ન્યુઝ શૉર્ટમાં : સેઈલનો નફો ૩૧ ટકા વધ્યો

12 June, 2021 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિપ્ટોકરન્સીના સ્ટાર્ટ અપ તરીકે તેની સ્થાપના થઈ હતી. એ કંપની તથા તેના ડિરેક્ટરો - નિશ્ચલ શેટ્ટી અને હનુમાન મ્હાત્રેને નોટિસ મોકલવામાં આવી છે. 

GMD Logo

સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (સેઇલ)એ ગત ૩૧ માર્ચના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૩૪૬૯.૮૮ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો કર્યો હતો, જે તેના પહેલાંના વર્ષે થયેલા ૨૬૪૭.૫૨ કરોડ રૂપિયાના નફા કરતાં ૩૧ ટકા વધારે હતો. કંપનીએ નોંધાવેલા રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવાયું છે કે સમીક્ષા હેઠળના ક્વૉર્ટરની કંપનીની કુલ આવક ૨૩,૫૩૩.૧૯ કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ પહેલાં સમાન ગાળામાં ૧૬,૫૭૪.૭૧ કરોડ રૂપિયા હતી.
કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ૧૦ રૂપિયાના દરેક ઇક્વિટી શેરદીઠ ૧.૮૦ રૂપિયાનું આખરી ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. 

કૃષ્ણા ઇન્સ્ટિટ્યુટ : ૮૧૫-૮૨૫ રૂપિયાની પ્રાઇસ બૅન્ડ 

કૃષ્ણા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ લિમિટેડે ૨૧૪૪ કરોડ રૂપિયાના આઇપીઓ માટે પ્રતિ શૅર ૮૧૫-૮૨૫ રૂપિયાની પ્રાઇસ બૅન્ડ નક્કી કરી છે. આ ઇશ્યુ ૧૬ જૂને ખૂલીને ૧૮મીએ બંધ થશે. ઇશ્યુનો ૭૫ ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ માટે, ૧૫ ટકા નોન ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સ માટે તથા ૧૦ ટકા હિસ્સો રીટેલ રોકાણકારો માટે અનામત છે. ઇશ્યુ દ્વારા મળનારી રકમનો ઉપયોગ સબસિડિયરી તથા કંપનીનું કરજ ચૂકવવા માટે થશે. આ ઇન્સ્ટિટ્યુટ આંધ્ર પ્રદેશ અને તેલંગણાનાં સૌથી મોટાં કૉર્પોરેટ હેલ્થકૅર ગ્રુપમાં સામેલ છે.

ડોડલા ડેરી : પ્રતિ શેર ૪૨૧-૪૨૮ રૂપિયાની પ્રાઇસ બૅન્ડ

દક્ષિણ ભારતની અગ્રણી ડેરી કંપની ડોડલા ડેરીનો આઇપીઓ ૧૬મી જૂનથી ત્રણ દિવસ માટે ખૂલવાનો છે. આ કંપનીએ પ્રતિ શેર ૪૨૧-૪૨૮ રૂપિયાની પ્રાઇસ બૅન્ડ અત્યારે નક્કી કરી છે. 
કંપનીએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એન્કર ઇન્વેસ્ટર્સ માટેનું બિડિંગ ૧૫મી જૂને ખૂલશે. આઇપીઓમાં ૫૦ કરોડ રૂપિયા મૂલ્યના નવા શેર ઇસ્યૂ કરાશે અને એ ઉપરાંત હાલના રોકાણકારોના શેરની ઑફર ફોર સેલ હશે. 

ફેમાનો ભંગ કરવા બદલ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝિરેક્સને ઈડીની નોટિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) દેશના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ - વઝિરેક્સને ફોરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (ફેમા)નો ભંગ કરવા બદલ નોટિસ મોકલી છે. આ એક્સચેન્જે ફેમાનું ઉલ્લંઘન કરીને ૨૭૯૦ કરોડ રૂપિયાના વ્યવહાર કર્યા હોવાથી તેને નોટિસ આપવામાં આવી છે. 
વઝિરેક્સની સ્થાપના ઝનમાઈ લેબ્સ પ્રા. લિ. તરીકે ડિસેમ્બર ૨૦૧૭માં કરવામાં આવી હતી. ક્રિપ્ટોકરન્સીના સ્ટાર્ટ અપ તરીકે તેની સ્થાપના થઈ હતી. એ કંપની તથા તેના ડિરેક્ટરો - નિશ્ચલ શેટ્ટી અને હનુમાન મ્હાત્રેને નોટિસ મોકલવામાં આવી છે. 
ઈડીએ નિવેદનમાં જણાવ્યા મુજબ હાલ ચીની માલિકીની ગેરકાનૂની ઑનલાઇન જુગારની ઍપ્લિકેશન્સ સંબંધે મની લૉન્ડરિંગની જે તપાસ ચાલી રહી છે તે દરમ્યાન વઝિરેક્સના ઉક્ત વ્યવહારોનો પર્દાફાશ થયો હતો. એ વ્યવહારોનું મૂલ્ય ૨૭૯૦.૭૪ કરોડ રૂપિયા હતું. આરોપી ચીની નાગરિકોએ ગુનાકીય પ્રવૃત્તિ દ્વારા મેળવેલા આશરે ૫૭ કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સી ટીથરમાં રૂપાંતર કરીને એ રકમ વિદેશથી પ્રાપ્ત સૂચના અનુસાર બિનાન્સ નામના વૉલેટમાં મોકલી હતી. બિનાન્સ નામનું એક્સચેન્જ કેમેન આઇલેન્ડ્સમાં રજિસ્ટર્ડ થયેલું છે. 
ક્રિપ્ટોકરન્સીમાં અગ્રણી બિનાન્સે ૨૦૧૯માં વઝિરેક્સ હસ્તગત કર્યું હતું. ઈડીનો દાવો છે કે વઝિરેક્સ અને બિનાન્સ વચ્ચે અનેક વ્યવહાર થયા છે, પરંતુ બ્લોકચેન પર તેની કોઈ નોંધ નથી. 
દરમ્યાન વઝિરેક્સે પોતાને ઈડીની નોટિસ નહીં મળ્યાનું જાહેર કર્યું છે. વઝિરેક્સ લાગુ પડતા તમામ કાયદાઓનું પાલન કરે છે, એમ કંપનીએ ટ્વિટર પરના સંદેશ દ્વારા જણાવ્યું છે. 

ભારતનું ફૉરેક્સ રિઝર્વ ૬૦૫.૦૦૮ અબજ ડૉલર 

દેશની વિદેશી હૂંડિયામણની અનામત ગઈ ૪ જૂનના પૂરા થયેલા સપ્તાહમાં વધીને ૬૦૦ અબજ ડૉલરનો આંક વટાવી ગઈ હતી. રિઝર્વ બૅન્કે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ એ સપ્તાહમાં ૬.૮૪૨ અબજ ડૉલરની વૃદ્ધિ સાથે આંકડો ૬૦૫.૦૦૮ અબજ ડૉલર થયો હતો. તેની પહેલાંના સપ્તાહના અંતે કુલ અનામત ૫૯૮.૧૬૫ અબજ ડૉલર હતી. 

આઇએલઍન્ડએફએસના ભૂતપૂર્વ વડાની ઈઓડબ્લ્યુ દ્વારા ધરપકડ

ચેન્નઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં આઇએલઍન્ડએફએસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનૅન્શિયલ સર્વિસિસ)ના ભૂતપૂર્વ વડા રવિ પાર્થસારથિની ગઈ કાલે ધરપકડ કરી હતી. આ કેસ ૬૩ મૂન્સ ટેક્નૉલૉઝીસે નોંધાવ્યો હતો. પાર્થસારથિને તામિલનાડુ પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનૅન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ) ઍક્ટ (ટીએનપીઆઇડી) કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે એમને પંદર દિવસની અદાલતી કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો. 
ઈઓડબ્લ્યુએ અખબારી નિવેદનમાં જણાવ્યા મુજબ આઇએલઍન્ડએફએસના ૧ લાખ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર રવિ પાર્થસારથિની ધરપકડ ગયા વર્ષે ૨૦ સપ્ટેમ્બરે નોંધાવાયેલી ગુના ક્ર. ૧૩ સંબંધે કરવામાં આવી છે. પાર્થસારથિને મુંબઈથી પકડીને ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. અગાઉ મદ્રાસ હાઈ કોર્ટે પાર્થસારથિના આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી હતી. 
૬૩ મૂન્સે ફરિયાદમાં કહ્યું હતું કે તેણે આઇએલઍન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સ ઇન્ડિયા લિ. (આઇટીએનએલ)ના ડિબેન્ચર્સમાં ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કંપનીએ રોકાણકારોને લલચાવવા માટે ૧૧.૮ ટકાના વાર્ષિક વળતરનું ખોટું વચન આપ્યું હતું. 

business news