11 March, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિશા ભટ્ટ એક અનુભવી મીડિયા-વ્યૂહરચનાકાર અને શિક્ષણવિદ છે. ભારતની G20 પ્રેસિડેન્સી અને વિકસિત ભારત અભિયાનમાં સક્રિય યોગદાન બદલ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન દ્વારા સન્માનિત મિશા હાલમાં IIM કોઝીકોડથી MBA કરી રહ્યાં છે.
શાળાના દિવસોમાં હું કદાચ એક એવી શાંત અને સંકોચશીલ બાળકી હતી જેના વિશે ઘણાને એમ લાગતું કે આ જીવનમાં કદાચ કંઈ મોટું નહીં કરી શકે. શિક્ષકોનો હેતુ ખરાબ નહોતો, પણ કદાચ મારી ક્ષમતા તેમનાં પરિમાણોમાં ફિટ નહોતી બેસતી. જોકે મારાં માતા-પિતા અને ગણ્યાગાંઠ્યા શિક્ષકોને મારામાં અતૂટ વિશ્વાસ હતો. એ સમયે મેં મનમાં એક સંકલ્પ કર્યો હતો કે હું ક્યારેય કોઈ બાળકને તેના શીખવાની ગતિ કે અભ્યાસ સિવાયની બીજી આવડતના આધારે ઓછું નહીં આંકું.
મને મુંબઈ યુનિવર્સિટીમાં મારા ગમતા વિષયો જર્નલિઝમ અને કમ્યુનિકેશન ભણવા મળ્યા. કૉલેજે મને એ મંચ આપ્યો જેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. આજે જ્યારે હું રિપબ્લિક મીડિયા નેટવર્ક અને જાઇકો પબ્લિશિંગ હાઉસ જેવી સંસ્થાઓમાં કામ કર્યા પછી હું જે કૉલેજમાં ભણી એમાં જ વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરી રહી છું ત્યારે મારો હેતુ માત્ર ભણાવવાનો નથી, પણ આવનારી પેઢીમાં એવો જ વિશ્વાસ જગાડવાનો છે જે મારામાં ક્યારેય હતો જ નહીં.
નાનપણમાં દાદા-દાદી અને નાના-નાની પાસેથી સાંભળેલી આઝાદીના જંગની વાર્તાઓએ મારામાં રાષ્ટ્રપ્રેમનું બીજ વાવ્યું હતું. એટલે જ જ્યારે ભારતની G20 પ્રેસિડેન્સી દરમિયાન Y20 ટ્રેકમાં રિસર્ચ અસોસિએટ તરીકે જોડાવાની તક મળી ત્યારે મેં એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હા કહી દીધી. ત્યારથી આજ સુધી, પછી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સમક્ષ યુવાઓના વિચારો રજૂ કરવાના હોય કે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું આમંત્રણ હોય, મેં દેશ માટે વૉલન્ટિયર બનવામાં ક્યારેય પાછીપાની કરી નથી.
લોકો મને પૂછે છે કે સફળ કરીઅર હોવા છતાં આટલી બધી મહેનત દેશ અને સમાજ માટે કેમ? મારો જવાબ એક જ છે કે જો સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ કે હોમી ભાભાએ માત્ર પોતાની કારકિર્દીનો વિચાર કર્યો હોત તો શું આપણે આજે આ આઝાદી ભોગવી શક્યા હોત? આવનારી પેઢી જો ભારતની સમૃદ્ધિનાં ફળ ચાખવા માગતી હોય તો આજની પેઢીએ પોતાની કારકિર્દીની સાથે દેશ અને સમાજ માટે પણ એટલી જ ગંભીરતાથી વિચારવું પડશે.