11 September, 2026 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરેશ રાવલ (ફાઇલ તસવીર)
72 મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ આ વર્ષે નવી દિલ્હીને બદલે ગુજરાતના કેવડિયા સ્થિત એકતા નગરમાં યોજવાનો છે. આ સમારોહ 22 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું નક્કી કરવામાં આવ્યો છે. પરંપરાગત રીતે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતા આવ્યા છે; આ પ્રથમ વખત છે જ્યારે આ કાર્યક્રમ રાજધાનીની બહાર યોજાઈ રહ્યો છે, જેણે લઈને હવે વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમ કેવડિયામાં `સ્ટેચ્યુ ઓફ યુનિટી`ના પરિસરમાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને પુરસ્કારો અર્પણ કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય કાર્યક્રમો યોજવાનો ઉદ્દેશ્ય દેશભરની સિનેમેટિક પ્રતિભાઓને એક મંચ પર લાવવાનો અને `એક ભારત, શ્રેષ્ઠ ભારત`ની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
ફિલ્મ નિર્દેશક રાહુલ ધોળકિયાએ સમારોહનું સ્થળ બદલવાના નિર્ણય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદ, અભિનેતા પરેશ રાવલે આ પગલાનું સમર્થન કર્યું હતું. ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યક્રમો માત્ર દિલ્હી પૂરતા સીમિત ન રહેવા જોઈએ. પરેશ રાવલે કહ્યું, "શું ગુજરાત બાંગ્લાદેશમાં છે? શું તે પાકિસ્તાનમાં છે? ગુજરાત પણ આપણા દેશનો જ એક ભાગ છે. આ કાર્યક્રમ ગુજરાતમાં કેમ ન યોજાવો જોઈએ? પ્રજાસત્તાક દિવસની પરેડ દિલ્હીમાં યોજાય છે, ખરું ને? હું માનું છું કે આવા કાર્યક્રમો દરેક રાજ્યમાં યોજવા જોઈએ. તેમાં કંઈ ખોટું નથી. પ્રશ્નો ઉઠાવવા એ રાજકારણીઓનું કામ છે; હું તેમના વિશે શું કહી શકું? પરંતુ મારા મતે, આમાં કંઈ ખોટું નથી."
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શરૂઆત 1954 માં કરવામાં આવી હતી. તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારોમાં સ્થાન ધરાવે છે. આ પુરસ્કારો ફીચર ફિલ્મો, નૉન-ફીચર ફિલ્મો અને સિનેમા પરના લેખન સહિત વિવિધ કૅટેગરીઓમાં શ્રેષ્ઠતાનું સન્માન કરે છે. છેલ્લા સાત દાયકાઓમાં, આ પુરસ્કારોએ ભારતીય સિનેમાની વિવિધ ભાષાઓ, પ્રદેશો અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતી ફિલ્મોને બિરદાવી છે. 72 મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ૨૨ સપ્ટેમ્બરે કેવડિયામાં યોજાશે. સ્થળ બદલવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.
મનસેના વડા રાજ ઠાકરેએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટીકા કરતા કહ્યું, "જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું કંઈક નવું સર્જન કરવામાં અસમર્થ હોય, ત્યારે નામ અને સ્થળો બદલીને ભ્રામક ઇતિહાસ ઊભો કરવાનો પ્રયાસ કરવાની પ્રથા જોવા મળે છે." રાજ ઠાકરેએ પૂછ્યું કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ મુંબઈમાં કેમ યોજવામાં નથી આવી રહ્યો. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં મોટા પાયે ફિલ્મ નિર્માણ થતું હોવાનું જણાવીને તેમણે સવાલ કર્યો કે આમાંથી કોઈ પણ રાજ્યની પસંદગી કેમ કરવામાં ન આવી. રાજ ઠાકરેએ પૂછ્યું, "દક્ષિણ ભારતમાં તો સિનેમાએ ત્યાંના રાજકારણને પણ ઘડ્યું છે. તો પછી ગુજરાત કેમ?"