દેશના રક્ષકો સારું જીવન જીવી શકે એનું ધ્યાન આપણે જ રાખવાનું છે

06 August, 2026 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા જવાનો નિવૃત્તિ અથવા અકાળે અવસાન બાદ અનેક પડકારોનો સામનો કરે છે. તેમના પરિવારોને શિક્ષણ, રોજગાર, આર્થિક સહાય અને સામાજિક સહયોગ દ્વારા કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે જાણો.

ધીરજ ધરોડ

ભારતીય સેનાના જવાનો વિષમ પરિસ્થિતિઓમાં દેશની સીમાનું રક્ષણ કરે છે, પણ જ્યારે આ જવાનો પોતાની સેવા પૂરી કરીને ૩૫થી ૪૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે અથવા ડ્યુટી પર અકાળે અવસાન પામે છે ત્યારે તેમના પરિવાર સામે નવી આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ ઊભી થાય છે. આવા સમયે આ પરિવારોને કઈ રીતે મદદ મળી શકે અને એક જવાબદાર નાગરિક તરીકે સમાજની શું ફરજ છે એ જાણવું અત્યંત જરૂરી છે.
સામાન્ય રીતે યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારોને સરકારી સ્તરે એટલું વળતર મળે છે કે તેમનો જીવનનિર્વાહ થઈ જાય; પણ આ સિવાય સિયાચિન જેવા અતિશય ઠંડા પ્રદેશોની ડ્યુટી, ઑપરેશનલ દબાણ કે બીમારીને કારણે દર વર્ષે અનેક જવાનો નાની ઉંમરે જીવ ગુમાવે છે. આવા જવાનોના પરિવારોને મળતું પેન્શન મર્યાદિત હોય છે જેને કારણે તેમનાં નાનાં બાળકોનું શિક્ષણ અને પરિવારનું ગુજરાન મુશ્કેલ બની જાય છે. આવા સૈનિક પરિવારોને મુખ્યત્વે ૩ સ્તરે સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જે જવાનો અકાળે અવસાન પામ્યા હોય તેમનાં બાળકોના સ્કૂલ અને બોર્ડિંગનો અભ્યાસખર્ચ દત્તક પદ્ધતિથી ઉપાડીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે છે.
સૈનિકોની વીરનારીઓ એટલે કે વિધવાઓ જો ગ્રામીણ વિસ્તારમાંથી આવતી હોય અને પગભર થવા ઇચ્છતી હોય તો તેમને સિલાઈ, બ્યુટીપાર્લર કે ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે વ્યાજમુક્ત લોન અને માર્ગદર્શન આપવામાં આવે છે. દર વર્ષે આશરે ૬૦,૦૦૦ જેટલા જવાનો સેનામાંથી નિવૃત્ત થાય છે. તેમને સિવિલ ક્ષેત્રમાં નવી રોજગારી મળે એ માટે કમ્પ્યુટર, સિક્યૉરિટી મૅનેજમેન્ટ અને ફાયર-ફાઇટિંગ જેવાં ક્ષેત્રોમાં તાલીમ આપીને વિવિધ કૉર્પોરેટ કંપનીઓમાં સન્માનજનક નોકરીઓ પૂરી પાડવામાં આવે છે જેથી ઘરખર્ચ માટે તેમને કોઈની મદદ ન માગવી પડે. માત્ર ૧૫ ઑગસ્ટ કે ૨૬ જાન્યુઆરી જેવાં રાષ્ટ્રીય પર્વો પર જ દેશભક્તિ વ્યક્ત કરવી પૂરતી નથી.
એક જાગરૂક નાગરિક અને સમાજના સભ્ય તરીકે આપણી પણ કેટલીક સ્પષ્ટ જવાબદારીઓ બને છે. વેપારીઓ અને બિઝનેસમેન પોતાના વ્યવસાયમાં નિવૃત્ત જવાનોને વહીવટી કે સુરક્ષાક્ષેત્રે નોકરી આપીને સહયોગ કરી શકે છે. આ ઉપરાંત સૈનિકોનાં બાળકોના શિક્ષણ માટે આર્થિક સહયોગ આપીને અથવા તેમની ફી સ્પૉન્સર કરીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય છે. આપણે વીરનારીઓને ગૃહઉદ્યોગ શરૂ કરવામાં માર્ગદર્શન આપવું જોઈએ તથા એક્સ-આર્મીમેનના અનુભવોનો સિવિલ સમાજના વિકાસમાં ઉપયોગ કરવો જોઈએ. આ બહુ નાનાં પગલાં ભવિષ્યમાં સારા સમાજનું નિર્માણ કરશે.
સૈનિક પરિવારો સુધી યોજનાઓ સરળતાથી પહોંચે એ માટે ડિજિટલ પોર્ટલ અને ટ્રેકિંગ સિસ્ટમ કામ કરે છે. સેના અને સિવિલ એજન્સીઓ વચ્ચેનું આ ટેક્નિકલ નેટવર્ક ડૉક્યુમેન્ટેશન, કૌશલ્ય ચકાસણી અને ભંડોળના પારદર્શી ટ્રાન્સફરની પ્રક્રિયાને ઝડપી બનાવીને કલ્યાણકારી કાર્યક્ષમતામાં વધારો કરે છે.

columnists exclusive gujarati mid day indian army india