મેઘરાજાએ તો ખરી કરી ભઈસાબ. આજે ૨૧ જૂન થઈ છતાં હજી દેખા નથી દીધી. વેધશાળાનો રિપોર્ટ કહે છે કે જૂન મહિનાના ૧૭થી પચીસ દિવસ રેઇની ડે હોય છે અને આ મહિનામાં તો ઍવરેજ ૫૦૦થી ૬૩૦ મિલીમીટર જેટલો વરસાદ પડી પણ ગયો હોય છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં આ જૂન સૌથી ડ્રાય મહિનો રહ્યો છે ત્યારે હવે વરુણદેવને રીઝવ્યે જ છૂટકો. તો હાલો આજે આપણે તીર્થાટનમાં આકાશ પર રાજ્ય કરતા આ જળના દેવનાં મંદિરોએ જઈએ
આમ તો શહેરને વર્ષભર પાણી પૂરું પાડતાં જળાશયો ઓવરફ્લો થઈ જાય એટલો જ વરસાદ ગમે. બાકી ચોમાસામાં લોનાવલા કે માલશેજ ઘાટની એકાદી ટ્રિપ અને હાઇટાઇડના દિવસોમાં મરીન ડ્રાઇવની પાળે વિતાવેલી સાંજ સિવાય મુંબઈકર મેહુલાને વધારે માણી શકતો નથી. અને ક્યાંથી માણે? ઑલરેડી આ મહાનગરના માર્ગોની હાલત બિસમાર છે. એમાં વરસાદ આવતાં ષોડશી કન્યાના ચહેરા પર જ્યાં-ત્યાં ફૂટી નીકળતા ખીલની જેમ રસ્તા પર જ્યાં-ત્યાં પડી જતા ખાડા, બેહદ ટ્રાફિક જૅમ, પાણીનો ભરાવો જેવા પ્રૉબ્લેમ્સ અહીંના સિટિઝનોની હાલત ખરાબ કરી મૂકે છે. એમાંય જો મેઘો ગાંડો થયો તો-તો અહીંની જીવનરેખા સમી રેલવેનું ટાઇમટેબલ પણ ઉપર-નીચે થઈ જાય અને લોકોના શેડ્યુલમાં ગાબડાં પડી જાય.
રાજસ્થાનના બુંદી શહેરના નવલસાગર સરોવરની મધ્યમાં પણ વરુણદેવને સર્મપિત મંદિર છે. સરોવરની સુંદરતા વધારતા આ મંદિરની ખાસિયત એ છે કે અહીં જળદેવતાને જળની અંદર જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.
જોકે હવે આ શહેરીજનો વર્ષારાણીની ડેસ્પરેટલી વાટ જોઈ રહ્યા છે, કારણ કે શહેરભરમાં જબરદસ્ત પાણીકાપ ચાલી રહ્યો છે. એવા ટાણે આપણે જળના દેવ વરુણજીને મનોમન પ્રાર્થના કરીએ અને તેમનાં મંદિરોની માનસયાત્રા કરીએ. એ પણ એક નહીં પૂરાં પાંચ અને એક તો વિદેશનું બોનસમાં.
વૈદિક ધર્મમાં ૧૦ દિકપાલમાંના એક ગણાતા વરુણદેવ કશ્યપ અને અદિતિ માતાનું સંતાન. કહે છે કે સપ્તઋષિઓમાંના એક વૈદિક ઋષિ કશ્યપે જ પોતાના પુત્રને નદી, ઝરણાં, સમુદ્ર આદિ જળના સર્વે સ્રોતના સ્વામી સલિલેશ્વર તરીકે સ્થાપિત કર્યા. જોકે નીલમણિ સમાન તેજસ્વી વરુણદેવ ફક્ત પાણીના જ દેવતા બનીને ન રહ્યા. આપણા રામાયણ, મહાભારત, પુરાણોમાં અનેક પ્રસંગો દર્શાવે છે કે તેમણે સમયે-સમયે પાંડવો, દશરથ-પુત્રોને વિવિધ આયુધો આપ્યાં છે અને મદદ કરી છે. આ ઉપરાંત પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં વરુણદેવને મહત્ત્વના દેવતા ગણાવાયા છે, કારણ કે જળ વિના સૃષ્ટિનું સંવર્ધન થવું શક્ય નથી. એ અન્વયે મોટા ભાગનાં મંદિરોમાં તેમને વિધ-વિધ સ્થાન આપવામાં આવે છે. ક્યારેક તેઓ દિશા અનુસાર મંદિરની બહારની દીવાલો પર સ્થાપિત હોય છે તો ક્યાંક કોતરણી અને કારીગીરીમાં. જોકે ભારતમાં પાંચ અને પાકિસ્તાનમાં એક આખેઆખું મંદિર વરુણદેવને સર્મપિત છે. હા, પાડોશી દેશમાં પણ. વળી એ મંદિર તો છેક સોળમી સદીમાં બનેલું છે.
જો વરુણદેવના આશીર્વાદ સમાન વરસાદમાં ભીંજાવું ન હોય તો છત્રી, રેઇનકોટ લઈ લો (કારણ કે આ દેવાલયમાં શુદ્ધ ભાવથી દર્શન કરશો તો વરુણદેવ પ્રસન્ન થવાના જ). તો ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ ગાતાં-ગાતાં ઊપડીએ દેશના અલગ-અલગ પ્રાંતોના વરુણદેવને પાય લાગવા.
21 June, 2026 06:16 IST | Mumbai | Alpa Nirmal