આજની કવિવારની શ્રેણીમાં મળીએ વડોદરાના શાયર દિનેશ ડોંગરે `નાદાન`ને. વડોદરામાં જન્મેલા આ શાયરની માતૃભાષા તો મરાઠી પણ રાજ્યભાષા ગુજરાતી. વ્યવસાયે તેઓ એડ્વોકેટ. દિનેશ ડોંગરે પાસેથી આપણને અનેક ગઝલો મળી છે. પ્રવીણ દરજી કહે છે એમ આ કવિનો સ્થાયી ભાવ ઉદાસીનો રહ્યો છે. તેઓની રચનામાં પ્રેમ, વિરહ અને સામાજિક નિસ્બતનો ત્રિવેણી પ્રવાહ જોવા મળે છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
10 March, 2026 02:29 IST | Mumbai | Dharmik Parmar