સબરીમાલા મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી ત્યારે એ સુનાવણીમાં સમાનતાના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ખાસ્સી દલીલો થઈ. એ દલીલોનો મુખ્યત્વે મુદ્દો એ હતો કે સબરીમાલામાં બિરાજમાન અય્યપ્પા ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી સ્વરૂપમાં હોવાથી દસથી પચાસ વર્ષની મહિલા એટલે કે રજસ્વલાના તબક્કામાં હોય તે મહિલાઓ દર્શન નથી કરી શકતી, જેને લીધે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો. સબરીમાલા મંદિરમાં સૌકોઈ દર્શનાર્થે જઈ શકે એવા ભાવથી દાખલ કરવામાં આવેલી પિટિશનના બચાવમાં કરવામાં દલીલોમાંથી એક દલીલે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું અને એ ચર્ચા સપાટી પર આવી. દલીલના ભાગરૂપે કોર્ટમાં કહેવામાં આવ્યું કે દેશમાં કેટલાંક મંદિરો એવાં પણ છે જ્યાં વર્ષના અમુક સમયે પુરુષોને પ્રવેશ નથી મળતો. આ પ્રકારનાં દેશમાં ૬ મંદિરો છે જેમાં સૌથી વધારે મંદિરો કેરલમમાં છે. પહેલા નંબરે આવે છે કેરલમનું અટ્ટુકલ ભગવતી મંદિર. પુરુષોને પ્રવેશબંધી જાહેર કરનારાં મોટા ભાગનાં મંદિરો દક્ષિણ ભારત અને ખાસ તો કેરલમમાં છે, જ્યાં દેવીના શક્તિ સ્વરૂપને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સ્ત્રીત્વના સન્માનમાં પુરુષો માટે પ્રવેશ મર્યાદિત રાખવામાં આવે છે.
19 April, 2026 03:01 IST | Mumbai | Rashmin Shah