31 March, 2026 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિદ્ધિ ઠક્કર ડબિંગ-ડિરેક્ટર, વૉઇસ-ઍક્ટર અને રાઇટર તરીકે સક્રિય છે
આજે દુનિયાના ઘણા લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી ટેક્નૉલૉજીથી આવી રહેલાં પરિવર્તનોથી દંગ છે અને AIથી કામ કેટલું સરળ થઈ ગયું એનાં વખાણ કરતાં પોરસાતા નથી. જોકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને કારણે કેટલીબધી ઇન્ડસ્ટ્રી ખતમ થવાની દિશામાં છે અને કેટલાબધા લોકોની જૉબ અત્યારે રિસ્કમાં છે એના પર કોઈ ખાસ વિચાર નથી થઈ રહ્યો. ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ સારાં છે અને એને સ્વીકારવાં જોઈએ પરંતુ એની કૉસ્ટ શું છે એ પણ સમજવી જોઈએ.
હું બાવીસ વર્ષની હતી જ્યારે મેં મારી વૉઇસ-ઓવર વર્ક માટેની કંપની શરૂ કરી. આજે ૨૯ વર્ષની ઉંમરે મેં કોવિડ જોઈ લીધો, માર્કેટ-ક્રૅશ જોઈ લીધું, સોનાના ભાવોને આસમાન આંબતા જોઈ લીધા, વર્લ્ડવૉર જોઈ રહી છું, મશીન માણસનું સ્થાન લઈ રહ્યું છે એ જોઈ રહી છું અને ધીમે-ધીમે લોકો પૈસા બચાવવા ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ કરતા થઈ ગયા અને આર્ટની જગ્યા કમર્શિયલ બાબતોએ લઈ લીધી એવું કંઈકેટલુંય દેખાઈ રહ્યું છે. ૧૫ વર્ષની મારી કરીઅરમાં મને એટલું સમજાયું કે કાશ, હું આ પહેલાંના જમાનામાં જન્મી હોત કારણ કે પડકારો પૂરા જ નથી થઈ રહ્યા. તમે એકમાંથી બહાર આવો અને બીજી ચૅલૅન્જ ડબલ જોરથી તમારા પર અટૅક કરે છે. આજે વૉઇસ-ઓવર આર્ટ સાથે સંકળાયેલા લોકો સામે સર્વાઇવલનો જંગ શરૂ થયો છે. તમારા અવાજને માસ્ક કરીને AI ગણતરીની મિનિટોમાં સારામાં સારું રિઝલ્ટ આપી દે છે. એટલે ૭૦ ટકા જેટલો પ્રોજેક્ટ-કૉસ્ટમાં ફરક પડ્યો છે. લોકોને સમય અને પૈસા બન્ને બચતા દેખાય છે પરંતુ જેમનું ઘર આ કામથી ચાલતું હતું તેમનું શું એનો વિચાર કોઈ નથી કરી રહ્યું. તમે વિચારો કે આજે એક રિક્ષાવાળો વૉઇસ-ઓવર આર્ટિસ્ટ કરતાં વધુ કમાય છે.
હું ખરેખર વિચારું છું કે કાશ, હું સિત્તેર કે એંસીના દશકમાં જન્મી હોત તો... આજે બહુ જ અઘરું લાગે છે કે કેવી રીતે પૈસા કમાવા. હવે જ્યારે હું લગ્ન કરીને સેટલ થવાનું અને જીવનનો બીજો અધ્યાય શરૂ કરવાનું વિચારી રહી હતી ત્યારે કઈ રીતે કરીઅરને સ્ટેબલ રાખવી એનો સંઘર્ષ શરૂ થયો છે. અફકોર્સ, અત્યારના સંજોગોમાં વૉઇસ-ઓવર આર્ટિસ્ટ તરીકે કદાચ સંપૂર્ણ ફોકસ ન પણ રાખી શકાય. હવે ફીલ્ડ બદલવું પડશે. કંઈક નવું વિચારવું પડશે. સમય સાથે એ કરીશું પણ ખરા, પરંતુ મુદ્દો એ છે કે માણસ મશીન પર એટલો અવલંબિત થઈ રહ્યો છે કે હ્યુમન વૅલ્યુઝ, હ્યુમન ઇમોશન્સ આર્ટ ફૉર્મમાંથી પણ કાઢતાં અચકાતો નથી તો એનું ભવિષ્ય શું થશે? તમે વિચારો કે બાકી બધી જગ્યાએ કૃત્રિમતા આવી જાય પરંતુ કલા ક્ષેત્ર એવું હતું જે માનવીય સંવેદનોથી જ ધબકતું હતું. એનું સર્જન કલાકારના હૃદયમાંથી થાય અને વ્યક્તિના હૃદય સુધી પહોંચે. અત્યારની સ્થિતિમાં દૂર-દૂર સુધી ક્યાંય એવું લાગે છે કે હવે રિયલ ઇમોશન્સની કોઈને પડી હોય. આ બાબત માનવસમાજ માટે ગંભીર છે, જો સમજાય તો.