ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની શેરમાર્કેટ પર ધમાકેદાર અસર! સેન્સેક્સ 2000 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24500 ને પાર

12 May, 2025 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Stock Market Today: આજે શરૂઆતના કારોબારમાં શેરબજારોમાં તેજી જોવા મળી હતી કારણ કે સેન્સેક્સ ૧,૭૯૩.૭૩ પોઈન્ટ વધીને ૮૧,૨૪૮.૨૦ પર પહોંચ્યો હતો; નિફ્ટી ૫૫૩.૨૫ પોઈન્ટ વધીને ૨૪,૫૬૧.૨૫ પર પહોંચ્યો હતો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના યુદ્ધવિરામથી શેરબજારમાં નવું જીવન આવ્યું છે. ભારતીય શેરબજારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું સ્વાગત (India-Pakistan Tension and ceasefire effect) કર્યું છે. આજે શેરબજાર (Stock Market Toda)માં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઘણા મહિનાઓ પછી આજે (૧૨ મે, ૨૦૨૫) ભારતીય શેરબજારની શરૂઆત શાનદાર રહી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં રિકવરીની ગતિ વધી ગઈ. શરૂઆતના વેપારમાં, શેરબજારના બંને બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ 3 ટકા ઉછળ્યા છે.

સવારે ૧૦ વાગ્યે, સેન્સેક્સ 2,366.19 પોઈન્ટ (2.98%) ના શાનદાર વધારા સાથે 81,820.66 ના સ્તરે પહોંચ્યો. તે જ સમયે, નિફ્ટીમાં પણ વધારો ચાલુ રહ્યો અને તે 719.80 પોઈન્ટ (3.00%) ના વધારા સાથે 24,727.80 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આજે બજારમાં આ વધારો ભારત-પાકિસ્તાન તણાવમાં ઘટાડો તેમજ `ઓપરેશન સિંદૂર` હેઠળ દેશની લશ્કરી અને વ્યૂહાત્મક ક્ષમતાના મહત્વપૂર્ણ પ્રદર્શનને કારણે જોવા મળ્યો.

આજે એટલે કે સોમવાર ૧૨ મે સવારે શેરબજારની શરૂઆત જોરદાર રહી છે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 1349 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 412 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા બાદ આ વધારો થયો છે. આ સમાચારથી રોકાણકારોને રાહત મળી અને બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું.

યુદ્ધવિરામની અસરને કારણે, માત્ર બેન્ચમાર્ક ઇન્ડેક્સ જ નહીં પરંતુ અદાણી ગ્રુપ (Adani Group)ના શેરમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું છે. અદાણી ગ્રુપના શેરમાં 6% થી વધુનો વધારો નોંધાયો છે. સંરક્ષણ અને બેંકિંગ ક્ષેત્રોમાં પણ રોકાણકારોનો રસ ફરી એકવાર વધી શકે છે.

શરૂઆતના કારોબારમાં PSU બેંકો, IT અને ઓટો સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી બેંક 1,395.95 પોઈન્ટ અથવા 2.60 ટકા વધીને 54,991.20 પર બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1,456.20 પોઈન્ટ અથવા 2.74 ટકા વધીને 54,679.55 પર બંધ રહ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 498.95 પોઈન્ટ અથવા 3.10 ટકા વધીને 16,584.60 પર બંધ રહ્યો હતો.

દરમિયાન, સેન્સેક્સ પેકમાં અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, ઇટરનલ, પાવર ગ્રીડ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એલ એન્ડ ટી, એસબીઆઈ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે, ફક્ત સન ફાર્મા સૌથી વધુ ઘટ્યો હતો.

ગયા અઠવાડિયે, ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ અને ડ્રોન હુમલાના સમાચારને કારણે બજાર દબાણ હેઠળ હતું. શુક્રવારે, સેન્સેક્સ 880 પોઈન્ટ અને નિફ્ટી 265 પોઈન્ટ ઘટ્યો. સાપ્તાહિક ધોરણે, સેન્સેક્સ 1047 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી 338 પોઈન્ટ ઘટ્યો. આ ઘટાડાનું એક મુખ્ય કારણ સરહદ પર તણાવ હતો.

વિદેશી રોકાણકારો (FII) એ 5 થી 9 મે દરમિયાન રોકડ સેગમેન્ટમાં 5087 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. જોકે, તેમણે શુક્રવારે વેચાણ કર્યું હતું. હવે જોવાનું એ છે કે યુદ્ધવિરામ પછી FIIનો મૂડ કેવી રીતે બદલાય છે. જો વિદેશી રોકાણકારો ફરીથી ખરીદી શરૂ કરે છે, તો બજાર વધુ ઊંચાઈએ પહોંચી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામથી શેરબજારમાં નવું જીવન આવ્યું છે. રોકાણકારોએ હવે ખાસ કરીને FII ની હિલચાલ અને ક્ષેત્રીય વલણો અંગે સાવધ રહીને ભવિષ્યના પગલાને સમજવું પડશે. આગળ જતાં બજારમાં સકારાત્મક વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે.

ind pak tension share market stock market sensex nifty national stock exchange bombay stock exchange business news