જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી
અસલ તો અસલ જ હોય, એની કોઈ જોડ ન હોય. ઓડિશાના તટીય ટાઉન પુરીમાં આવેલું જગન્નાથ મંદિર બેજોડ છે, બેનમૂન છે, બેમિસાલ છે. એની મહત્તા, પવિત્રતા કે ચેતના સાથે કોઈ પણ મંદિર બરાબરી ન જ કરી શકે. એનાં અસ્તિત્વ અને આસ્થાને સર આંખોં પર રાખીને આપણે માનસીયાત્રા કરીએ દેશનાં અન્ય શહેરોમાં આવેલાં શ્રી જગન્નાથ મંદિરની જે ઓરિજિનલ મંદિરની ફર્સ્ટ કૉપી, સેકન્ડ કૉપી કે થર્ડ કૉપી સમાન બનાવવામાં આવ્યાં છે
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મુંબઈગરાઓને ચેન્નઈ, બૅન્ગલોર, દિલ્હી કે હૈદરાબાદ કેવી રીતે જવું, શું જમવું એ કહેવું જ ન પડે. જો દિઘા જવું હોય તો કલકત્તાથી વન-ડે ટૂર કરી શકાય. હાવડાથી ટ્રેનો અને બસો દ્વારા દિઘા પહોંચી શકાય છે. બાકી દિઘામાં રહેવું હોય તો મીડિયમ કક્ષાની પણ બેટર કહી શકાય એવી હોટેલો છે. હા, સી-ફેસિંગ હોટેલ તમારી રજાને વધુ મજાની બનાવી દેશે. બાકી વેજિટેરિયન ફૂડ માટે હોટેલની રેસ્ટોરાં ઇઝ ઓન્લી ઑપ્શન. ચાંદીપુર બીચ માટે પ્રસિદ્ધ ઓડિશાના બાલાસોર જવા મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનલથી ડાયરેક્ટ ટ્રેન મળે છે. કલકત્તા અને ભુવનેશ્વરની મધ્યમાં આવેલા આ ટાઉનમાં પણ રહેવાનાં તથા ફરવાનાં સ્થળો અને ઘણાં મંદિરો છે. બાલાસોરથી ઇમામી જગન્નાથ મંદિરનું અંતર ફક્ત ૧૧ કિલોમીટર છે. બલેશ્વર તરીકે ઓળખાતા આ ટાઉનમાં જ આપણી બૅલેસ્ટિક મિસાઇલની પરીક્ષણ-રેન્જ છે. અહીંથી ૧૦૦ કિલોમીટર દૂર ભોગરાઈમાં બાબા ભુસન્દેશ્વર મંદિર છે જે ૧૨ ફુટ લાંબું અને ૧૪ ફુટ પહોળું છે. કહેવાય છે કે આ તો શિવલિંગનો અડધો હિસ્સો માત્ર છે. બાકીનો અડધો ભાગ વર્ષોથી જમીનમાં દટાયેલો છે.
નીલાંચલવાલાનો મહિમા અપરંપાર છે.
આગળ કહ્યું એમ જગન્નાથજીને ઓડિયા સમુદાય ઉપરાંત અન્ય રાજ્યોના રહેવાસીઓ પણ ખૂબ ભક્તિથી પૂજે છે. આથી તેમનાં નાનાં-મોટાં મંદિરો દરેક રાજ્યનાં અનેક શહેરોમાં છે. એમાંય ઘણાં મેટ્રોમાં તો પુરીના મંદિરની પ્રતિકૃતિ જેવાં જ મંદિરો બન્યાં છે. એ સૂચિમાં રાંચી સ્ટેશનથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલા ધુર્વામાં ૧૦૦ ફુટ ઊંચી પહાડી પર બનેલું જગન્નાથ મંદિર પણ અગ્ર ક્રમાંકે આવે છે. વળી અહીં તો છેક ૧૬૯૧થી જગન્નાથજી બિરાજે છે. જોકે સમયે-સમયે મંદિરની સંરચનામાં ફેરફાર આવ્યા છે પણ હાલનું મંદિર, ખાસ કરીને શિખર અદલોઅદ્દલ ઉત્કલ પુરીના જગન્નાથ મંદિરની ઝેરોક્સ જેવું જ ડિટ્ટો બનાવાયું છે. જોકે ૮૫-૯૦ મીટરની ઊંચાઈ ધરાવતું શિખર રંગે શુભ્ર છે, પરંતુ વાસ્તુકલા કૉપી ટુ કૉપી. જગન્નાથ મંદિરની રેપ્લિકાની જ વાત ચાલતી હોય તો ભારતની સિલિકૉન વૅલી બૅન્ગલોરના અગરા વિસ્તારના મંદિરને ન ભુલાય. પથ્થરમાંથી બનેલા આ મંદિરમાં સ્થાપત્ય કારીગરી પ્રમાણમાં ઓછી છે, પરંતુ શિખરનો શેપ અદલોઅદ્દલ પુરીના મંદિર જેવો છે. અહીં પણ રથયાત્રા ઉત્સવમાં ૧૫,૦૦૦થી વધુ ભક્તો જોડાય છે. ઓડિશાના અંગુલ જિલ્લાસ્થિત શૈલામાં આવેલું શ્રી ક્ષેત્ર મંદિર જગન્નાથ, બલભદ્ર, સુભદ્રાને સમર્પિત મંદિર પણ મેઇન મંદિરની થર્ડ કૉપી જેવું છે. વળી અહીંની સ્નાનયાત્રા અને રથયાત્રા તો રાજ્યભરમાં પ્રસિદ્ધ છે. એ જ રીતે દિલ્હીના હૌજ ખાસ અને ઉત્તર પ્રદેશના નોઓડામાં આવેલા જગન્નાથ મંદિરની વાસ્તુકલા પણ પુરીના મંદિરની નકલ સમાન કહી શકાય.
12 July, 2026 04:27 IST | Mumbai | Darshini Vashi