03 May, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિજિત ભટ્ટાચાર્ય અને શાહરુખ ખાન
સિન્ગર અભિજિત ભટ્ટાચાર્યએ હાલમાં શાહરુખ ખાન સાથેના પોતાના તણાવભર્યા સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. ૧૯૯૦ના દાયકામાં અને ૨૦૦૦નાં શરૂઆતનાં વર્ષોમાં શાહરુખનાં લગભગ દરેક ગીતમાં અભિજિતનો અવાજ સાંભળવા મળતો હતો પણ પછી આ જોડી તૂટી ગઈ. આ મામલે વાત કરતાં અભિજિતે કહ્યું હતું કે શાહરુખના અહંકાર અને મારા આત્મસન્માનના ટકરાવને કારણે અમારી વચ્ચે મતભેદ થયો હતો. વિવાદના મૂળ વિશે વાત કરતાં અભિજિતે જણાવ્યું હતું કે ‘મૈં હૂં ના’ ફિલ્મની ક્રેડિટ્સમાં સિન્ગર્સને સ્થાન આપવામાં આવ્યું નહોતું જેના કારણે મને ખૂબ દુઃખ થયું. શાહરુખ બહુ કમર્શિયલ છે અને તે સફળતાના માર્ગમાંથી કોઈને પણ હટાવી શકે છે અને લોકોનો ઉપયોગ કરે છે. મેં શાહરુખ માટે ગીત ગાવાનું એટલા માટે બંધ કર્યું કારણ કે તેના વર્તનથી હું અપસેટ હતો. આ કોઈ અહંકાર નહોતો. પોતાના આ વર્તન માટે શાહરુખે માફી ન માગતાં મને ખરાબ લાગ્યું હતું. શાહરુખનો અહંકાર અને મારું આત્મસન્માન અમારી વચ્ચેની તિરાડનું કારણ બન્યું.’
શાહરુખના વર્તન વિશે વાત કરતાં અભિજિતે કહ્યું હતું કે ‘શાહરુખ મારાથી ઉંમરમાં નાનો છે છતાં જ્યારે ફારાહ ખાનના પતિએ તેને ગાળો આપી ત્યારે પણ શાહરુખે તેને ગળે લગાવ્યો. આમિર ખાને તો પોતાના શ્વાનનું નામ શાહરુખ રાખ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ મિત્રો બની ગયા. મારા મામલામાં તો મારો વાંક પણ નહોતો, આમ છતાં શાહરુખે મને એક પણ વખત સૉરી નથી કહ્યું.’