આજના કવિવારના એપિસોડમાં વાત કરી છે મુંબઈના કવિ મીનુ દેસાઈની. મીનુભાઈનો જન્મ નવસારીમાં થયો હતો. પારસી પરિવારમાં મોટા થયેલ મીનુભાઈએ `મુંબઈ સમાચાર દૈનિક` સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ આ જ દૈનિકના તંત્રી પણ રહ્યા હતા. તેમણે ‘સાંજ વર્તમાન’ના વાર્ષિક અંક, ‘અતિથિ’, ‘મંજરી’ જેવાં સામયિકોનું પણ સંપાદન કર્યું હતું. `પડથાર’ એ એમનો પહેલો કાવ્યસંગ્રહ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
26 May, 2026 12:37 IST | Mumbai | Dharmik Parmar