14 February, 2025 07:06 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ
પ્રખ્યાત સાર્વજનિક ટ્રસ્ટ પ્રશાંતિ બાલમંદિર ટ્રસ્ટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ પર દેશના સૌથી મોટા ડ્રાફ્ટ ફન્ડ રાઇઝિંગ ડોક્યુમેન્ટ ફાઇલ કરીને ઇતિહાસ રચ્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ એની બંધાઈ રહેલી ૬૦૦ બેડની અત્યાધુનિક હૉસ્પિટલ માટે ૧૮ કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે. કર્ણાટકના ચિક્કબલ્લાપુરના મુદ્દેનાહલ્લી ખાતે આ હૉસ્પિટલમાં અત્યાધુનિક ઇમર્જન્સી અને ટ્રૉમા કૅર વિન્ગની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ મેગા ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગની જાહેરાત કરતાં પ્રશાંતિ બાલમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને જાણીતા માનવતાવાદી નેતા મધુસૂદન સાઈએ કહ્યું, ‘સરકાર, સમાજ અને સંસ્થા એ ત્રણેએ સાથે મળીને કામ કરવું જોઈશે. નીતિ ઘડવૈયાઓએ યોગ્ય નીતિઓ ઘડવી જોઈએ, સમાજે સંસાધનો પૂરાં પાડવાં જોઈએ અને ચૅરિટેબલ સંસ્થાઓએ સમાજ કલ્યાણની યોજનાઓનો અમલ કરવો જોઈએ. સોશ્યલ સ્ટૉક એક્સચેન્જની સંક્લ્પનામાં આ ત્રણેય - સરકાર, સમાજ અને સ્વતંત્ર સંસ્થાઓને એકસમાન લક્ષ્ય માટે સાથે આવે છે.’
મધુસૂદન સાઈની લીડરશિપ હેઠળ ૮૦થી અધિક દેશોમાં આરોગ્ય, પોષક આહાર અને શિક્ષણ સંબંધિત ચાલતી પ્રવૃત્તિઓએ અનેક લોકોના જીવનને અસર કરી છે. આધ્યાત્મિકતાને સમાજસેવા
સાથે સાંકળવાના તેમણે કરેલા પ્રયત્નોથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે.