ઇન્ડિયા - ધી મોદી ક્વેશ્ચન :બીબીસી ભૂલે નહીં કે પત્રકાર મંથરા જેવો નહીં, હનુમાન જેવો હોવો જોઈએ

31 January, 2023 02:31 PM IST  |  Mumbai | Manoj Joshi

જો બીબીસી આ સ્પષ્ટતા કરવા રાજી ન હોય તો એ પણ એણે જાણવું જોઈએ કે જે સલ્તનતમાં બેસીને એ પોતાનું મીડિયા-હાઉસ ચલાવે છે એ દેશનો રાજવી પરિવાર જેટલો જગતમાં હીન માનસિકતા ધરાવતો બીજો કોઈ રાજવી પરિવાર આ દુનિયામાં હતો નહીં અને બનશે પણ નહીં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધી મોદી ક્વેશ્ચન’ની બાબતમાં આજનો આ અંતિમ પડાવ છે.

બીબીસીએ ‘ઇન્ડિયા : ધી મોદી ક્વેશ્ચન’ રજૂ કરીને આ દેશમાં વધુ એક વાર કોમવાદીને પ્રસરાવવાનું પાપ કર્યું છે. જે રીતે મુસ્લિમોના મોબાઇલમાં ફરીથી એ ડૉક્યુમેન્ટરી ડાઉનલોડ થવા માંડી છે અને મુસ્લિમ યુનિવર્સિટીમાં જે પ્રકારે એના શો થઈ રહ્યા છે એ દેખાડે છે કે બીબીસી જેવી કટ્ટરવાદી સંસ્થા આ દેશની શાંતિ જોઈ નહોતી શકી અને એ જ કારણે એણે આ પ્રકારના વાહિયાત વિષય પર કામ કરવાનું શરૂ કર્યું છે.

વારંવાર એક જ વાત કહેવાનું મન થાય છે કે જે વાતને દસકાઓ વીતી ગયા છે, જે વાતને એક આખી નવી યુવા પેઢી જાણતી પણ નથી એ વાતને તમે ફરીથી બહાર લાવીને પુરવાર શું કરવા માગો છે એની સ્પષ્ટતા બીબીસીએ કરવી જ રહી. જો બીબીસી આ સ્પષ્ટતા કરવા રાજી ન હોય તો એ પણ એણે જાણવું જોઈએ કે જે સલ્તનતમાં બેસીને એ પોતાનું મીડિયા-હાઉસ ચલાવે છે એ દેશનો રાજવી પરિવાર જેટલો જગતમાં હીન માનસિકતા ધરાવતો બીજો કોઈ રાજવી પરિવાર આ દુનિયામાં હતો નહીં અને બનશે પણ નહીં. ગુલામ બનાવીને રાખવાની માનસિકતા ધરાવતા જનરલ ડાયર પર કેમ ડૉક્યુમેન્ટરી બનાવવાનો વિચાર બીબીસીને નથી આવતો? કોહિનૂર હીરાની ચોરી બ્રિટિશરોએ કેવી રીતે કરી એના પર પણ બીબીસીએ ડૉક્યુમેન્ટરી બનાવવી જોઈએ અને એના પર પણ ડૉક્યુમેન્ટરી બનાવવી જોઈએ કે કાળા પાણીની સજા દરમ્યાન કેવી રીતે ભારતીય ક્રાન્તિવીરો પર યાતના ગુજારવામાં આવતી હતી.

આ પણ વાંચો : ગૌમાંસનો વેપાર કરતા વેપારીની તરફેણ કરવાનું પાપ બ્રિટિશરો જ કરી શકે

બે દસકા જૂના ઇતિહાસ કરતાં વધારે ભયાનક ઇતિહાસને ગાદી તળે દબાવીને બીબીસીના આકા બેઠા છે અને એ દેખાડવાની ઔકાત આ બ્રૉડકાસ્ટ કંપનીમાં જ નહીં, એક પણ સેક્યુલર મીડિયા-હાઉસમાં નથી. આ મીડિયા-હાઉસને સેક્યુલરિઝમનો સાચો અર્થ સમજાવવાનો સમય આવી ગયો છે. લઘુમતીનો પક્ષ લેવો એટલે સેક્યુલરિઝમ નહીં, પણ જાતિ-જ્ઞાતિ અને કોમ ભૂલીને રાષ્ટ્રને સર્વોપરી માનવાની નીતિ જ સેક્યુલરિઝમ છે.

હિન્દુ કે મુસ્લિમ વચ્ચે વિખવાદ જન્માવીને સેક્યુલર બનવા કરતાં બહેતર છે કે બીબીસી જેવાં મીડિયા-હાઉસ ભાઈચારાના ભાવ સાથે આગળ વધે અને દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં કેવી રીતે વિકાસ સર્વોપરી બન્યો એની ચર્ચા કરે. પત્રકાર માટે પ્રખર કથાકાર મોરારિબાપુએ એક વખત બહુ સરસ વાત કહી હતી. મોરારિબાપુએ કહ્યું હતું કે ‘પત્રકાર મંથરા જેવો નહીં, હનુમાન જેવો હોવો જોઈએ.’

કેટલી સરસ વાત, મંથરા માહિતી લાવીને કાન ભરતી હતી અને હનુમાનજી માહિતી લાવવાની સાથોસાથ પ્રેમ પણ લઈ આવતા હતા. પત્રકારિતાનો આ ગુણ ભારતની સંસ્કૃતિમાં છે અને એ જ સંસ્કૃતિ કહે છે કે આ દેશમાં રહેનાર કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી. આ દેશમાં રહેનારો પ્રત્યેક વ્યક્તિ હિન્દુસ્તાની છે અને તેણે એ વાતને જ આંખ સામે રાખીને આગળ ચાલવાનું છે. બીબીસીએ પણ ભૂલવું ન જોઈએ કે બ્રિટનમાં પણ આ માનસિકતાને દર્શાવવામાં આવે છે અને બ્રિટિશ પાર્લમેન્ટ પણ કહે છે કે બ્રિટન આવો ત્યારે તમારી કમ્યુનિટી હીથ્રો ઍરપોર્ટ પર છોડીને આવજો, અહીં તો તમે માત્ર અને માત્ર બ્રિટિશર છો

ધૅટ્સ ઇટ.

columnists narendra modi bbc manoj joshi