૧૯ માર્ચથી શરૂ થયેલી ઉત્તરવાહિનીની નર્મદા પરિક્રમા ૧૮ એપ્રિલે પૂરી થશે.
સોશ્યલ મીડિયાના પ્રતાપે અનેક દશકાઓથી થતી મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા છેલ્લાં થોડાં વર્ષોથી ભારે પૉપ્યુલર થઈ છે. એક સમયે સંતો, સાધુઓ તથા પ્રખર ભક્તો જે યાત્રા કરતા એ પવિત્ર પરિક્રમા વડીલો અને યુવાનો સુધ્ધાં મોટી સંખ્યામાં કરે છે. ઘણા યાત્રાળુઓ પરિક્રમાના રૂટ પર આવેલાં પૌરાણિક અને મહત્ત્વનાં મંદિરોનાં દર્શન નથી કરતા. પણ દોસ્તો, ૨૧ કિલોમીટરની આ સર્ક્યુલર યાત્રામાં આ મંદિરોનાં દર્શન કરવાં એ પરિક્રમાનો જ ભાગ છે
ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી મા ગંગા કાશીમાં વિશ્વનાથનાં દર્શન કરવા જેમ ફરીને ઉત્તર તરફ વહેવા લાગે છે એ જ રીતે મા રેવા ઉત્તરમાં આવેલા કૈલાશમાં રહેતા કૈલાશપતિનાં દર્શન કરવા ૯ કિલોમીટરના પટ્ટામાં પોતાનું વહેણ બદલીને ઉત્તરમાં વહે છે.
ગંગાજી ભારતની સૌથી પવિત્ર નદી ગણાય છે. શિવજીની જટામાંથી નીકળતી આ સરિતામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય છે. એ જ રીતે યમુનોત્રી ધામથી ઉદ્ભવતી યમુનાનાં જળના પાનથી વ્યક્તિની પુણ્યરાશિ વધે છે. છતાં બન્ને નદીઓની પરિક્રમાનો કોઈ ઉપક્રમ નથી. પરિક્રમા તો માત્ર નર્મદા નદીની થાય છે, કારણ કે સ્કંદપુરાણમાં રેવા ખંડનો એક શ્લોક છે, ‘નર્મદા સરિતાં શ્રેષ્ઠાં, શિવતત્ત્વ સમન્વિતામ, શિવસ્મરણ પ્રાપ્તયે, સર્વ પાપ વિનાશિની.’ અર્થાત્ નર્મદા શ્રેષ્ઠ નદી છે જે શિવ-સ્મરણ કરાવે છે અને શંભુના સ્મરણમાત્રથી સર્વ પાપનો વિનાશ થાય છે. કહેવાય છે કે દરેક જીવો ના સ્નાનથી, ના પાનથી, નર્મદાનાં દર્શનમાત્રથી પુનિત થાય છે.
લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાં ઋષિ માર્કન્ડેયએ પ્રથમ વખત મા રેવાની પરિક્રમા કરી. મધ્ય પ્રદેશની પૂર્વીય સીમાએ આવેલા અમરકંટકથી નીકળી ગુજરાતના ખંભાતના અખાતમાં આવીને સમુદ્રમાં ભળી જતી નર્મદાની કુલ લંબાઈ ૧૩૧૨ કિલોમીટર છે, જ્યારે એની પરિક્રમા ૨૬૦૦ કિલોમીટરની થાય છે. માર્કન્ડેય ઋષિને આ યાત્રા કરતાં ૩ વર્ષ ૩ મહિના ૧૩ દિવસ લાગ્યા હતા. પૌરાણિક ગ્રંથો કહે છે કે આ પરિક્રમા કર્યા બાદ મુનિને અહંકાર આવી જતાં તેમની સાધના વિફળ ગઈ અને માર્કન્ડેય ઋષિએ પ્રાયશ્ચિત્તરૂપે રેવામાં ભળતી ૯૯૯ સહાયક નદીઓના ઉદ્ગમની પણ યાત્રા કરતાં-કરતાં ફરી એક વખત નર્મદામૈયાની પરિક્રમા કરી જે પૂરી કરતાં તેમને ૪૫ વર્ષ લાગ્યાં હતાં (જોકે કોઈ સંદર્ભ અનુસાર એ ૭ વર્ષમાં થઈ હતી). આજે પણ અનેક સાધુ-સંતો મહર્ષિ માર્કન્ડેયની જેમ આખી પરિક્રમા ૩ વર્ષ ૩ મહિના ૧૩ દિવસની કરે છે અને અનેક ભક્તો આ પૂર્ણ પરિક્રમા ચારથી ૬ મહિનામાં કરે છે. જોકે સનાતન ધર્મની ઉદારતા જુઓ કે જેમના માટે રેવાની દીર્ઘ પરિક્રમા કરવી શક્ય નથી તેઓ ફક્ત ૨૧ કિલોમીટરની ઉત્તરવાહિનીની પરિક્રમા કરીને પણ પુણ્યનું ભાથું બાંધી શકે છે. કહે છે કે મા બિપાશાની ૩ ઉત્તરવાહિનીની પરિક્રમા દીર્ઘ પરિક્રમા કર્યાનું પુણ્ય આપે છે.
દર ચૈત્ર મહિનામાં મા નર્મદાની ઉત્તરવાહિનીની પરિક્રમા થાય છે જે તિલકવાડા અથવા રામપુરાથી શરૂ કરી શકાય છે. આ પરિક્રમા દરમ્યાન અનેક નાનાં-મોટાં પ્રાચીન-અર્વાચીન મંદિરો, આશ્રમો અને સિદ્ધ સ્થળો આવે છે જ્યાં ભક્તો દર્શન કરીને પાવન થાય છે. જોકે આ મંદિરો અને આશ્રમો વિશે વાત કરતાં પહેલાં આપણે એ જાણવું સારું રહેશે કે ઉત્તરવાહિનીની પરિક્રમા એટલે શું? ભારતની મોટા ભાગની નદીઓનું વહેણ ઉત્તરથી દક્ષિણ અથવા પશ્ચિમથી પૂર્વ તરફનું છે. એક માત્ર રેવા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એ વહેણમાં નર્મદા રાજપીપળા જિલ્લાના ૯ કિલોમીટરના વિસ્તારમાં પોતાની દિશા છોડીને ઉત્તર તરફ વહેવા લાગે છે. વૈદિક પરંપરામાં ઉત્તર દિશા મોક્ષની દિશા ગણાય છે. આથી ઉત્તરવાહિની (ઉત્તર તરફ વહેતી)ની પરિક્રમા મોક્ષ-મુક્તિદાતા ગણાય છે.
હવે રેવાના વિપરીત પ્રવાહ વિશે પ્રચલિત લોકકથાની વાત કરીએ તો ભોળેનાથ જ્યારે મેકલ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમના શરીર પરથી પડેલાં પ્રસ્વેદનાં ટીપાંમાંથી એક સરોવર બન્યું. આ સરોવરમાંથી સુંદર કન્યા પ્રગટ થઈ અને દેવતાઓએ તેનું નામ નર્મદા રાખ્યું. પૌરાણિક કથા આગળ કહે છે કે મેકલની પુત્રી કહેવાતી નર્મદા જ્યારે વિવાહયોગ્ય થઈ ત્યારે રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ ગુલબકાવલીનું ફૂલ લઈ આવશે તેને નર્મદા વરશે (અન્ય માન્યતા મુજબ આ શરત નર્મદાએ રાખી હતી). કહાની આગળ ધપાવીએ તો રાજકુમાર સોનભદ્રએ આ શરત પૂરી કરી અને નર્મદા તેમ જ સોનભદ્રનાં લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી. જોકે વિવાહ પહેલાં નર્મદાએ તે રાજકુમારને જોવા હતા. તેમણે પોતાની સખી જોહિલાને પોતાનાં વસ્ત્રો પહેરાવી સંદેશો લઈને સોનભદ્ર પાસે મોકલી. ત્યારે રાજકુમાર સમજ્યા કે તે દાસી જ નર્મદા છે અને તેમણે તે કન્યા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખી દીધો. સોનભદ્રથી મોહિત થઈ ગયેલી જોહિલાએ રાજાને સત્ય ન કહ્યું અને તેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો.
આ બાજુ નર્મદા સખી જોહિલાની રાહ જોવા લાગી, પરંતુ જ્યારે તે પાછી ન ફરી અને નર્મદાને આખા બનાવની જાણ થઈ ત્યારે તેણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ લીધો અને ક્રોધમાં પોતાનું વહેણ બદલી દીધું.
05 April, 2026 01:46 IST | Mumbai | Alpa Nirmal