29 July, 2026 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યાના સાધક, કળાના ઉપાસક અને સાહિત્યના આરાધક માટે શું સૌથી જરૂરી છે
જગદ્ગુરુ શંકરાચાર્યના અપરોક્ષાનુભૂતિ મહાગ્રંથમાં ભગવાન આદિ શંકરાચાર્યજી એક શ્લોકમાં લખે છે કે પરમતત્ત્વને પામવાની યાત્રામાં એટલે કે સાધનાના માર્ગમાં પાંચ પ્રકારના અવરોધ આવી શકે છે. જે સાધક પાસે આ પાંચ અવરોધને ટાળી શકે એવી તૈયારી હશે તે પરમતત્ત્વને પામી શકશે. શંકરાચાર્યજીની વાત વિદ્યાના સાધક, કળાના ઉપાસક અને સાહિત્યના આરાધક માટે પણ એટલી જ સાચી છે. ટૂંકમાં, કોઈ પણ મનુષ્યએ પોતાની સાચી અને સારી મંઝિલ સુધી સમયસર પહોંચવા માટે અંતરાયને કુશળતાથી પાર કરવો અનિવાર્ય છે. પ્રગતિ આડે આવતાં મુખ્ય વિઘ્નોને જરા સમજી લેવાં જોઈએ.
સૌથી પહેલું વિઘ્ન છે અનુસંધાનભંગ.
સાધનાના પથ પર સાધકનું પરમતત્ત્વની દિશામાં સતત અનુસંધાન બની રહે એ અત્યંત આવશ્યક છે. પરમને પામવા માટેની આ વાતને આપણે દુન્યવી દાખલાથી સમજવાનો પ્રયાસ કરીએ. કોઈ વક્તા જ્યારે વક્તવ્ય આપે ત્યારે વિષયનું અનુસંધાન જાળવી ન શકે તો નિષ્ફળ જતો હોય છે અને પરિણામે પ્રવચનના અંતે તેને જ્યાં સુધી પહોંચવું હોય અથવા શ્રોતાઓને જ્યાં પહોંચાડવા માગતો હોય ત્યાં સુધી પહોંચી શકાતું નથી.
કોઈ કુશળ વક્તા પોતાની વાતને વધુ સારી રીતે સમજાવવા માટે કાવ્યો, કહેવતો અને દૃષ્ટાંતોનો આશ્રય લે છે પરંતુ તે ક્યારેય વાતનું અનુસંધાન ચૂકતો નથી.
ધોરી માર્ગ પર કોઈ મુસાફરે શરૂ કરેલી મુસાફરીમાં જ્ઞાન માટે તે આડ માર્ગનો આશ્રય લે, પણ ફરી પાછો મૂળ માર્ગ પર આવીને મંઝિલ સાથે અનુસંધાન જાળવી રાખે એ ખૂબ જરૂરી છે. જો આડા માર્ગમાં અટવાઈ જાય અથવા ધોરી માર્ગ પર સ્થિર થઈ જાય તો નિર્ધારિત સમયે તે સફળતાની મંઝિલ સુધી પહોંચી શકતો નથી. એટલે પરમની સાધનામાં પરમ સાથેનું અનુસંધાન જળવાઈ રહે એ પ્રથમ જરૂરિયાત છે.
બીજા નંબરે આવે છે આળસ. આળસ માટે અનેક લોકોએ અનેક વાત કરી છે એટલે એ વાતોને યાદ રાખીને આપણે અહીં આળસને નવી રીતે સમજીએ.
સાધનાના માર્ગમાં આળસને અવરોધ માનવામાં આવી છે. જે વિદ્યાર્થી અધ્યયન કરવામાં આળસ કરે, વેપારી દુકાન ખોલવામાં આળસ કરે. ખેલાડી રમત પહેલાં થતી કસરત કરવામાં આળસ કરે તો વિદ્યાર્થી, વેપારી કે ખેલાડી સફળતાના ઉચ્ચ શિખર સુધી પહોંચી શકતા નથી. માનવી ભવિષ્યની કલ્પનામાં રાચતો હોય અથવા ભૂતકાળમાં કરેલી ભૂલો પર પસ્તાતો હોય એના કરતાં જે ક્ષણો વર્તમાન બનીને આવી છે એને જીવી જાણે એ જરૂરી છે. વર્તમાનમાં આળસ કરીને વર્તમાનને ભૂતકાળ બનાવી દેનાર ક્યારેય ઉજ્જ્વળ ભવિષ્ય પામી શકતો નથી તેથી સાધનાના માર્ગમાં આળસને શત્રુ માનવામાં આવી છે.
હંમેશાં યાદ રાખવું કે નકારાત્મકની દીવાલો તોડીને જો આગળ વધીએ તો જ હકારાત્મક ચેતનાને જગ્યા મળે, દરવાજો મળે.