18 February, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડમાં રહેતા ભૂપેન્દ્ર ઠક્કર સર્વ શક્તિ ફાઉન્ડેશનના સંસ્થાપક છે અને સાથે મુંબઈની હાલાઈ લોહાણા મહાજન વાડીના ટ્રસ્ટીપદે કાર્યરત છે.
આવતાં ૩૦ વર્ષમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેના વિશે આપણે વિચાર્યું નથી અને વિચારવા માગતા પણ નથી. અને અહીં હું કહીશ તો પણ કદાચ મોટા ભાગના લોકો એ વાતનો સ્વીકાર પણ નહીં કરે. આપણી વસ્તી વધી રહી છે એવું સરકારી રેકૉર્ડ પરથી સાબિત થાય છે, પણ એ શું વાસ્તવિક છે? એક મુસ્લિમ સમુદાયને છોડીને બાકીના સમુદાયમાં જન્મદર ઝડપથી ઘટી રહ્યો છે. એને કારણે યુવા આબાદી તેજ ગતિથી ઘટી રહી છે.
એનાં ચાર કારણ છે. ૩૦-૪૦ વર્ષ પહેલાં પ્રેગ્નન્સીની ટેસ્ટ થવા લાગી. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા હોય તો તેનો જન્મ અટકાવી દેવાની માનસિકતા સામાન્ય બની ગઈ હતી. હવે એમાં થોડો બદલાવ આવ્યો છે પણ જે નુકસાન થવાનું હતુ એ થઈ ચૂક્યું છે. આજકાલ કન્યાઓ પોતાનો જીવનસાથી પોતાની શરતો પર પસંદ કરે છે, જેનાથી લગ્ન-વ્યવસ્થા તૂટી રહી છે. એના કારણે યુગો-યુગોથી ચાલતી પૂરી સમાજ-વ્યવસ્થાના પાયા હલી ગયા છે. આ પહેલું કારણ છે. બીજું એ છે કે બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનું સામાન્ય હતું પણ હવે સામાજિક સ્ટેટસ બતાવવા માટે અતિ મોંઘી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણાવવાની ઘેલછા છે. આનું દુષ્પરિણામ એ આવ્યું કે આવી ઇન્ટરનૅશનલ સ્કૂલની ફી પહોંચની બહાર હોવાથી બીજું બાળક પેદા કરવાથી દંપતી દૂર રહેવા લાગ્યાં છે. ત્રીજું અને સૌથી મહત્ત્વપૂર્ણ કારણ એ કે પોતાની વર્તમાન જિંદગીમાં મોજમજા કરવા માટે દંપતીઓ એક બાળક પણ પેદા કરવાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ચોથું, આધુનિક હોવાના વહેમમાં જીવતા યુવાઓમાં લગ્ન કરવાના બદલે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરવાની ફૅશન જોર પકડી રહી છે.
આથી ભવિષ્યમાં ૬૫-૭૦ ટકા આબાદી વડીલોની હશે. તેમની સંભાળ રાખવાની જવાબદારી છે એ યુવા વર્ગ પોતાના પ્રોફેશનમાં વ્યસ્ત હશે તો આવા વૃદ્ધોને સાચવશે કોણ? આવા વૃદ્ધોને સાચવવા માટે વૃદ્ધાશ્રમ તો ઊભા કરીશું પણ ત્યાં કામ કરવા માટે આજે પણ સ્ટાફ નથી મળતો તો એ સમયે સ્ટાફ ક્યાંથી આવશે? આજે કોઈ પણ મોટા વૃદ્ધાશ્રમની કૅપેસિટી ૧૦૦ વૃદ્ધોની હોય છે, ત્યાં પણ વેઇટિંગ હોય છે. એ સમયે ૧૦૦૦-૨૦૦૦ની કૅપેસિટીવાળા વૃદ્ધાશ્રમ પણ ટૂંકા પડશે. આપણે આવનારા સમય માટે ગંભીરતાથી વિચારીશું નહીં તો, ભાવિ પેઢી માટે કોઈ આયોજન પણ નહીં કરીએ તો ત્યારે શું પરિસ્થિતિ નિર્માણ પામશે? શકય છે કે રાત ગુજારવા માટે રેલવે-સ્ટેશનો વૃદ્ધો માટે આશ્રયસ્થાન બનશે અને વૃદ્ધાશ્રમ સાથે પાગલખાનાની પણ એટલી જ જરૂર પડશે.