આજના સમયમાં દીકરીને કરિયાવરમાં શું આપશો?

13 February, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્થિક સ્વાવલંબન માટે દીકરીને કરિયાવરમાં બૅગ ભરીને ઘરેણાં આપવા કરતાં તેના નામે સુરક્ષિત રોકાણ કરવું એ આજના સમયની માગ છે.

રાજેશ દોશી ઉર્ફે કાઠિયાવાડી મુંબઈકરનો લૅમિંગ્ટન રોડ પર આવેલી ઇલેક્ટ્રૉનિક માર્કેટમાં બિઝનેસ છે અને સાથે તેઓ લેખનના પણ શોખીન છે.

ભારતીય સંસ્કૃતિમાં દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. લગ્નપ્રસંગે દીકરીને વિદાય આપતી વખતે તેને ભેટસોગાદો અને ઘરવખરી આપવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે, જેને આપણે કરિયાવર કહીએ છીએ. પ્રાચીન સમયમાં કરિયાવરનો મુખ્ય હેતુ દીકરીને નવા ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવાનો હતો પરંતુ આજના ઝડપથી બદલાતા યુગમાં કરિયાવરની વ્યાખ્યા અને સ્વરૂપ બન્ને બદલવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

આશરે ત્રણ-ચાર દાયકા પહેલાં સામાજિક પરિસ્થિતિ તદ્દન અલગ હતી. ત્યારે દીકરીઓના ભણતર કરતાં તેમનાં લગ્નને વધુ પ્રાથમિકતા આપવામાં આવતી. ૧૮-૨૦ વર્ષની ઉંમરે દીકરીને પરણાવી દઈ સોના-ચાંદીના દાગીના આપીને મા-બાપ પોતાની જવાબદારી પૂરી થઈ હોવાનું માનતાં. એ સમયે નૈતિક મૂલ્યો દૃઢ હતાં, પરિણામે મનમેળ ન હોય તો પણ સામાજિક મર્યાદા ખાતર દંપતી આખી જિંદગી સાથે નિભાવી લેતાં, પરંતુ આજનો યુગ સ્વતંત્રતા અને વ્યક્તિવાદનો છે. આજે લગ્નજીવનમાં સહનશક્તિનો અભાવ અને વૈચારિક મતભેદોને કારણે છૂટાછેડાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. પરંપરાગત રીતે કરિયાવરમાં અપાતા સોના-હીરાના દાગીના આજે અનેક રીતે જોખમી સાબિત થઈ રહ્યા છે. પ્રથમ તો આજના અસુરક્ષિત વાતાવરણમાં કીમતી ઘરેણાં પહેરીને બહાર નીકળવું કે એને ઘરમાં સાચવવા એ શારીરિક અને માનસિક જોખમ સમાન છે. બીજું, કમનસીબે જો લગ્નજીવનમાં ભંગાણ પડે ત્યારે સ્ત્રીધન તરીકે આપેલાં ઘરેણાં પાછાં મેળવવા માટે દીકરીએ લાંબી કાયદાકીય લડત લડવી પડે છે, જેમાં ઘણી વાર ગલ્લાં-તલ્લાં થતાં જોવા મળે છે.

આર્થિક સ્વાવલંબન માટે દીકરીને કરિયાવરમાં બૅગ ભરીને ઘરેણાં આપવા કરતાં તેના નામે સુરક્ષિત રોકાણ કરવું એ આજના સમયની માગ છે. લગ્નના શરૂઆતનાં વર્ષોમાં દીકરી નવા પરિવારમાં અનુકૂલન સાધતી હોય છે. જો એ સમયે તેને સોનાને બદલે મ્યુચ્યુઅલ ફન્ડ, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના કે સારી ઇન્શ્યૉરન્સ પૉલિસીના સ્વરૂપમાં ભેટ આપવામાં આવે તો તે તેની લાંબા ગાળાની સુરક્ષા બને છે. ટેક્નૉસૅવી યુગમાં ડિજિટલ સ્વરૂપે થયેલું રોકાણ વધુ વિશ્વસનીય છે. એ દીકરીના પોતાના નામે હોવાથી તેને આર્થિક નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે. જરૂરિયાતના સમયે આ રોકાણ તેને કોઈની સામે હાથ ફેલાવ્યા વગર સ્વાભિમાન સાથે જીવવામાં મદદરૂપ થાય છે. કરિયાવરનો અર્થ માત્ર વસ્તુઓનું પ્રદર્શન નથી, પણ દીકરીના ભવિષ્યની ચિંતા છે. દીકરીનાં લગ્ન સમયે દેખાદેખીમાં ખર્ચ કરવાને બદલે તેને શિક્ષિત બનાવવી અને ત્યાર બાદ તેને આર્થિક રીતે સુરક્ષિત બનાવવી એ જ શ્રેષ્ઠ કરિયાવર છે. જો દીકરીના હાથમાં ઘરેણાંના બદલે આર્થિક રોકાણનું ભાથું હશે તો તે સામાજિક અને કાયદાકીય રીતે વધુ મજબૂત બનશે. 

columnists exclusive gujarati mid day