21 April, 2026 09:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જૅકલિન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખર
ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા રૂ. 200 કરોડના મની લૉન્ડરિંગ કેસમાં એક અપડેટ આવ્યો છે. બૉલિવૂડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં આ કેસમાં તેણે પોતાને આ કેસમાં સરકારી સાક્ષી બનવવાની માગ કરી છે.
આ મામલે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રીની અરજીનો વિરોધ કર્યો છે. EDએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે અરજી અસ્પષ્ટ અને અપૂર્ણ છે, તેથી, તેને જવાબ દાખલ કરવા માટે વધારાનો સમય આપવો જોઈએ. સ્પેશિયલ જજ પ્રશાંત શર્માએ EDની વિનંતી સ્વીકારી, EDને લેખિત જવાબ દાખલ કરવા માટે 8 મે સુધીનો સમય આપ્યો. આ કેસમાં આગામી સુનાવણી હવે 8 મે માટે નક્કી કરવામાં આવી છે.
જૅકલિન ફર્નાન્ડીઝે 17 એપ્રિલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં માફી અને સાક્ષી બનવાની પરવાનગી માગવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે તેની પાસે તપાસમાં મદદ કરી શકે તેવી મહત્ત્વપૂર્ણ માહિતી છે અને તે EDને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે. અભિનેત્રીએ અગાઉ દાવો કર્યો હતો કે તે સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત રેકોર્ડથી અજાણ હતી અને તેને ગેરમાર્ગે દોરવામાં આવી હતી.
આ કેસમાં આશરે રૂ. 200 કરોડની છેતરપિંડી અને મની લૉન્ડરિંગનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે પૈસા પડાવ્યા હતા. તપાસ એજન્સીઓ જણાવે છે કે સુકેશે છેતરપિંડી દ્વારા મેળવેલા પૈસાનો ઉપયોગ કરીને જૅકલિનને મોંઘી વસ્તુઓ ભેટમાં આપી હતી. સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના પોલોઝ સામે દેશભરમાં આ બાબતને લગતા અનેક કેસ નોંધાયા છે.
આ કેસમાં ED દ્વારા દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટમાં જૅકલિન ફર્નાન્ડીઝનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું હતું અને તેની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. નવેમ્બર 2022 માં, દિલ્હીની એક કોર્ટે અભિનેત્રીને જામીન આપ્યા, અને અવલોકન કર્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેની કસ્ટોડિયલ પૂછપરછની હવે જરૂર નથી. આ કેસ દિલ્હી પોલીસે દાખલ કરેલી FIR પરથી ઉદ્ભવ્યો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરો, શિવિન્દર સિંહ અને માલવિન્દર સિંહના પરિવારો સાથે આશરે રૂ. 200 કરોડની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ, EDએ નાણાંના ટ્રેલની તપાસ શરૂ કરી. જો કોર્ટ જૅકલિન ફર્નાન્ડીઝની અરજી સ્વીકારે છે, તો તેને આરોપીઓની યાદીમાંથી દૂર કરી શકાય છે અને ફરિયાદ પક્ષ માટે મુખ્ય સાક્ષી તરીકે નિયુક્ત કરી શકાય છે.