03 August, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સન ફાર્માએ ભારતમાં આઇ-ડ્રૉપ્સની ત્રણ પ્રોડક્ટનો બધો જ સ્ટૉક પાછો ખેંચ્યો છે. બૅક્ટેરિયલ ઇન્ફેક્શનના દૂષણના ભયને કારણે આ પગલું લેવાયું છે. આ સંદર્ભમાં સન ફાર્માએ ૧૭ જુલાઈએ ડિસ્ટ્રિબ્યુટરોને એક ગુપ્ત પત્ર લખ્યો હતો, જેમાં તેમને ભારતમાં આંખનાં ટીપાંનાં અનેક ઉત્પાદનો પાછાં ખેંચવા જણાવ્યું હતું. અસરગ્રસ્ત ઉત્પાદનોમાં ડેપોપ્રેડ 2ML, બ્રિનોલર (BKC ફ્રી) અને બ્રિન્ઝોટીમ આઇ ડ્રૉપ્સ 5MLનો સમાવેશ થાય છે. કંપનીએ ડિસ્ટ્રિબ્યુટરોને વિતરણ બંધ કરવા અને તાત્કાલિક બિલિંગ બંધ કરવા પણ કહ્યું હતું, કારણ કે કંપની સલામતીના કારણે પ્રાથમિકતાના આધારે બધો હાલનો સ્ટૉક પાછો ખેંચી લેવા માગે છે.
આ સંદર્ભમાં સન ફાર્માના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘દરદીઓની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારી ટીમો આ ઉત્પાદનોની ઉપલબ્ધતાને પુનઃ સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે જેથી દરદીઓને આ સારવાર-વિકલ્પોની ઍક્સેસ ચાલુ રહે.’