મન ભરીને જીવી લઉં આખો દિવસ

01 March, 2026 05:18 PM IST  |  Mumbai | Hiten Anandpara

આપણને એકાંત જ મળતું નથી એની રામાયણ છે. આમ જોઈએ તો એકલતા આજના સમયની મોટી સમસ્યા છે. સંતાનો ઠરીઠામ થઈ ગયાં હોય પછી માબાપ ઘરમાં એકલાં પડી જાય. જીવનસાથીની વિદાય થઈ ગઈ હોય પછીની એકલતાનો સામનો કરવા મનને તૈયાર કરવું પડે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રત્યેક દિવસ એક નવી આશા લઈને આવે છે. સાથે-સાથે નવો પડકાર પણ હોય. એક દિવસ ખરાબ ગયો હોય તો એના પછીનો દિવસ શીતળ લેપ લઈને આપણને સાચવે. પ્રત્યેક દિવસે ઉંમર વધે તો સાથે અનુભવ પણ વધતો હોય છે. એનું આકલન કરીને જીવતા શીખીએ તો પીડામાં રાહત મળે, પણ શરત એ છે કે એ માટે થોડું ચિંતન-મનન કરવું પડે. રિષભ મહેતા આપણો કાન આમળે છે...

કોને કોને મળવામાં

રહી ગયું મળવું પોતાને?
ચાલને જીવ, મેળવીએ તાળો,

એક દિવસ એકાંતે બેસી

આપણને એકાંત જ મળતું નથી એની રામાયણ છે. આમ જોઈએ તો એકલતા આજના સમયની મોટી સમસ્યા છે. સંતાનો ઠરીઠામ થઈ ગયાં હોય પછી માબાપ ઘરમાં એકલાં પડી જાય. જીવનસાથીની વિદાય થઈ ગઈ હોય પછીની એકલતાનો સામનો કરવા મનને તૈયાર કરવું પડે. વિષમ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનો ઉદ્યમ પ્રત્યેક જણે કરવાનો હોય છે. ભાવેશ ભટ્ટ પ્રેમની પ્રતિષ્ઠા અને સંવેદનશીલ અભિગમ નિરૂપે છે...

જો વીતે આપના વિચાર વગર
દિવસ મનનો ઉપવાસ થાય?

રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ થાય

જિંદગીમાં સાદગી પણ મહત્ત્વની છે અને શણગાર પણ મહત્ત્વનો છે. આભૂષણ, વૈવિધ્યસભર વેશભૂષા, સુશોભન વગેરેને તમે અવગણી ન શકો. લાખો લોકોની રોજગારી આના પર ચાલતી હોય છે. બધું છોડીછાડીને બધા જ હિમાલય જવાનું વિચારે તો બિચારો હિમાલય પૃથ્વી પરથી પલાયન થવાનું વિચારતો થઈ જાય. જેને ભગવાને દૈવત આપ્યું છે તેણે સાધના-ઉપાસના દ્વારા પોતાનું અને અન્યનું જીવન અર્થસભર કરવાનું છે. જેને ભગવાને કૌવત આપ્યું છે તેણે સમાજને સુખરૂપ બનાવવા યોગદાન આપવાનું છે. આવા ઘણા વિચારો ઘોડાપૂર થઈને આવી રહ્યા છે ત્યારે હરીશ ઠક્કરનો વિચાર મમળાવીએ...

પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા

વિચાર કરવો જરૂરી છે પણ એના પછીનું પગથિયું આચારનું છે. કાગળ પર આકારાયેલી યોજના જો જમીન પર ઊતરે જ નહીં તો ફાઇલમાં પડી-પડી સડી જાય અથવા કચરાટોપલીમાં અંતિમ શ્વાસ લે. યોગ્ય સમયે આવતો વિચાર યોગ્ય સમયે અમલમાં મુકાય તો ઉત્તમ પરિણામ મળે. આવું જોકે બનતું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ ખામી કે ઊણપ રહી જાય. ક્યાંક સાધનો ઓછાં પડે તો ક્યાંક પ્રયાસો ટૂંકા પડે. ક્યાંક દૃષ્ટિ ટૂંકી પડે તો ક્યાંક ગણતરી ખોટી પડે. અનિલ ચાવડા એક નિષ્કર્ષ પર પહોંચે છે...

દિવસ ક્યારેય પણ ઊગતો નથી
રાતનો ખાલી કલર બદલાય છે

આમ કરતાં આમ કર્યું હોત તો?
બધું વીત્યા પછી સમજાય છે

સલાહ આપવી સહેલી છે પણ સલાહ અવગણવી મોંઘી છે. અનુભવી માણસોની સલાહમાં એક વજૂદ હોય છે, એક નિચોડ હોય છે. સ્વીકારીએ કે ન સ્વીકારીએ એ જુદી વાત છે, પણ એને સાંભળવી તો જોઈએ. એક સાચી સલાહ તમારાં વર્ષોને વેડફાતાં અટકાવી શકે છે. જાત પર વિશ્વાસ જરૂરી છે, પણ જાત પર આંધળો વિશ્વાસ નુકસાની તરફ લઈ જાય છે. ગમે એટલા કાબેલ હોઈએ, પણ સમાજ સહજીવન પર ચાલે છે એ વાત ભુલાવી ન જોઈએ. શ્યામ સાધુ તારણ આપે છે...

 મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના

ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના?

ભારતનો સૂર્ય અત્યારે વિશ્વભરમાં ઝળહળ થઈ રહ્યો છે. અનેક દેશોની ઇકૉનૉમી માંદલી બની છે ત્યારે ભારતે આર્થિક સ્થિરતા જાળવી રાખી છે. છતાં તેલંગણ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક જેવાં રાજ્યોનું વધતું દેવું ચિંતાજનક છે. કૉન્ગ્રેસશાસિત આ રાજ્યોમાં આયોજનલક્ષી ગાબડાં ભરચક છે. રેવડી કલ્ચરમાં વિકાસ વસૂકી જતાં વાર નથી લગતી. મનોજ ખંડેરિયા આપઘાતી વલણ પ્રત્યે ચેતવે છે...

હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા

લાસ્ટ લાઇન

રોજ ઊઠું ને મળે ગમતો દિવસ

મનભરીને જીવી લઉં આખો દિવસ

તું હિસાબો માંડે તો મોંઘો દિવસ

બાકી તો અત્યંત મોજીલો દિવસ

જે દિવસથી હું મળ્યો છું આપને

દિવસથી થઈ ગયો ટૂંકો દિવસ

આમ એની બેઉ બાજુ રાત છે

એટલે લાગે છે રૂપાળો દિવસ

આજ આવ્યા બે દિવસ માટે તમે

આજથી લાગ્યા કરે બીજો દિવસ

- કિરણસિંહ ચૌહાણ

hiten anandpara columnists gujarati mid day lifestyle news life and style