પાંચ મૅચની સિરીઝની આજથી પ્રથમ ટેસ્ટ : બન્ને ટીમનું આજે એક જ ધ્યેય હશે બેસ્ટ શરૂઆત
મૅચનો સમય: બપોરે ૩.૩૦ વાગ્યે
વિરાટ કોહલીની કૅપ્ટન્સીની કસોટીના મુશ્કેલ ચાર મહિના આજથી ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટ સાથે શરૂ થઈ રહ્યા છે. ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટ બાદ આઇપીએલનો નિર્ણાયક રાઉન્ડ અને ત્યાર બાદ ભારતની યજમાનીમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનવાનું તેના પર જબરું દબાણ રહેશે. છેલ્લા ઘણા સમયથી લિમિટેડ ઓવર માટે વિરાટને બદલે રોહિતને કમાન સોંપવાની માગણીઓ થઈ રહી હોવાથી ટી૨૦ વર્લ્ડ કપમાં તેના પર જબરું દબાણ રહેવાનું છે.
પાંચ ટેસ્ટની લાંબી સિરીઝ હોવાથી બન્ને ટીમ આ પહેલી ટેસ્ટમાં સારી શરૂઆત કરીને અડધી બાજી જીતી લેવાના મૂડમાં હશે.
ADVERTISEMENT
જોકે આજે ઇંગ્લૅન્ડ સામે મેદાનમાં ઊતરતાં પહેલાં કૅપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ પર્ફેક્ટ પ્લેઇંગ ઇલેવનની પસંદગીની કસોટી પાર પાડવાની છે. જંગ શરૂ થાય એ પહેલાં જ શુભમન ગિલ, વૉશિંગ્ટન સુંદર, આવેશ ખાન સિરીઝમાંથી અને માથામાં ઈજાને લીધે પ્રથમ ટેસ્ટમાંથી મયંક અગરવાલ બહાર થઈ ગયા છે. આને લીધે કોહલી-શાસ્ત્રીએ હવે થોડીક વધુ માથાફોડી કરવી પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પરિસ્થિતિને સમજ્યા વગર બે દિવસ પહેલાં જ ટીમને જાહેર કરીને થાપ ખાધા બાદ થયેલી ભારે ટીકા બાદ હવે તેમણે વધુ સમજદારીપૂર્વક સિલેક્શન કરવું પડશે. ઓપનર તરીકે રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડીની પહેલી પસંદગી જણાઈ રહી છે. રોહિત તો કન્ફર્મ જ જણાય છે, પણ ટૅલન્ટેડ રાહુલ ઓપનિંગ કરવા અચકાઈ રહ્યો છે. જોકે પ્રૅક્ટિસ મૅચમાં સેન્ચુરી બાદ તેનો આત્મવિશ્વાસ વધી ગયો હશે. રોહિતના પાર્ટનર તરીકે અન્ય વિકલ્પોમાં બિનઅનુભવી અભિમન્યુ ઈશ્વરન અને હનુમા વિહારી છે. અભિમન્યુ જોકે માર્ચ ૨૦૨૦ બાદ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો નથી. ઑલ-પર્પઝ પ્લેયર હનુમા વિહારી ઑસ્ટ્રેલિયામાં નવા બૉલનો સામનો કરી ચૂક્યો છે. વિહારી ઑફ-સ્પિન બૉલિંગ પણ કરી શકતો હોવાથી અને ટીમના નંબર વન સ્પિનર રવિચન્દ્રન અશ્વિન સાથેની જોડીને લીધે ટીમમાં રવીન્દ્ર જાડેજાને બદલે બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મોકો આપી શકાય.
મોહમ્મદ શમી અને ઈશાન્ત શર્મા પેસ ઍટેકના આગેવાનો છે, પણ તેમની ઉમર પણ વધી રહી છે. જ્યારે જસપ્રીત બુમરાહ ૨૦૧૯માં કમરના સ્ટ્રેસ ફ્રૅક્ચર બાદ ટેસ્ટમાં પહેલાં જેવો અસરકારક નથી રહ્યો. જોકે છેલ્લી સીઝનમાં સારા પર્ફોર્મન્સને લીધે તેનું શરૂઆતની મૅચોમાં સિલેક્શન કન્ફર્મ જ હશે. જોકે હાલમાં ભારતનો સૌથી ફાસ્ટ અને ફૉર્મમાં ચાલી રહેલા મોહમ્મદ સિરાજની ટીમ અવગણના કરી શકે એમ નથી.
છેલ્લે ૧૪માંથી ૧૧ મૅચ હાર્યું છે ભારત
ભારતનો પર્ફોર્મન્સ ઇંગ્લૅન્ડમાં ભાગ્યે વખાણવાલાયક રહ્યો છે. છેલ્લી ત્રણ ટૂરની કુલ ૧૪ ટેસ્ટની વાત કરીએ તો ભારતીય ટીમ ૧૧ મૅચ હારી ગઈ છે. આ ત્રણ ટૂરમાંથી બેમાં તો ભારતના બેસ્ટ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કમાન સંભાળી હતી. ૨૦૧૪ની ટૂરમાં મળેલી ૧-૩થી હાર વખતે ટીમનો વાઇસ કૅપ્ટન વિરાટ કોહલી જ હતો. બૅટ્સમૅન તરીકે પણ એ ટૂરમાં એ સાવ ફ્લૉપ રહ્યો હતો, પણ ૨૦૧૮માં વિરાટને બૅટ વડે કમાલ કરી હતી, પણ ખરાબ ટીમ-સિલેક્શનને લીધે જ ટીમને ૧-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ આજે ભારતીય ટીમે પરિસ્થિતિઓનું બરાબર આંકલન કરીને બૅલૅન્સ ટીમનું સિલેક્શન કરવું પડશે.
પુજારા-રહાણે સ્પેશ્યલની જરૂર
ટીમને બે અનુભવી અને ટેસ્ટ સ્પેશ્યલિસ્ટ પુજારા અને રહાણે પાસેથી ટીમને આ સિરીઝમાં મોટી અપેક્ષા છે. બન્ને પ્લેયરોએ છેલ્લી કેટલીક ટેસ્ટના ફ્લૉપ શોને બાદ કરતાં પોતાનું સ્થાન ટીમમાં જાળવી રાખવા કંઈક સ્પેશ્યલ કરીને દેખાડવું પડશે. જો આ સિરીઝમાં આ બન્ને ખેલાડીઓએ ફૉર્મ પાછું મેળવી લીધું તો સિરીઝનું પરિણામ ભારતની ફેવરમાં પણ આવી શકે છે.
સ્ટોક્સની કમી મહેસૂસ થશે
ઇંગ્લૅન્ડને તેમના બેસ્ટ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સની કમી આ સિરીઝમાં જરૂર મહેસૂસ થશે. સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્ય માટે ક્રિકેટમાંથી ટેમ્પરરી બ્રેક લઈ લીધો છે.
પૃથ્વી અને સૂર્યકુમાર કોલંબોથી જ ઇંગ્લૅન્ડ માટે રવાના
શ્રીલંક ટૂર દરમ્યાન ઑલ રાઉન્ડ કૃણાલ પંડ્યા કોરોનાગ્રસ્ત થતા પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવનું રિપ્લેશમેન્ટ તરીકે ઇંગ્લૅન્ડ થવાના પ્લાન અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પણ આખરે બન્નેએ ગઈ કાલે ઇંગ્લૅશ્ર્ડન રવાના થઈ ગયા હતાં. સોશ્યલ મિડિયામાં તેમનો કોલંબોથી ઇંગ્લૅન્ડ રવાના થતા વેળાનો ફોટો પોસ્ટ કરીને તેઓએ આ માહિતી આપી હતી. શુભમન ગિલ, વૉશિગ્ડન સુંદર અને આવેશ ખાન ઇન્જર્ડ થઈને સિરીઝમાંથી આઉટ થતા ટીમ મેનેજમેન્ટની રિક્વેટ પર ક્રિકેટ બોર્ડે પૃથ્વી અને સૂર્યકુમારને ઇંગ્લૅન્ડ મોકલ્યા છે.
નંબર ગેમ
125
ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ૪૮૪ ઇન્ટરનૅશનલ મૅચમાં ૨૨,૮૭૫ રન બનાવ્યા છે. વધુ આટલા રન બનાવતાં તે ફાસ્ટેસ્ટ ૨૩,૦૦૦ ઇન્ટરનૅશનલ રનનો વર્લ્ડ રેકૉર્ડ બનાવી લેશે.
22
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જો રૂટ વધુ આટલા રન બનાવતાની સાથે તે ઍલિસ્ટર કુકને પાછળ રાખીને ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર બનશે. કુકના ૧૫,૭૩૭ રન સામે રૂટના ૧૫,૭૧૬ રન છે.
5
અશ્વિન વધુ આટલી વિકેટ લઈને હરભજન સિંહ (૪૧૭)ને પાછળ રાખીને ભારત વતી સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં ત્રીજા નંબરે પહોંચશે.
3
ઇંગ્લૅન્ડનો પેસ બોલર જિમી ઍન્ડરસન વધુ આટલી વિકેટ સાથે ભારતના અનિલ કુંબલે (૬૧૯)ને પાછળ રાખીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં ત્રીજા નંબરે પહોંચશે. મુથૈયા મુરલીધરન ૮૦૦ વિકેટ સાથે પ્રથમ અને શેન વૉર્ન ૭૦૮ વિકેટ સાથે બીજા ક્રમાંકે છે.
1
આ સિરીઝમાં વધુ આટલી ટેસ્ટમાં જીત મેળવીને બન્ને ટીમના કૅપ્ટન એક લૅન્ડમાર્ક મેળવી લેશે. જો વિરાટ જીત્યો તો તે સૌથી વધુ ટેસ્ટ જીતનાર કૅપ્ટનની યાદીમાં તે ક્લાઇવ લૉઇડને પાછળ રાખીને ચોથા નંબરે આવી જશે. જો રૂટ જીત્યો તો તે માઇકલ વૉર્નને (૨૬ ટેસ્ટ) પાછળ રાખીને ઇંગ્લૅન્ડનો સૌથી વધુ ટેસ્ટ જીતનાર કૅપ્ટન બનશે.
ભારત-ઇંગ્લૅન્ડ, આમને-સામને
ઓવરઑલ
કુલ ટેસ્ટ : ૧૨૬
ભારતની જીત : ૪૮
ઇંગ્લૅન્ડની જીત : ૨૯
ડ્રૉ : ૪૯
ઇંગ્લૅન્ડમાં
કુલ ટેસ્ટ : ૬૨
ભારતની જીત : ૭
ઇંગ્લૅન્ડની જીત : ૩૪
ડ્રૉ : ૨૧