02 February, 2023 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યાર સુધી પૅન નંબર ફક્ત આવકવેરા ખાતા માટે અને કેવાયસી માટે ઉપયોગમાં લેવાતો હતો, પરંતુ હવે નાણાપ્રધાને બજેટમાં મોટી જાહેરાત કરી છે. હવેથી પૅન કાર્ડ સરકારી એજન્સીઓમાં તમામ ડિજિટલ સિસ્ટમ માટે ઓળખ પ્રસ્થાપિત કરવાનું માધ્યમ બની જશે.
આ પગલાને લીધે કેવાયસીની પ્રક્રિયા સરળ બનશે અને આવકવેરા ખાતા ઉપરાંત અન્ય સરકારી એજન્સીઓને પણ પૅનધારકોના દસ્તાવેજો બાબતે સુવિધા રહેશે. દેશમાં એનાથી ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ પણ વધશે, એમ નાણાપ્રધાને કહ્યું છે.
પૅનધારક ડિજિલૉકરમાં ઉપલબ્ધ કરાવવામાં આવનારી સિંગલ વિન્ડો મારફત કેવાયસી અપડેટ કરી શકશે. આજની તારીખે આવકવેરાનાં કાર્યાલયો, બૅન્કો વગેરે અનેક જગ્યાએ કેવાયસી અપડેટ કરાવવું પડે છે, પરંતુ હવેથી ડિજિલૉકર મારફત એ કામ થઈ શકશે.
જાણીતા ફાઇનૅન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ કહ્યું છે કે આ પગલું યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયા સમાન છે. આ યોજનાનો ચુસ્તપણે અમલ કરવાનું આહ્વાન પણ તેમણે કર્યું છે.