શું જાણો છો તમે કે મંદિર પર શિખર શું કામ હોય છે?

05 February, 2023 02:12 PM IST  |  Mumbai | Chandrakant Sompura

પક્ષીઓ પણ એ શિખર પરથી ઊડવાનું ટાળતાં હોય છે, જેને લીધે કોઈ પ્રકારનાં વાઇબ્રેશન્સ મંદિરમાં બિરાજમાન મૂર્તિ પર આવતાં નથી. આ સિદ્ધાંત ઘરના મંદિરમાં પણ વાપરવો હિતાવહ છે

શું જાણો છો તમે કે મંદિર પર શિખર શું કામ હોય છે

આપણી વાત ચાલતી હતી ઘરમંદિરમાં ઍલ્યુમિનિયમનો વપરાશ ટાળવાની, જે વાંચીને ઘણા વાચકમિત્રોએ એવું પૂછ્યું કે સ્ટીલ વાપરી શકાય કે નહીં? ના, સ્ટીલ એ લોખંડનો જ એક પ્રકાર છે એટલે એનો પણ વપરાશ કરવો જોઈએ નહીં અને હું માનું છું ત્યાં સુધી સ્ટીલનાં મંદિર પણ ક્યાંય બનાવીને વેચવામાં નથી આવતાં. જો એવું મંદિર મળતું હોય તો એ વાપરવાનું ટાળવું જોઈએ અને ધારો કે એવું મંદિર બનાવવાનું મન હોય તો એવું પણ કરવું જોઈએ નહીં. સ્ટીલ, લોખંડ, ઍલ્યુમિનિયમ એ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરતી ધાતુ છે, જ્યારે સાગવાન કે સવન જેવું લાકડું નકારાત્મક ઊર્જા પોતાનામાં ખેંચવાનું કામ કરે છે તો સોનું અને ચાંદી સકારાત્મક ઊર્જાની વાહક છે એટલે જો ઘરનું મંદિર બનાવવાનું આવે તો એ સાગવાન કે સવનનું જ બનાવવું જોઈએ. એના પર કોઈ આવરણ ચડાવવું હોય તો એ સોના-ચાંદીનું હોવું જોઈએ અને એવી જ રીતે જો ભગવાનને આભૂષણો પહેરાવવાં હોય તો એ પણ સોના કે ચાંદી જેવી ધાતુનાં જ પહેરાવવાં જોઈએ. આર્થિક ક્ષમતા ન હોય અને ધારો કે અન્ય કોઈ ચીજવસ્તુનાં આભૂષણો પહેરાવવામાં આવે તો એનાથી કોઈ અનર્થ નથી થતો; કારણ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, ભાવનો (પ્રાઇસનો) નહીં. એટલે એ વિશે 

વધારે વિચાર કરવો નહીં, પણ જો તમે વિચારપૂર્વક કરવા માગતા હો તો આ બાબતનું ધ્યાન રાખવું.
ઘણી વખત ભગવાનનાં આભૂષણો માટે ઘરના મંદિરમાં રાખેલી મૂર્તિ બહાર લઈ જવી પડતી હોય છે. એવું કરવાને બદલે જો એ આભૂષણો બનાવનારાને જ ઘરે બોલાવીને માપ લેવડાવી લેવામાં આવે તો એ વધારે હિતાવહ છે. મંદિરમાં બેસાડેલા ભગવાનને સાફસૂફી પૂરતા મંદિરમાંથી બહાર લાવવામાં આવે ત્યાં સુધી વાજબી છે, પણ એ ભગવાનને લઈને બહાર બજારમાં ફરવું કે પછી અલગ-અલગ જગ્યાએ લઈ જવા એ હિતાવહ નથી એવું શાસ્ત્રો કહે છે.

આજે મોટાં-મોટાં મંદિરોમાં પણ ભગવાન માટે આભૂષણો બનાવવામાં આવે જ છે. એ મૂર્તિને પ્રૅક્ટિકલી પણ બહાર લઈ જવી શક્ય નથી તો એનું માપ લેવા માટે બહારથી જ વ્યક્તિને બોલાવવામાં આવે છે તો એ જ વાત એ મંદિરની નાની મૂર્તિને પણ લાગુ પડે છે. એ તો લાવવી-લઈ જવી સરળ હોય છે તો પણ એ બહાર લઈ જવામાં નથી આવતી. મૂર્તિ અત્યંત સંવેદનશીલ હોય છે, જે તરત આસપાસની સંવેદના ગ્રહણ કરે છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં દરરોજ મૂર્તિની પૂજા કરવા માટે કહેવામાં આવ્યું છે.
એક વાચક મિત્રે સવાલ કર્યો છે કે મંદિરમાં સ્થાન કેવી રીતે બનાવવું જોઈએ. આપણે જેમનામાં શ્રદ્ધા ધરાવતા હોઈએ કે જે આપણાં કુળદેવતા/કુળદેવી હોય તેમને મધ્યમાં સ્થાન આપવું જોઈએ અને એ સૌથી ઉપર હોય એ જોવાનો પ્રયાસ 
કરવો જોઈએ. બીજી વાત, મંદિરમાં 

બહુબધું ભરી રાખવું નહીં અને સમયાંતરે મંદિરમાંથી જે પધરામણી કરવાની હોય એ પધરાવતા પણ જવું જોઈએ. ઘણા લોકો મંદિરમાં ચીજવસ્તુઓ ભરી રાખતા હોય છે. એવું બિલકુલ કરવું નહીં. મંદિર ભગવાન માટે છે એટલે એમાં ભગવાન સિવાય 
જેટલી ઓછી વસ્તુઓ રાખવામાં આવે એ જોવું જોઈએ. 

વધુ એક વાત. મંદિર પર કોઈ જાતનો ભાર રાખવો નહીં. ઘણા લોકો મંદિર પર જ અગરબત્તીનું પૅકેટ કે પછી વાટનું બૉક્સ અને એવો બીજો સામાન મૂકતા હોય છે. તેમનું માનવું એવું છે કે આ ચીજવસ્તુ પણ પવિત્ર છે તો એ રાખવામાં શું ખોટું? ના, એવું કરવું નહીં અને ઘરના મંદિર પર એવી ચીજવસ્તુઓ પણ મૂકવાનું ટાળવું. એ માટે મંદિરમાં જે ડ્રૉઅર હોય એનો ઉપયોગ કરવો. ગયા રવિવારે કહ્યું એમ ભગવાન પર મંદિરના શિખર સિવાય એક પણ પ્રકારનું સ્ટ્રક્ચર કે વસ્તુ આવવી ન 
જોઈએ. મોટાં મંદિરોમાં એ પણ ધ્યાન રાખવામાં આવે કે જો મજલા વધારે હોય તો ઉપરના મજલા પર કોઈ એ જગ્યાએ પગ ન મૂકે જ્યાં નીચેના ભાગ પર ગર્ભદ્વારમાં ભગવાન હોય. 
દ્વારકાધીશમાં સાત મજલાનું મંદિર છે. એવું જ સોમનાથમાં છે. સોમનાથમાં પણ મંદિર સાત માળનું છે અને ભગવાન પ્રથમ મજલા પર બિરાજે છે એટલે ઉપરના મજલા પર જનારા કોઈનો પગ ગર્ભદ્વાર પર ન આવે એ માટે દરેક મજલા પર મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, લિંગ મૂકી દીધું છે. સૌથી ઉપરના મજલાની વાત કરીએ તો એના પર શિખર હોય છે. આ શિખર બનાવવાનું કારણ એ કે ઉપરથી કોઈ પક્ષીઓ પસાર થાય નહીં અને એના પણ પગ ભગવાન પર આવે નહીં કે પછી બીજા કોઈ પ્રકારનાં નકારાત્મક વાઇબ્રેશન્સ આવે નહીં. 
અસાધના લાગે નહીં એ માટે લેવામાં આવતી આ જ ચીવટ ઘરના મંદિર માટે પણ રાખવી જોઈએ અને મંદિરની ઉપર એક પણ પ્રકારની ચીજવસ્તુ મૂકવી ન જોઈએ.

columnists gujarati mid-day culture news