આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે?
દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah