જૂનાગઢ... આ નામ કાને પડતાની સાથે જ આંખ સામે ગિરનારના ગગનચુંબી શિખરો, ભવનાથના મેળામાં ગુંજતો શંખનાદ અને સોરઠી ધરતીની એ સોડમ જીવંત થઈ ઉઠે છે. પણ વાંચકો, આ વખતે મારે તમારી સાથે જૂનાગઢના ઇતિહાસની નહીં, પણ ત્યાંના રસ્તાઓ પર લહેરાતી એક અનોખી સુગંધથી મહેકતા બજારની વાત કરવી છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં, જ્યારે ગિરનારની ગિરીમાળાઓ ધુમ્મસની ચાદર ઓઢીને શાંત બેઠી હોય, ત્યારે ભવનાથની તળેટીમાં એક ખાસ બજાર ધમધમે છે, જે ‘ગિરનારી કાવા બજાર’ તરીકે ઓળખાય છે. આ માત્ર એક બજાર નથી, પણ શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને સ્વાદનું એક એવું સંગમતીર્થ છે જ્યાં પહોંચ્યા પછી એમ લાગે કે જાણે કુદરતે પોતે આપણને જડીબુટ્ટીઓનું અમૃત પીરસવા માટે બોલાવ્યા છે. શિયાળાના દિવસોમાં જ્યારે આખું રાજ્ય ઠંડીથી ઠરતું હોય છે, ત્યારે ભવનાથનું તળેટી વિસ્તાર એક અનોખા ઉત્સવમાં ફેરવાઈ જાય છે. અહીં લાઈનબંધ 50 થી 60 કાવાની લારીઓ ધમધમતી જોવા મળે છે. લોકોની સાંજ પાડતા જ અહીં ભીડ જામવા લાગે છે અને જમ્યા પછી પ્રવાસીઓ ચા કે કૉફીના મોહને ત્યજીને આ આયુર્વેદિક ‘અમૃતપીણું’ પીવાનું પસંદ કરે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
02 January, 2026 06:16 IST | Junagadh | Gujarati Mid-day Online Correspondent