માનવજીવનનો સૌથી મોટો અવસર સત્કર્મ જે કરતા રહેવું જોઈએ

14 August, 2026 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય પરંપરા અને શાસ્ત્રો પરોપકાર, સત્ય, સાદગી અને સત્કર્મનો માર્ગ બતાવે છે. વૃક્ષોની જેમ નિઃસ્વાર્થ બનીને બીજાના હિત માટે કાર્ય કરવું અને પ્રકૃતિ પ્રત્યે આદર રાખવો એ જીવનને ઉદાત્ત બનાવે છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય પરંપરામાં પર્વ અને ઉત્સવનું સવિશેષ મહત્ત્વ છે. આ પર્વ-તહેવાર આપણને શીખવે છે કે આપણે પરોપકાર કરીએ, સજ્જન બનીએ. વિશ્વભરમાં આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણ પરોપકારનો ઉપદેશ આપે છે. જીવન જીવવા જેવું જ છે, પરંતુ ધર્મમય માર્ગે આચરણ કરીને આગળ વધવાનું છે. સર્વાંગી પ્રગતિ માટે આપણે જીવનમાં સાદગી, ધર્મ, સત્યનું આચરણ કરવાનું છે. અતિથિ-સત્કાર અને દાનનું પણ એટલું જ મહત્ત્વ છે.
પરોપકાર સંદર્ભનો એક પ્રસંગ છે. એ અંતર્ગત શૌનકે કહ્યું, ‘નારદ, જે જગ્યાએ વૃક્ષો પણ પોતાનાં મૂળિયાં સહિત અને ફળો દ્વારા બીજાનું હિત કરે છે ત્યાં મનુષ્ય જો પરોપકારી ન હોય તો તે મનુષ્ય મૃત્યુ પામેલો છે એવું માનવું. યાદ રાખજો, વૃક્ષોની ઊર્જા નીચેથી ઉપરની તરફ (ઊર્ધ્વ રેતા) જાય છે એટલે એ સાધારણ મનુષ્યોથી ઉદાર છે. મનુષ્યની ઊર્જા ઉપરથી નીચે તરફ વહે છે અને પશુઓમાં ઊર્જા આગળથી પાછળ તરફ વહે છે (ન ઉપર, ન નીચે).’ 
ભગવાનના જ્ઞાનાવતાર સમાન વેદવ્યાસ પણ વૃક્ષોને પોતાનાં ફળોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણે પણ વૃક્ષોની પ્રશંસા કરી છે અને એમને સંતજનની ઉપમા આપી છે. 
આપણાં શાસ્ત્રો અને ઋષિઓની ઉદાત્ત વિચારધારા રહી છે કે આપણે પ્રકૃતિના પ્રત્યેક કણમાં ઈશ્વરનું દર્શન કરનારા છીએ અને પ્રકૃતિના પ્રત્યેક કણને આપણે આદરણીય માનીએ છીએ. પ્રકૃતિની ફક્ત પૂજા નહીં, એનાથી જીવન સફળ કેમ બનાવવું એ પણ શીખવા જેવું છે. નારદ પુરાણના પુરાણ પ્રસાદમાં વૃક્ષો દ્વારા પરોપકાર શીખવાની આજ્ઞા આપવામાં આવી છે.
પુરાણોમાં સ્થળ અને સમયનું મહત્ત્વ સમજાવવા માટે અનેક કથાઓ છે. જે રીતે દિવસની શરૂઆતમાં બ્રહ્મમુહૂર્ત ભગવાનનાં ભજનો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એમ સંધ્યાનો સમય પણ ભગવાનના સ્મરણ અને વંદના-પ્રાર્થના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંદિરોમાં આરતી થાય છે અને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. દિવસ દરમ્યાનમાં એક જ કામને ચોવીસે કલાક શુભ માનવામાં આવ્યું છે. એ કામ છે સત્કર્મ, સારું કાર્ય. આપણે જે સત્કર્મ કરીએ છીએ અને ફળ મળે છે એનાથી સામેવાળાનું જ નહીં, આપણું જીવન પણ વધારે ને વધારે ઉમદા બને છે એટલે જો ક્ષમતા હોય તો નિત્ય નિયમ કરતાં રોજ થોડું વધારે સત્કર્મ કરતા જવું જોઈએ. આ માનવધર્મનો એક એવો અવસર છે જે ઊજવવાનું કાર્ય આપણે નિરંતર કરી શકીએ છીએ.
hinduism culture news religion columnists exclusive