જાણીતી ડાયમંડ કંપની હરિ ક્રિષ્નાએ ૩૩ વર્ષની ઉજવણી નિમિત્તે મુંબઈમાં યોજેલી રક્તદાન શિબિરમાં ૬૦૫ બૉટલ રક્ત એકઠું થયું
રક્તદાન શિબિર ઉપરાંત હરિ ક્રિષ્ના ગ્રૂપ પોતાના સ્ટાફને પુસ્તકો ભેટ આપે છે એ વખાણવા જેવી વાત છે - કવિ હિતેન આનંદપરા પરમાત્માની તમારા પર અનુકંપા હોય તો જ તમે આવું સત્કાર્ય કરી શકો છો. - કવિ સંજય પંડ્યા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં બુધવારની સવાર હરિ ક્રિષ્ના ગ્રૂપના સ્ટાફના ઉત્સાહથી ઝળાંહળાં થતી હતી. કંપનીની સ્થાપનાને ૩૩ વર્ષ થયાં એ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. હરિ ક્રિષ્ના ગ્રૂપ પોતાની સામાજિક પ્રતિબદ્ધતાને બહુ સહજ ભાવે અમલમાં મૂકે છે. ગુજરાતમાં ૧૬૦ ઉપરાંત માનવ નિર્મિત તળાવો બનાવવાથી માંડીને ગુજરાત તથા મુંબઈમાં વર્ષની ત્રણ રક્તદાન શિબિરના આયોજન જેવા સરાહનીય કાર્યો આ ગ્રૂપ કરે છે. એમના સ્ટાફના વૅલ્ફેર માટેની યોજનાઓએ પણ ચેરમેન સવજીભાઈ ધોળકીયા અને મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકીયાને ભારતમાં તથા વિદેશમાં જાણીતા કર્યા છે. આવા આયોજનમાં હાજરી આપવા કંપનીએ પાંચ અતિથિ વિશેષને નિમંત્રણ આપ્યું હતું જેમાં કવિ તથા કટારલેખક હિતેન આનંદપરા અને કવિ સંજય પંડ્યા પણ હતા. કવિ હિતેન આનંદપરાએ રક્તને લગતા કેટલાક શેર સંભળાવી હોદ્દેદારોના વાંચન પ્રેમને પણ બિરદાવ્યો હતો. સ્ટાફને જન્મદિવસે અપાતા પુસ્તકની પરંપરા માટે એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.'સત્કર્મ કરવા માટે પણ ઈશ્વરની કૃપા જરૂરી છે ' એવું કવિ સંજય પંડ્યાએ જણાવ્યું હતું.' આપણી લક્ષ્મી જ્યારે અન્યના ભલા માટે કે સામાજિક ઉત્થાન માટે વપરાય ત્યારે એ મહાલક્ષ્મી બને છે 'એવું એમણે જણાવ્યું હતું. આમ પણ રક્તની માંગની સામે ઓછું રક્તદાન થાય છે એના આંકડા ટાંકી એમણે સહુએ એ વિશે જાગૃતતા ફેલાવવી જોઈએ એવું એમણે જણાવ્યું હતું.ડૉ. હિમાંશુ મહેતાએ પોતાની પ્રવાહી વક્તવ્ય શૈલીમાં રક્તદાન કોઈ પરિવારના લાડકવાયાને બચાવી લે છે એ વાત ભારપૂર્વક કહી. બ્લડ ડોનેશનથી કોઈ નબળાઈ આવતી નથી અને સ્વાસ્થ્ય વધુ સારું રહે છે એ વાત પણ એમણે જણાવી. રિટેલર્સ અસોશિયેશનના અધ્યક્ષ વિરેન શાહે પણ ગ્રૂપના કાર્યને બિરદાવ્યું. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકીયાએ શરૂઆતમાં સહુ અતિથિનું મેમેન્ટોથી સ્વાગત કર્યું અને ગ્રૂપના ન્યૂસલેટર એચકે કનેક્ટના વિશેષ અંકનું સહુએ લોકાર્પણ કર્યું હતું. ઘનશ્યામભાઈએ કહ્યું કે ઓછા ભણતર છતાં ફક્ત મહેનત અને વિઝન દ્વારા ગ્રૂપ નવાં શિખરો સર કરતું જાય છે. એમણે એનો યશ સમગ્ર સ્ટાફને આપ્યો હતો. ઘનશ્યામભાઈની વાક્છટા એમની પછીની પેઢીમાં પણ જોવા મળી. એમના પુત્ર હિતાર્થે ગ્રૂપની સામાજિક જવાબદારી અને પ્રતિબદ્ધતા સતત જળવાઈ રહેશે એ વાત પર ભાર મૂક્યો. ગ્રૂપનો બૅન્કીંગ વહીવટ સંભાળનાર કે.બી.રાજગોપાલનની પણ વિશેષ હાજરી હતી. ગ્રૂપના ઍડમિનિસ્ટ્રેશન તથા માર્કેટીંગના હસુ ધોળકીયા, પરાગ શાહ, મહેશ ગંડાની ઉપરાંત ડાયમંડ બુર્સના ડીલર્સની પણ હાજરી હતી. આ બધા ઉપરાંત, આ પર્વના વિશેષ હીરો હતા અસંખ્ય બ્લડ ડૉનર્સ જેમણે રૅકોર્ડ બ્રેક રક્તદાન નોંધાવ્યું.
read more
માટુંગાની એમ. એમ. પી. શાહ મહિલા કૉલેજ ખાતે વૃક્ષારોપણ, નોટબુક અને છત્રી વિતરણ કાર્યક્રમનું સમાપન
સેવા મંડળ એજ્યુકેશન સોસાયટી, માટુંગા દ્વારા સંચાલિત શ્રીમતી મણિબેન એમ. એમ.પી. શાહ મહિલા કૉલેજ (ઓટોનોમસ) ખાતે ‘લાયન્સ ક્લબ ઑફ સાયન’ના સહયોગથી એક ભવ્ય સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, લગભગ 200 વિદ્યાર્થિનીઓને નોટબુક અને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને કૉલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનો તરીકે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ફિરોઝ કાત્રક, ગેસ્ટ ઑફ ઓનર લાયન એલ્ફિડિયા અને ખાસ આમંત્રિત મહેમાન લાયન પવન કુમાર અગ્રવાલ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું અધ્યક્ષપદ લાયન્સ ક્લબ ઑફ સાયનના પ્રમુખ લાયન રાજેશ રસિકલાલ શાહે સંભાળ્યું હતું. મહેમાનોએ વિદ્યાર્થિનીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને પહેલની પ્રશંસા કરી હતી. કૉલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. અવનીશ ભટ્ટે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થિનીઓને સંબોધન કરતી વખતે લાયન્સ ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થિનીઓને માત્ર ભૌતિક રીતે સશક્ત બનાવતા નથી, પરંતુ સમાજ સેવાના મૂલ્યો પણ શીખવે છે. કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણથી થઈ હતી જેમાં બધા મહેમાનોએ ભાગ લીધો હતો અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ કૉલેજના આગળના ભાગમાં તમામ વિદ્યાર્થિનીઓને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ ખાસ કરીને વરસાદની ઋતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે લાયન રાજેશ રસિકલાલ શાહ દ્વારા શરૂ કરાયેલ ‘લાયનિસ્ટિક યર’ હેઠળ, ‘લાયન ક્લબ ઑફ સાયન’ દ્વારા આગામી 365 દિવસોમાં એક નવો પ્રોજેક્ટ ‘અન્નદાન’ શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, ડાયાલિસિસ દર્દીઓ અને તારાચંદ બાબા હૉસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ દર્દીઓને આખા વર્ષ દરમિયાન સ્વસ્થ નાસ્તો આપવામાં આવશે. ક્લબ સેક્રેટરી સોની સિંહે આ કાર્યક્રમમાં મદદ કરનાર તમામ મહેમાનો અને લાયન મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામ મહેમાનોએ તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
read more
'સુનો સુનાઓ સન્ડે મનાઓ' સેકન્ડ એડિશન: મુંબઈના સિનિયર સીટીઝન કરશે ઓપન માઈક
આર્ટ્સ કલેક્ટિવ ડુવિથ લિટ સાથે સહયોગથી ભારતના 60+ સમુદાયના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ જીવનશૈલી ઍપ્લિકેશન, જનરલ એસ લાઇફ, તેના ખૂબ જ પ્રિય કાર્યક્રમ, ’સુનો સુનાઓ સન્ડે માનાઓ’ મુંબઈના પ્રથમ ક્યુરેટેડ ઓપન માઇક, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટેની બીજી આવૃત્તિ સાથે પાછું આવ્યું છે. આ કાર્યક્રમ રવિવાર, 6 જુલાઈ, 2025 ના રોજ સાંજે 4:30 થી 6:30 વાગ્યા સુધી જશ્ન સ્ટુડિયો, ખાર (પશ્ચિમ), મુંબઈ ખાતે યોજાશે. 55 કરતાં વધુ સમુદાય માટે એક વિશિષ્ટ ઓપન માઇક સ્વ-અભિવ્યક્તિ, વાર્તા કહેવા અને શૅર કરેલા આનંદની ઉજવણી કરવા માટે પરત ફરશે. આ કાર્યક્રમમાં 55 અને તેથી વધુ ઉંમરના સહભાગીઓ દ્વારા રજૂ કરાયેલ સંગીત, કવિતા, રમૂજ અને વાર્તા કહેવાનું એક શક્તિશાળી અને સરળ ફોર્મેટ પ્રદાન કરવામાં આવશે. તે મનોરંજનથી આગળ છે, અભિવ્યક્તિ, જોડાણ અને પુનઃશોધ માટે એક લાઈવ લોકેશન જગ્યા બનાવે છે. સુનો સુનાઓ સન્ડે માનાઓ વરિષ્ઠ નાગરિકોની કાયમી સર્જનાત્મક ભાવનાની ઉજવણી કરે છે અને મુંબઈના સાંસ્કૃતિક પરિદૃશ્યમાં તેમના અવાજોને મોખરે રાખે છે. આ પહેલ વિશે બોલતા, જનરલ એસ લાઇફના સ્થાપક મીનાક્ષી મેનનએ કહ્યું, “પહેલી આવૃત્તિએ જે આનંદ અને ઉર્જા ફેલાવી તે અમને ખૂબ ગમ્યું. સુનો સુનાઓ સન્ડે માનાઓ સાથે, અમે ફક્ત એક પ્રદર્શન પ્લેટફોર્મ જ નહીં - અમે એક એવું સ્ટેજ બનાવી રહ્યા છીએ જ્યાં જીવનની વાર્તાઓ, હાસ્ય અને બુદ્ધિનું સન્માન કરવામાં આવે છે. તે વરિષ્ઠ નાગરિકો અને સમાજને યાદ અપાવવા વિશે છે કે જોવા, સાંભળવા અને ઉજવણી કરવામાં ક્યારેય મોડું થતું નથી.” ઉદ્ઘાટન કાર્યક્રમને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ, બીજી આવૃત્તિ સર્જનાત્મકતા, સમુદાય અને વહેંચાયેલ યાદોની બીજી હૃદયસ્પર્શી સાંજ હશે. જ્યારે સ્ટેજ વરિષ્ઠ કલાકારો માટે અનામત છે, ત્યારે નાના પ્રતિભાગીઓને તેમના માતાપિતા અથવા દાદા-દાદી સાથે જોડાવા અને અનુભવનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ પહેલ ભારતની વધતી જતી વરિષ્ઠ વસ્તીને આનંદ, હેતુ અને દૃશ્યતા પ્રદાન કરતી ભાવનાત્મક રીતે સમૃદ્ધ જગ્યાઓ બનાવવા માટે જનરલ એસ લાઇફની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ઇવેન્ટની વિગતો: ટાઇટલ: સુનો સુનાઓ રવિવાર માનાઓ તારીખ: રવિવાર, 6 જુલાઈ, 2025 સમય: સાંજે 4:30 થી સાંજે 6:30 સ્થળ: જશ્ન સ્ટુડિયો, ખાર (પશ્ચિમ), મુંબઈ પ્રવેશ: પ્રતિ વ્યક્તિ ₹349 (નાસ્તા સહિત) ટિકિટ BookMyShow અને Insider પર ઉપલબ્ધ છે.
read more
મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા ફિલ્મ 'સંઘવી & સન્સ'નું ટ્રેલર લોન્ચ- દિગ્ગજ કલાકારોની હાજરી
મુંબઈના અંધેરીમાં સ્થિત જાણીતા ક્લબ ખાતે ફિલ્મ અને મીડીયા જગતની હસ્તીઓની ખાસ ઉપસ્થિતિમાં આ સમારંભ યોજાયો હતો. આગામી ૧૮ જુલાઇના રોજ રીલીઝ થઇ રહેલી મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા અને સંપુર્ણ પારિવારિક ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર મુંબઇના અંધેરી સ્થિત જાણીતા ક્બબ ખાતે થયું. ફિલ્મ અને મીડીયા જગતના દિગ્ગજોની ખાસ ઉપસ્થિતિ રહી હતી.પદ્મશ્રી મનોજ જોષી, ક્યોંકી સાસભી કભી બહુથી ફેમ હીતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, કોમલ ઠક્કર, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી સહિત ૩૮થી વધુ જાણીતા કલાકારોને લઈને તૈયાર થયેલી આ મોટા બજેટની મેગા ફિલ્મનું શુટીંગ અમદાવાદ સહિત કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નસ્થળ માધવપુર અને વૃન્દાવન ખાતે કરવામાં આવ્યું છે. અત્યારથી જ ચર્ચાઓમાં રહેલી આ ફિલ્મના લેખક/દિગ્દર્શક છે ચંદ્રેશ ભટ્ટ તથા નિર્માતાઓ છે અનેક ફિલ્મોના અનુભવી અને GTPLના ડીરેક્ટર રાજુ રાયસિંઘાણી, આનંદ ખમાર, આકાશ દેસાઈ, અંકુર અઢીયા, સંજય ભટ્ટ અને હેત દોશી.
read more
આદિત્ય ઠાકરે જહાંગીર આર્ટ ગૅલૅરી ખાતે IAS નિધિ ચૌધરીના કલા પ્રદર્શનમાં પહોંચ્યા
પર્યાવરણ સંરક્ષણ આજના સમયનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. ચિત્રકામ આ વિષય પર જનજાગૃતિ માટે એક અસરકારક માધ્યમ બની રહ્યું છે. મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી અને નેશનલ ગૅલૅરી ઑફ આર્ટના ડિરેક્ટર નિધિ ચૌધરીની પેઇન્ટિંગ માત્ર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે વર્તમાનની વાસ્તવિકતાને પણ અસરકારક રીતે રજૂ કરે છે, એમ વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. મુંબઈની પ્રખ્યાત જહાંગીર આર્ટ ગૅલૅરીમાં આયોજિત નિધિ ચૌધરીના કલા પ્રદર્શનની મુલાકાત લેતા, ધારાસભ્ય ઠાકરેએ સામાજિક દ્રષ્ટિકોણથી પ્રેરિત તેમના પેઇન્ટિંગની પ્રશંસા કરી. વહીવટી જવાબદારીઓ સાથે પોતાની કલાને વહાલ કરતી નિધિ ચૌધરી પોતાની પેઇન્ટિંગ દ્વારા પર્યાવરણ વિષય પર મહત્ત્વપૂર્ણ સંદેશા આપી રહી છે. આ પ્રદર્શનમાં 40 પેઇન્ટિંગનો રાખવામાં આવી છે જે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને વૈશ્વિક વાર્તાઓ અને લોકવાયકાઓ પર આધારિત દ્રશ્યો રજૂ કરે છે. આ પેઇન્ટિંગ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, સંવેદનશીલતા અને મહાપુરુષોના વિચારોની ઝલક આપે છે. આ કલા નાગરિકો સાથે સીધી વાતચીત કરે છે અને તેમને વિચારવા માટે મજબૂર કરે છે, એમ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.
read more
અમદાવાદમાં ગુજરાતી બાળ-સાહિત્ય અનુવાદ કાર્યશાળાનું આયોજન
નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (એનબીટી) દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગુજરાતી અનુવાદ કાર્યશાળાનું ઉદ્ઘાટન શુક્રવાર, 13 જૂને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના બોર્ડરૂમ ખાતે થયું. પ્રખ્યાત ગુજરાતી લેખક અને પ્રથમ સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્તકર્તા શ્રી યશવંત મહેતાએ મુખ્ય અતિથિ તરીકે કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું અને બાળકો માટે અનુવાદિત સાહિત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે બોલતાં એનઆઈડીના ડિરેક્ટર ડૉ. અશોક મૌડલે સાહિત્યની દુનિયા અને ડિઝાઇનિંગ વચ્ચેના ઊંડા જોડાણો અને રાષ્ટ્રીય જીવનમાં પુસ્તકો કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો. એનબીટીના મુખ્ય સંપાદક અને સંયુક્ત નિયામક શ્રી કુમાર વિક્રમે વાંચનની સંસ્કૃતિ બનાવવાના એનબીટીના મુખ્ય ઉદ્દેશના કેન્દ્રબિંદુ અને પુસ્તકો દ્વારા રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવામાં આ અનુવાદ કાર્યશાળાઓ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો. ટ્રસ્ટના સંપાદક (ગુજરાતી) શ્રી ભાગ્યેન્દ્ર પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું અને ટ્રસ્ટના નવાં પુસ્તકો વિશે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું. ગયા ગુરુવારે અમદાવાદ શહેરમાં થયેલ કરુણ વિમાન દુર્ઘટનામાં થયેલા મૃતકોની યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસીય વર્કશોપ દરમિયાન 20 પ્રખ્યાત તેમ જ યુવા લેખકો/અનુવાદકોનું જૂથ આશરે 100 પુસ્તકોનો અનુવાદ તૈયાર કરશે અને નવાં પુસ્તકોનું નિર્માણ કરશે. શ્રી અનિલ રાવલ, શ્રી રવિન્દ્ર અંધારિયા, સુશ્રી કાશ્યપી મહા, શ્રી પરીક્ષિત જોશી, શ્રી બ્રિજેશ પંચાલ, સુશ્રી સુરેખા રાઠવા, ડૉ. અનિલ ચૌહાણ, શ્રી સાહેબરાવ પાટીલ, સુશ્રી બકુલા પરમાર, ડૉ. હિના મિસ્ત્રી અને શ્રી વિષ્ણુ સુથાર જેવા અનુભવી અને ભાષા નિષ્ણાત વિદ્વાન અનુવાદકો કાર્યશાળામાં ભાગ લઈ રહયાં છે.
read more
'નવલકથાની સર્જનકથા - વિચારથી વિમોચન સુધી' વિષય પર વર્ષા અડાલજાએ સુંદર વક્તવ્ય આપ્યું
તા. ૧૧ જૂન ૨૦૨૫ના રોજ સાંજે મુ. ભવન્સના ઉપક્રમે ગીતા મંદિરના હૉલમાં આદરણીય વર્ષાબહેન અડાલજાના ચાહકો અને સાહિત્યરસિકોની મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. અવસર જ એવો હતો કે વર્ષાબહેન પોતે પોતાની નવલકથાઓની સર્જનયાત્રામાં વિચારથી વિમોચન સુધીની વાત કરવાનાં હતાં. ભાઈશ્રી નિરંજન મહેતાએ સહુને આવકારી કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા બાંધી અને વધુ સમય ન લેતાં ડૉ. પ્રીતિબહેન જરીવાલાને મંચ પર એકોકિત ભજવવા આમંત્રણ આપ્યું. મૂળે કલાકાર, વ્યવસાયે ડૉક્ટર અને લેખિની સંસ્થા-મુંબઈનાં અધ્યક્ષ ડૉ. પ્રીતિબહેન જરીવાલાએ વર્ષાબહેનની નવલકથા 'રેતપંખી'ની નાયિકા સુનંદાની એકોકિત ભજવી, થોડી મિનિટો માટે સુનંદાને મંચ પર હૂબહૂ જીવંત કરી બતાવી. સર્જકની પ્રત્યક્ષ જ એમનાં એક પાત્રને ભજવી બતાવવું એ એક પડકાર ઉપરાંત અણમોલ ઘડી કહેવાય. પ્રીતિબહેન સાંગોપાંગ પાર ઊતર્યાં. પ્રીતિબહેને કહ્યું, છ દાયકાની સુદીર્ઘ, સફળ સર્જનયાત્રામાં આદરણીય વર્ષાબહેને નાટકો, પ્રવાસ સંપાદન, નવલિકાસંગ્રહો, નવલકથાઓનાં પુસ્તકો અને આત્મકથાનું એક પુસ્તક પણ આપ્યું છે. હજી પણ તેમની કલમ અવિરત ચાલ્યા કરે છે. અત્યારે તેમનાં ત્રણ પુસ્તકો - બાણ શય્યા અને બે વાર્તાસંગ્રહ પ્રેસમાં છે. તેઓ લેખિકા તો છે જ પણ એક સફળ અભિનેત્રી પણ રહ્યાં છે. તેઓની સફળતા આછળ તેમની સર્જન પ્રત્યેની સમર્પિત ભાવના રહી છે. કથાબીજનાં પાત્રની વ્યથા કથા, સંવેદના સમજવા તેઓ જાતે એની સાથે રહ્યાં છે. અઢળક સંશોધન કર્યું છે. એક ૠજુ હ્રદય જ એ સંવેદનાને આત્મસાત કરી કોરા કાગળને વાચા આપી શકે છે. ઘરથી દૂર રહીને વાર્તાસર્જન દ્વારા સમાજિક પ્રશ્નોનો ઉકેલ લાવી સમાજની સેવા કરી છે. આમ, સમાજ અને ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા કરી છે. એમણે સામાજિક તેમ જ રહસ્યકથાઓ પણ લખી છે, જેના પરથી ફિલ્મો, ટીવી સિરિયલ અને નાટકો પણ ભજવાયા છે. લેખિકા તરીકે તેમણે અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું કામ કર્યું છે. નવલકથાના વિચારથી વિમોચન સુધીનો વાર્તાલાપ શરૂ કરતાં વર્ષાબહેને કહ્યું, મને બહુવાર એક સવાલ પુછાયો છે કે તમને વિચાર કે કથાબીજ ક્યાંથી મળે છે? તેઓ કહે છે, કથાબીજ કે વિચાર તો આપણી આજુબાજુમાંથી મળી જતાં હોય છે, એને પામવું પડે. 'રેતપંખી' નવલકથાનું ઉદાહરણ આપી કહ્યું કે તેમણે નાનપણમાં એક પ્રૌઢ પુરુષ અને તેની પાછળ ચાલી આવતી યુવાન સ્ત્રીને તેમનાં ઘર પાસેથી પસાર થતાં જોયેલાં. બસ આ દૃશ્ય તેમનાં મનમાં અંકિત થઈ ગયું ને જ્યારે વર્ષો પછી નવલકથા લખવાની આવી ત્યારે તેમણે આ બે પાત્રોની આસપાસ કથાને વિસ્તારી. આવું કોઈ બીજ અંદર અંદર ધરબાયેલું પડ્યું હોય અને ક્યારે અંકુરિત થાય તે કહેવાય નહીં. કથાબીજને ખાતર-પાણી કેવું આપવું તે સર્જક ઉપર છે. સાધારણ વસ્તુને વિશેષરૂપે રજૂ કરવી એ કાબેલ સર્જકનું કામ છે. તેઓ કહે છે સાહિત્યએ મારા જીવનનું ઘડતર કર્યું અને નવલકથાઓએ મને અઢળક આપ્યું, એ ઈશ્વરના આશીર્વાદ છે. વર્ષાબહેને સતત એક કલાકથી વધુ સમય સુધી ઊભાં રહીને વગર થાક્યે વક્તવ્ય આપ્યું. ભાવકો એમની અનુભવવર્ષામાં તરબતર થઈને આનંદની લાગણી સાથે છૂટાં પડ્યાં. (અહેવાલ સાભાર લેખિકા શ્રીમતી જ્યોતિ હિરાણી અને મીનાક્ષી વખારિયા)
read more
મુંબઈમાં સિનિયર સિટીઝન માટે ફર્સ્ટ પિઝા મેકિંગ વર્કશૉપ તે પણ કાંદિવલીમાં, જાણો વિગતો
વિકેન્ડના આયોજનમાં એક સ્વાદિષ્ટ અનુભવ માટે ભારતના ૬૦+ સમુદાય માટે સમર્પિત જીવનશૈલી પ્લેટફોર્મ, GenS Life દ્વારા શનિવાર, ૧૪ જૂન ૨૦૨૫ ના રોજ પિઝેરિયાના કાંદિવલી આઉટલેટ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે એક વિશિષ્ટ પિત્ઝા મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ ખાસ અનુભવ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે, જેમાં ભાગ લેનારને પિત્ઝા ડોવ રોલ કરવાની, તેમના ટૉપિંગ્સ પસંદ કરવાની, બેક કરવાની અને પોતાના હાથથી બનાવેલા પિત્ઝાનો આનંદ માણવાની તક મળશે - આ બધું પ્રોફેશનલ શૅફના એક્સપર્ટ માર્ગદર્શન હેઠળ. માત્ર ૧૨ સીટ માટે મર્યાદિત, આ ઇવેન્ટ ફક્ત ૬૦ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે જ ખુલ્લી છે, જે વરિષ્ઠ નાગરિકો માટે આરામદાયક, આકર્ષક વાતાવરણ સુનિશ્ચિત કરે છે. GenS Life ના સ્થાપક મીનાક્ષી મેનને જણાવ્યું હતું કે, “GenS Life માં, અમે માનીએ છીએ કે નવા અનુભવો શોધવા માટે ઉંમર કોઈ અવરોધ નથી. આ વર્કશોપ ફક્ત પિત્ઝા વિશે નથી - તે આનંદ, કનેક્શન અને કોઈપણ ઉંમરે કંઈક નવું શોધવાની સ્વતંત્રતા વિશે છે. વર્કશૉપ વિગતો: ? સ્થળ: 14°41° પિઝેરિયા, કાંદિવલી ? તારીખ: શનિવાર, 14 જૂન 2025 ⏰ સમય: સાંજે 4 થી સાંજે 6 વાગ્યા સુધી ?️ ટિકિટ કિંમત: બિન-સભ્યો માટે રૂ. 1799 | GenS Life ના સભ્યો માટે રૂ. 1299 ? ₹1000 (સ્થળ પર ચૂકવવાપાત્ર બેલેન્સ) સાથે પૂર્વ-નોંધણી જરૂરી છે. સ્થળ પર કોઈ બુકિંગ નહીં થાય. નોંધણી હવે GenS Life અને 14°41° પિઝેરિયાની સત્તાવાર સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા ખુલ્લી છે. રસ ધરાવતા સહભાગીઓ સાઇન અપ કરવા માટે 'લિંક ઇન બાયો' પર ક્લિક કરી શકે છે. (ધ્યાન આપો: આ એક Paid વર્કશૉપ છે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમનો તેમાં કોઈ સહભાગ નથી)
read more
શનિવારે 'ઝરૂખો'માં શ્રાવણનો પાઠ 'અને નદીષ્ટ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, 'અનંતતા તરફની આપણી ગતિને ધનસંપત્તિ નહિ પણ સ્વતંત્રતા અને આનંદ જોઈએ છે.' લાઓ ત્ઝુએ કહ્યું છે, 'પ્રકૃતિ કદી ઉતાવળ નથી કરતી અને છતાં ય બધું પૂર્ણ હોય છે' પ્રકૃતિ આપણને આપણી જાતનો પરિચય કરાવે છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ એટલે નદી, તળાવ, વૃક્ષો , પર્વતનું સાન્નિધ્ય માનવીને શાતા આપે છે. ડૉ. ઉર્વશી પંડ્યા અને ડૉ. હિતેશ પંડ્યા શનિવાર ૭મી જૂને, સાંજે ૭.૨૦ વાગ્યે ઝરૂખોની સાહિત્યિક સાંજ, પ્રકૃતિ સાથે જેનો નાળસંબંધ છે એવાં બે પુસ્તકો, 'શ્રાવણનો પાઠ' અને 'નદીષ્ટ' સાથે ભાવકોને પરિચય કરાવશે. ડૉ. હિતેશ પંડ્યાનાં મૂળિયાં સાબરકાંઠાની ધરતી અને લોકજીવન સાથે જોડાયેલાં છે. ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બેયનો પડઘો એમના નિબંધોમાં પડે છે. એમના નિબંધસંગ્રહ 'શ્રાવણનો પાઠ'( રંગદ્વાર પ્રકાશન)ના નિબંધો અને એની સર્જનપ્રક્રિયા વિશે તેઓ વાત કરશે. બીજું પુસ્તક છે 'નદીષ્ટ'- મરાઠી ભાષાના જાણીતા લેખક મનોજ બોરગાંવકરની નવલકથાનો ડૉ. ઉર્વશી પંડ્યાએ ઉમદા અનુવાદ કર્યો છે. નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે. નદી ફક્ત કથાનાયકમાં જ નહિ પણ ભાવકમાં પણ વહેતી હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તક વિશે ડૉ. ઉર્વશી પંડ્યા વાત કરશે( ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન) બાદલ પંચાલ યુવાન વાર્તાકાર બાદલ પંચાલ આ પુસ્તકોના ગદ્યખંડનું વાચિકમ કરશે. પુસ્તકોનાં મુખપૃષ્ઠ સંજય પંડ્યાના સંચાલનમાં આ જાહેર કાર્યક્રમ છે અને ભાવકો આ અદભૂત સાંજને માણવા સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર , બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી શકે છે.
read more
કલાગુર્જરી અને મા આનંદમયી ફાઉન્ડેશન દ્વારા કવિસંમેલન સંપન્ન
કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) તથા 'મા' આનંદમયી ફાઉન્ડેશન (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે 'કવિતાનો કંસાર' કાર્યક્રમ તા.૩૧/૦૫/૨૦૨૫ શનિવારે સંપન્ન થયો. સંસ્થાના પ્રમુખ હેમાંગ જાંગલા મા. મંત્રી પ્રણવ ભગત અને અન્ય સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સર્વ કવિઓનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું. કવિયત્રી શિલ્પા શેઠ (શિલ્પ), કવિ સુરેશ ઝવેરી (બેફિકર), ચેતન ફ્રેમવાલા, જયેશ ભટ્ટ, દિલીપ શ્રીમાળી, રાજેશ હિંગુ, ધાર્મિક પરમારે વિવિધ વિષયો ઉપર સુંદર રચનાઓ રજુ કરી શ્રોતાઓ ને રસતરબોળ કરી નાખ્યા હતા. કાર્યક્રમનું રચનાત્મક રીતે સંચાલન તેજસ દવેએ કર્યું હતું. વિવિધ કવિઓની રચનાઓનો તેમણે આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો. વિનય પાઠક દ્વારા કાર્યક્રમની રૂપરેખા બાંધવામાં આવી હતી. હાજર રહેલા સર્વ સાહિત્ય પ્રેમી શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી સર્વે કવિઓની રચનાને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રમુખ હેમાંગ જાંગલાએ સર્વે કવિઓનું સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું. આવા સફળ કાર્યક્રમના આયોજન બદલ તેજસ દવેએ હેમાંગ જાંગલાનો આભાર વ્યક્ત કર્યો હતો.
read more
મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશન દ્વારા કરિયર માર્ગદર્શન શિબિર યોજાશે
શું તમને પણ થાય છે ને કે What next after 10th / 12th / Graduation? હાલમાં જ આપ સૌ વિદ્યાર્થીમિત્રો વિવિધ પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છો તે બદલ હાર્દિક અભિનંદન. આ સાથે કારકીર્દીના ઘડતર માટે શું નિર્ણયો લેવા તેની થોડી ચિંતા પણ હશે. ધોરણ ૧૦ પાસ થયા પછી Arts, Science કે પછી Commerce શું લેવું? ધાર્યા પ્રમાણે ટકા ન આવ્યા તો શું થયું? કયા વિષયો લઈ આગળ ભણતર કરવું? આના વિશે વિદ્યાર્થી અને વાલીઓને પૂર્ણ જ્ઞાન કે માર્ગદર્શન હોતું નથી. પરિણામે અડોશ-પડોશમાં કે મિત્રોને પૂછીને ભવિષ્યના નિર્ણયો લેવાતા કોય છે જે આગળ જતા ઘણી વખત ખોટા પુરવાર થાય છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા કરિયર માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીરમાં શ્રી. હિરેન પાસડ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ અને સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટેના વિવિધ વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન શનિવાર તા. ૩૧.૦૫ ૨૦૨૫ના રોજ સાંજે ૫.૦૦ કલાકે એ-ર હૉલ ખાતે આપવાના છે. શ્રી હિન પાસડ જેઓ મોટીવેશનલ સ્પીકર અને કારકિર્દી માર્ગદર્શક તરીકે કાર્યરત છે તેમજ અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નમ્ર વિનંતી કે આ શિબીરમાં સમસયર ઉપસ્થિત રહી તમે તમારા પ્રશ્નોને/મૂંઝવણોનું નિરાકરણ કરશો. કરિયર માર્ગદર્શન શિબીરના આયોજન મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. સમય : શનિવાર તારીખ ૩૧.૦૫.૨૦૨૫ રોજ સાંજે ૫.૦૦ કલાકે સ્થળ : એ-ર સભાગૃહ, મહાલક્ષ્મી નવરંગ, ડૉ. આંબેડકર નગર, એ. કે. રાઠોડ માર્ગ, મહાલક્ષ્મી, મુંબઈ ૪૦૦ ૩૪. ખાસ નોંધ : ૧) વિદ્યાર્થી મિત્રોને પોતાના વાલીઓને સાથે લાવવા વિનંતી. ર) નોંધ કરવા પોતાના સાથે એક નોટબુક પેન લાવવી જરૂરી છે. આ આયોજનમાં સહયોગી સંસ્થા તરીકે મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત વિ-૧૦ અને શ્રી તુલસીવાડી મેઘવાળ પંચાયત વિ-૦૯એ સાથ આપ્યો છે.
read more
વર્ષા તન્ના અને કામિની મહેતાની સહિયારી નવલકથા 'ઝંખના એક ક્ષણની'ને 'લેખિની'એ વધાવી
આજે તા.૧૦ મે ૨૦૨૫ની લેખિનીની માસિક સભા અમારાં સહુ માટે ખાસ બની રહી. આજના અજેન્ડામાં, વિષય હતો, સ્વરચિત વાર્તા પઠનનો અને લેખિનીની કાર્યકારી સમિતિની બે સુજ્ઞ સખીઓ, વર્ષાબહેન તન્ના અને કામિનીબહેન મહેતાએ મળીને લખેલી નવલકથા 'ઝંખના એક ક્ષણની' પુસ્તકનાં લોકાર્પણનો. જે આદરણીય કનુભાઈ અને ડૉ.સુશીલાબહેનનાં હસ્તે સંપન્ન થયું તેનો આનંદ. તદ્ઉપરાંત આજની સભા વિશિષ્ટ એ માટે રહી કારણ કે આદરણીય કનુભાઈ તેમ જ ડૉ.સુશીલાબહેનના વરદ હસ્તે લેખિની સંસ્થા-મુંબઈના પ્રાણ સમાન સહુનાં લાડીલાં પ્રીતિબહેનનું બહુમાન કરવામાં આવ્યું. આ સુખદ ઘટનાનાં સાક્ષી બનનાર અમ સહુના ચહેરાનો રાજીપો શબ્દાતીત હતો. પ્રીતિબહેન એટલે લેખિની અને લેખિનીનું નામ લેતા પ્રીતિબહેનનો ચહેરો જ નજર સમક્ષ તરવરી ઉઠે એટલી હદે તેઓ સંસ્થાને સમર્પિત છે. સહુને સાથે લઈને ચાલનારાં પ્રીતિબહેન લેખિનીઓનાં પ્રેરણાસ્રોત બનતાં રહ્યાં છે. કોઈએ ઓછું લખ્યું, સારું લખ્યું કે મધ્યમ લખ્યું હોય બસ કલમની ધાર નીકળતી રહે એ રીતે સહુને પ્રોત્સાહિત કરતાં રહે છે. કનુભાઈએ પ્રીતિબહેનની કર્તવ્યનિષ્ઠતાને બિરદાવતા કહ્યું કે એમને જ્યારે જ્યારે જે પણ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ત્યારે તેઓ શતપ્રતિશત પાર ઉતર્યાં છે. સાહિત્ય સંસદની હોય, લેખિની સંસ્થાની હોય, પારિવારિક હોય કે અન્ય કોઈપણ, તેઓએ દરેક ફરજ સારી રીતે નિભાવી છે. પ્રીતિબહેનના કહેવા પ્રમાણે આદરણીય કનુભાઈ અને સુશીલાબહેન તો તેમનાં દત્તક માવતર છે. ત્યાં પણ દીકરી તરીકેની ફરજ બજાવવામાં ઊણાં નથી ઉતર્યાં. આવો મોકો જવલ્લેજ મળે કે આપણી ગમતી વ્યક્તિને પોંખાતી જોઈ શકીએ. આ પ્રસંગે આભાર વિધિ કામિનીબહેન મહેતાએ કરી અને સભાનું સમાપન કર્યું હતું. ડો.સુશીલાબહેને કહ્યું કે હું બે શબ્દ બોલીશ નહીં પણ લખીને આપીશ. અમે તેની રાહમાં... અંતે સેવપુરી, પેંડા અને ચા-કૉફીને ન્યાય આપી ફરીને મળવા માટે વિદાય તો લેવી જ પડી... (અહેવાલ - મીનાક્ષી વખારિયા)
read more
ADVERTISEMENT