ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન એક વર્ષ પહેલા થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તે લંબાવવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધ્યો છે. અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જાપાનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે જાપાનમાં ૨૩ જૂન સુધી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન જાપાનના ટૉક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે, કોરોના સંક્રમણ વચ્ચે ઓલિમ્પિકનું આયોજન થાય. ત્યારે જ જાપાનની ઑલિમ્પિક્સ કમિટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણકે ઑલિમ્પિક્સના ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપી દીધું છે.
ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન એક વર્ષ પહેલા થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તે લંબાવવામાં આવ્યું હતું. હવે ૨૩ જૂલાઈથી જાપાનમાં ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ફરી આયોજન પર સવાલો ઉઠી રહ્યાં છે. એવામાં ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપતા વધુ પ્રશ્નો થઈ રહ્યાં છે.
ADVERTISEMENT
એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, ટૉક્યો ઑલિમ્પિક્સના આયોજન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. કુલ ૮૦,૦૦૦ વૉલેન્ટિયર ઑલિમ્પિક્સમાં સેવા આપવાના હતા પણ આ પૈકીના ૧૦,૦૦૦ લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના મોટાભાગનાનું કહેવું છે કે, અમે કોરોનાના સંક્રમણથી ચિંતિત છે. તો કેટલાકનું કહેવું છે કે, અમે રમતના આયોજનના વિરોધમાં રાજીનામા આપ્યા છે.
જાપાનની ઑલિમ્પિક્સ કમિટીનું કહેવું છે કે, ૧૦,૦૦૦ લોકોએ રાજીનામા આપ્યા છે તેનાથી આયોજન પર અસર નહીં પડે.