29 June, 2026 02:05 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પ્રકૃતિમાં ઉનાળો, ચોમાસું અને શિયાળો આવે છે એમ આપણા આર્થિક જીવનમાં અલગ-અલગ તબક્કાઓ આવે છે. દરેક તબક્કાની જરૂરિયાત અલગ હોય છે અને એ પ્રમાણે નાણાકીય વ્યૂહરચના બદલવી જરૂરી બને છે.
જીવનમાં અમુક સમયગાળો મહેનત કરીને આગળ વધવાની અને સંપત્તિ સર્જવાની ઉત્તમ તક પૂરી પાડે છે. કારકિર્દીની શરૂઆતનાં વર્ષોમાં સાનુકૂળ પરિસ્થિતિ હોય, પ્રમોશન મળે, ધંધાનો વિકાસ થાય અથવા આવકમાં વધારો થાય એવા સમયગાળામાં વધુ બચત અને વધુ રોકાણ કરીને ભવિષ્ય માટે મજબૂત પાયો તૈયાર કરી શકાય છે. આ સમયે લેવામાં આવેલા નિર્ણયો લાંબા ગાળે ચક્રવૃદ્ધિના લાભને કારણે વિશેષ ફળ આપે છે.
લગ્ન, સંતાનનો જન્મ, વૃદ્ધ માતા-પિતાની જવાબદારી, કારકિર્દીમાં ફેરફાર અથવા કોઈ વ્યક્તિગત મુશ્કેલી જેવા પ્રસંગો દરમ્યાન થોડી ક્ષણ માટે થોભીને વિચાર કરવાની જરૂર પડે છે. આર્થિક વિરામનો અર્થ નિષ્ક્રિયતા નથી. એનો અર્થ છે પોતાનાં લક્ષ્યો, આવક, ખર્ચ, જવાબદારીઓ, રોકાણ અને જોખમ લેવાની ક્ષમતાની ફરી સમીક્ષા કરવી.
પાંચ વર્ષ પહેલાં નક્કી કરેલાં લક્ષ્યો આજની પરિસ્થિતિમાં યોગ્ય ન પણ હોય. આવક વધી કે ઘટી શકે છે, પરિવારની જરૂરિયાતો બદલાઈ શકે છે અને જોખમ પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ શકે છે. આવા સમયે યોગ્ય સમીક્ષા ભવિષ્યમાં થનારી મોટી ભૂલો અટકાવી શકે છે.
જીવનમાં એક એવો તબક્કો પણ આવે છે જ્યારે સંપત્તિ સર્જવા કરતાં એની સુરક્ષા વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
નાણાકીય સુરક્ષાનો અર્થ છે પૂરતું ઇમર્જન્સી ફન્ડ રાખવું, યોગ્ય વીમા-કવચ મેળવવું, વધુપડતું દેવું ટાળવું અને વિવિધ પ્રકારનાં રોકાણો દ્વારા સંતુલિત પોર્ટફોલિયો બનાવવો. આ પગલાં કદાચ તરત ઉત્સાહજનક ન લાગે, પરંતુ એનાથી જ લાંબા ગાળે નાણાકીય સ્થિરતા મળે છે.
જીવનમાં અચાનક આવતી મેડિકલ ઇમર્જન્સી, નોકરી ગુમાવવી, આર્થિક મંદી અથવા પરિવારની અનપેક્ષિત જવાબદારીઓ જેવી પરિસ્થિતિઓ કોઈ પણ સમયે આવી શકે છે. જે લોકોએ અગાઉથી નાણાકીય સુરક્ષા ઊભી કરી હોય તેઓ આવી મુશ્કેલીઓનો વધુ સારી રીતે સામનો કરી શકે છે.
ઘણા લોકો પોતાની નાણાકીય સ્થિતિની સરખામણી અન્ય લોકો સાથે કરવાની મોટી ભૂલ કરતા હોય છે. યુવાન વયમાં જોખમ લઈને વિકાસ કરવો યોગ્ય હોઈ શકે, જ્યારે નાનાં બાળકો ધરાવતા પરિવાર માટે સ્થિરતા અને સુરક્ષા વધુ મહત્ત્વની હોય છે. નિવૃત્તિની નજીક પહોંચેલી વ્યક્તિ માટે મૂડીનું રક્ષણ મોટી પ્રાથમિકતા બની જાય છે.
ખરી નાણાકીય સમજદારી એમાં છે કે આપણે બીજાઓ ક્યાં છે એ જોવાને બદલે આપણે જીવનના કયા તબક્કામાં છીએ એ ઓળખીએ. સફળતા સૌથી ઝડપથી દોડવામાં નથી, સમય અને પરિસ્થિતિ પ્રમાણે પોતાની વ્યૂહરચના બદલવામાં છે. તેથી સમયાંતરે પોતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ કે ‘શું મારું અત્યારનું નાણાકીય આયોજન મારા જીવનના વર્તમાન તબક્કા સાથે સુસંગત છે?’ આ પ્રશ્નનો જવાબ જ નક્કી કરશે કે હવે આગળ વધવાનો સમય છે, થોડો વિરામ લેવાનો છે કે પછી અત્યાર સુધી જે જમા કર્યું છે એની સુરક્ષા કરવાનો સમય છે.