વતંત્ર છે.
દેશમાં નવા આઇટી નિયમો લાગુ થયા બાદ હજી સુધી ટ્વિટરે ફરિયાદ અધિકારીની નિયુક્તિ ન કરવા પર ટ્વિટરની સામે દિલ્હી હાઈ કોર્ટમાં અમિત આચાર્યએ અરજી કરી હતી. તેની સુનાવણી પર કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે શું ટ્વિટર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તો તેના પર કેન્દ્ર સરકારે ‘હા’માં જવાબ આપ્યો હતો, જે બાદ ટ્વિટર તરફથી વકીલે પણ માન્યું કે અમે આઇટી રૂલ્સનું પાલન કર્યું નથી.