13 August, 2026 09:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફુગાવા વિશેના એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈમાં ભારતમાં છૂટક ફુગાવો વાર્ષિક ધોરણે નજીવો વધીને ૪.૪૫ ટકા થયો છે. અગાઉ જૂનમાં એ ૪.૩૮ ટકા
નોંધાયો હતો. જોકે આ આંકડો અર્થશાસ્ત્રીઓના ૪.૫૦ ટકાના અંદાજ કરતાં થોડો ઓછો છે, એ હજુ પણ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ૪ ટકાના લક્ષ્યાંક કરતાં સતત ઉપર છે. આમ છતાં દેશમાં ખાવા-પીવાની વસ્તુઓથી લઈને કપડાં અને ચંપલ સુધીની દરેક ચીજોના ભાવ વધી ગયા છે.
ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર વધારાને કારણે આ વર્ષે જુલાઈમાં છૂટક ફુગાવો વધ્યો હતો. આની અસર ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં થઈ હતી. જોકે ગ્રામીણ વિસ્તારોમાં એ વધુ સ્પષ્ટ હતી. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો જૂનમાં ૫.૪૫ ટકાથી વધીને જુલાઈમાં ૫.૭૯ ટકા થયો હતો. શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો જૂનના ૫.૦૫ ટકાની સરખામણીમાં ૫.૦૯ ટકા હતો. દરેક ઘરના રસોડામાં જરૂરી આદુ, લસણ અને ડુંગળીના ભાવમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો હતો. જોકે કેટલીક શાકભાજીના ભાવમાં પણ થોડી રાહત જોવા મળી છે. બટાટામાં વાર્ષિક ધોરણે ૧૬.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભીંડા, વટાણા અને ટમેટાંના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.