15 July, 2026 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દર્શના ઓઝા, ગુજરાતી અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર, SNDT યુનિવર્સિટી, મુંબઈ
આધુનિક યુગમાં સ્ત્રી ઘર, કાર્યસ્થળ, સમાજ અને સંબંધોની અનેક જવાબદારીઓ નિભાવે છે; પણ આ બધી દોડધામમાં તેનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય ઘણી વાર અવગણાઈ જતું હોય છે. સ્ત્રીના જીવનમાં બે મહત્ત્વપૂર્ણ શક્તિઓ રહેલી છે - વ્યાવહારિકતા અને આધ્યાત્મિકતા. જો આ બન્ને ગુણો સમતોલ રીતે વિકસે તો એ તેના સર્વાંગી સ્વાસ્થ્યને અદ્ભુત મજબૂતી આપે છે.
સૌપ્રથમ વ્યાવહારિકતાની વાત કરીએ તો તે જીવનની પરિસ્થિતિઓને સમજદારીપૂર્વક સ્વીકારીને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. એક વ્યાવહારિક સ્ત્રી પોતાના સમયનું યોગ્ય આયોજન કરે છે, આરોગ્યપ્રદ આહાર તરફ પૂરતું ધ્યાન આપે છે, આરામ અને ઊંઘનું મહત્ત્વ સમજે છે તથા તનાવને નિયંત્રિત કરવાનો સતત પ્રયાસ કરે છે. એટલું જ નહીં, તે પોતાની મર્યાદાઓને ઓળખે છે અને જરૂર પડે ત્યારે કોઈ પણ જાતના સંકોચ વિના સહાય પણ માગી શકે છે. નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને સમયસર હેલ્થ ચેક-અપ જેવી બાબતો આવા વ્યાવહારિક દૃષ્ટિકોણથી જ શક્ય બને છે જે તેના શારીરિક સ્વાસ્થ્યને સીધી રીતે સુધારે છે.
બીજી તરફ આધ્યાત્મિકતા માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત નથી; પરંતુ એ આંતરિક શાંતિ, આત્મજ્ઞાન, કરુણા અને જીવનના ઊંડા અર્થ સાથે જોડાયેલી છે. આધ્યાત્મિક સ્ત્રી નિયમિત ધ્યાન કરે છે અને પ્રાર્થના કે સ્મરણ દ્વારા પોતાના મનને શાંત રાખે છે. તે નકારાત્મક વિચારોને નિયંત્રિત કરીને ક્ષમા અને સ્વીકારની સુંદર ભાવના વિકસાવે છે જેને કારણે જીવનની ગમે એવી મુશ્કેલીઓનો પણ તે ધીરજપૂર્વક સામનો કરી શકે છે. સંશોધનો પણ દર્શાવે છે કે ધ્યાન અને પ્રાર્થના જેવી પ્રવૃત્તિઓ મનને શાંત બનાવીને બ્લડ-પ્રેશર અને તનાવનાં હૉર્મોન્સ ઘટાડે છે જે માનસિક તનાવ, ચિંતા અને અવસાદને દૂર રાખવામાં ખૂબ જ મદદરૂપ બને છે.
ખરેખર તો આ બન્ને શક્તિઓનું સંતુલન જ જીવનને સાર્થક બનાવે છે; કારણ કે માત્ર વ્યાવહારિકતા જીવનને યાંત્રિક બનાવી શકે છે, જ્યારે માત્ર આધ્યાત્મિકતા ક્યારેક વ્યાવહારિક જવાબદારીઓથી દૂર લઈ જઈ શકે છે. એક સ્ત્રી જ્યારે આ બન્ને ગુણોનો સમન્વય કરે છે ત્યારે વ્યાવહારિકતા તેના શરીરની સંભાળ રાખે છે અને આધ્યાત્મિકતા તેના મનને શાંતિ આપે છે. સમયના આયોજન સાથે આત્મચિંતન અને આરોગ્યપ્રદ આહાર સાથે સકારાત્મક વિચારો જોડાવાથી જવાબદારીઓનું નિર્વહન સરળ બને છે અને આંતરિક સંતોષ મળે છે.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને હંમેશાં શક્તિ, કરુણા અને સહનશીલતાનું પ્રતીક માનવામાં આવી છે; પરંતુ આજના સમયમાં તેણે પરિવારની સંભાળ સાથે પોતાની સંભાળ રાખીને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની ખાસ જરૂર છે. આધ્યાત્મિકતા તેને આંતરિક શક્તિ પૂરી પાડે છે અને વ્યાવહારિકતા તેને બહારની દુનિયાના પડકારોનો સામનો કરવાની ક્ષમતા આપે છે. આમ સ્ત્રીની વ્યાવહારિકતા અને આધ્યાત્મિકતા બન્ને તેના સ્વાસ્થ્યના બે પરસ્પર પૂરક આધારસ્તંભો છે જેનો સમન્વય તેને માત્ર સ્વસ્થ જ નહીં; એક સંતુલિત, સશક્ત અને આનંદમય જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. તેથી જ દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં વ્યાવહારિક સમજણ સાથે આધ્યાત્મિક જાગૃતિનું પણ સંવર્ધન કરવું જોઈએ.