શિક્ષણસંસ્થાઓમાં સરસ્વતી માતાને બદલે લક્ષ્મી માતાનું વધી રહેલું પ્રાધાન્ય જોખમી છે

02 April, 2026 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારું શિક્ષણ એટલે માત્ર ઊંચી ડિગ્રીઓ કે વર્લ્ડ-ક્લાસ ફૅસિલિટીમાં માર્ક્સને પ્રાધાન્ય અપાતું હોય એવું નહીં. સારું અને સાચું શિક્ષણ કાગળો પૂરતું સીમિત નથી

પ્રવાસના શોખીન અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ મહેશ શાહ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડન્ટ છે

આપણે ત્યાં સદીઓથી શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રને પવિત્ર દૃષ્ટિથી જોવાયાં છે. શિક્ષણ એટલે સેવા સાથે જોડાયેલું વિદ્યાનું ધામ હતું જ્યાં સરસ્વતીમાની સાધનાને પ્રાધાન્ય હતું. જ્યાં જ્ઞાન અને મૂલ્યોની સંપન્નતાને સન્માન હતું. આજે એ જ સરસ્વતીમાનું ધામ લક્ષ્મી કમાવાનું માધ્યમ બન્યું છે. આજે એજ્યુકેશન પૈસા છાપવાની ફૅક્ટરીની જેમ વિકસી રહ્યું છે. બિલ્ડરો અને પૉલિટિશ્યન જ્યારથી એમાં ઘૂસ્યા ત્યારથી એ પ્રૉફિટ અને લૉસના બિઝનેસ તરીકે જોવામાં આવી રહ્યું છે. આજે સારું એજ્યુકેશન માત્ર વાતોમાં રહ્યું છે. એજ્યુકેશનમાં આવેલા કમર્શિયલાઇઝેશને એની પવિત્રતાનું હનન કર્યું.

મને એ વાતનો સંતોષ છે કે ૧૯૩૬માં શિક્ષણથી સમાજનું ઉત્થાન કરવાના ધ્યેય સાથે માત્ર ૧૩ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી સંસ્થા કાંદિવલી એજ્યુકેશન સોસાયટી હજીયે પોતાના ધ્યેયથી ભટકી નથી. આજે બાવીસ હજાર વિદ્યાર્થીઓ છે. પૈસાને કારણે વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ માટે વિદ્યોતેજક ફન્ડ અમે ઊભું કર્યું છે જેના અંતર્ગત સાડાત્રણ કરોડ રૂપિયા આ સંસ્થાએ ખર્ચ્યા છે. લગભગ દોઢ કરોડ રૂપિયા જેટલી ફી માફ કરી છે. સારામાં સારું શિક્ષણ કિફાયત ભાવે ઉપલબ્ધ કરવું એ લક્ષ્યથી આ સંસ્થા ભટકી નહીં એનો સંતોષ છે.

બીજી મહત્ત્વની વાત, સારું શિક્ષણ એટલે માત્ર ઊંચી ડિગ્રીઓ કે વર્લ્ડ-ક્લાસ ફૅસિલિટીમાં માર્ક્સને પ્રાધાન્ય અપાતું હોય એવું નહીં. સારું અને સાચું શિક્ષણ કાગળો પૂરતું સીમિત નથી.

ઇન્જેલિજન્સ ક્વોશન્ટના લક્ષ્ય સાથે હોતું નથી. એમાં વ્યક્તિઘડતરની વાત હોય, એમાં મૂલ્યોનું વાવેતર કરવાની વાત હોય. સારા ટકાથી પાસ થયેલો એક વિદ્યાર્થી કદાચ ડૉક્ટર બની જશે પરંતુ તે સારો ડૉક્ટર તેના ઘડતર પર આધાર રાખશે. કમર્શિયલ થઈ રહેલી દુનિયામાં સારપની ખોટ વરતાઈ રહી છે. યસ, બહુ દૃઢતા સાથે લાગે છે કે અત્યારે આપણે શૉર્ટેજ ઑફ ગુડનેસ અનુભવી રહ્યા છીએ. યાદ રહે જો આપણે શિક્ષણ સાથે સંસ્કરણ નહીં આપી શકીએ તો આપણે માણસ નહીં પણ એક ભણેલો-ગણેલો રોબોટ તૈયાર કરીશું. માણસ તેની સંવેદનાઓને કારણે મશીનથી અલગ છે એ ભુલાવું ન જોઈએ. આ જ કારણ છે કે હજીયે અમે સંસ્કાર અને સંસ્કૃતિથી જોડાયેલા રાખે અને બાળકોમાં મૂલ્યોનું ઘડતર કરે એવી પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. ગીતાના સર્ટિફિકેટ કોર્સ ઊભા કર્યા. સંસ્કૃત ભાષા શીખવાની વ્યવસ્થા ઊભી કરી છે. સાથે જ હાયર એજ્યુકેશનમાં જે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ હોય એ મુજબની પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ વિદ્યાર્થીઓને મળે અને તેઓ પહેલેથી જ ઇન્ડસ્ટ્રી-ફ્રેન્ડ્લી બને એવું સિલેબસ અમે ડેવલપ કર્યું છે. હું તો બધા પેરન્ટ્સને પણ કહીશ કે તમારાં સંતાનોને માત્ર માર્ક્સ કે ડિગ્રી પાછળ દોડાવતા નહીં, તેમને સારી અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિ બનાવવા તરફ પણ ફોકસ કરજો. દેખાદેખીની ઉંમર ઓછી છે પરંતુ મૂલ્યોથી કરેલા ઘડતરનો પાયો ઊંડો હશે અને એ તમારા સંતાનને દરેક સંજોગમાં ટકી જવાનું બળ આપશે.

columnists exclusive gujarati mid day