જટાયુના અંતિમ સંસ્કાર થયા એ ગોદાવરીના કાંઠે પાંગરેલી કથાનું આચમન

03 June, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જળની સહજતાથી સરતા શબ્દો પરથી લાગે કે અનુવાદકે પાત્રોની અકથ લાગણીઓનો પણ મર્મસ્પર્શી અનુવાદ કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

ભગવાન રામે જટાયુના અંતિમ સંસ્કાર જે નદીના કાંઠે કર્યા હતા એ ગોદાવરીની વાત કરવાનું કારણ છે આંખોને ભીંજવતું એક પુસ્તક. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનાં પૂર્વાધ્યક્ષ ડૉ. ઉર્વશી પંડ્યાએ કરેલો મરાઠી લેખક મનોજ બોરગાંવકરની નવલકથા ‘નદીષ્ટ’નો ગુજરાતી અનુવાદ. કરીએ ‘તીર્થ’નું થોડુંક આચમન.

લેખક-કથાનાયકના મતે ‘નદી એટલે વિસ્તૃત ગર્ભાશય. માના ગર્ભથી કપાયેલી નાળ નદી સાથે જોડાઈ ગઈ.’ નદીકિનારે જ ઊછરેલાં પાત્રોનો જીવનપ્રવાહ ગોદાવરીના વહેણ સાથે જ વહેતો જાય છે, સતત. પણ જે સ્થાયી છે એ એમાંનું નિહિત કરુણ તત્ત્વ. આવો ડૂબકી લગાવીએ.

અનાથ દાદારાવના મતે ગોદામાઈએ જ તેમને ઉછેર્યાં છે. સિત્તેર વર્ષના અંતિમ પડાવે સગી માની ગોદ ન મળ્યાનો વસવસો સતાવે છે. ‘માને રાત આખી ભીંત અડોઅડ ટેકવીને રાખેલી. કપાળે રૂપિયાનો સિક્કો ચોંટાડેલો. હું માના દૂધ માટે ખૂબ રડતો હતો...’ વાચક પણ એવી જ પીડા અનુભવે છે.

પુરભાજી માછલીઓ પકડતો અને ડૂબતાંને બચાવતો પણ એક વાર નજર સામે જ થતા બળાત્કારને રોકી ન શક્યો. એ લાચારીની પીડામાં પોતાને પણ ગુનેગાર માનવા માંડે છે. ખરેખર, માનવમનનો તાગ નદીતળ જેટલો જ દુર્ગમ છે. વળી એક બિલાડીનું અદૃશ્ય પાત્ર કેવી રીતે ‘ભિકાજી’ના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે એના આલેખન માટે લેખકને દાદ આપવી જ રહી.

તૃતીયપંથીઓની પીડા મુખરિત થાય છે ‘સગુણા’માં. દાદાની સ્રૈણવૃત્તિ ગોદાવરીની જેમ જ તેનામાં ઉછાળા મારી રહી છે, પણ તે સહર્ષ સ્વીકાર કરી લે છે. કિન્નર બનેલી સગુણાના યૌનશોષણની વાત વાંચીએ ત્યારે વરવી વાસ્તવિકતા ડંખે કે નદીકિનારે ફક્ત પૂજાપાઠ જ નથી થતા.

સગુણાની સાથી તેના પ્રેમી સાથે દરેક શરીરસંબંધ પછી માલા-ડી નામની પિલ્સ લે છે એના પરથી તેનું નામ જ ‘માલાડી’ પડી ગયું એ જાણી દુ:ખની વાતો વચ્ચે પણ મલકી જવાય છે. બીજાં નાનાં-મોટાં પાત્રોની સાથે, પર્યાવરણ તરફના દુર્લક્ષની થતી પીડા દર્શાવતી ગોદાવરી સ્વયં પણ એક પાત્ર બની જાય છે.

જળની સહજતાથી સરતા શબ્દો પરથી લાગે કે અનુવાદકે પાત્રોની અકથ લાગણીઓનો પણ મર્મસ્પર્શી અનુવાદ કર્યો છે. નાશિક ગયા વગર ઘરે બેઠાં દક્ષિણી ગંગાની, ‘નદીષ્ટ’ની તીર્થયાત્રા ઈષ્ટ તો ખરી જ.

બાય ધ વે, શીર્ષકમાં ગોદાવરી વાચતાં જ જો તમે ગોદાવરી ફર્ટિલાઇઝર કે ગોદાવરી પાવર ઍન્ડ ઇસ્પાતના શૅરનો ભાવ ચેક કર્યો હોય તો તમે ગુજરાતી પાક્કા.

-યોગેશ શાહ

ramayan mumbai university mumbai Education history columnists Sociology gujarati mid-day